રાજકોટઃ ચાલુ વર્ષે સૌરાષ્ટ્રભરમાં ખેંચાયેલ વરસાદના પગલે ખેડૂતો હેરાન પરેશાન છે. જેમાં રાજકોટ જિલ્લાનો ઉપલેટા તાલુકો પણ બાકાત નથી. જ્યારે 250 જેટલા ખેડૂતો અને 1500 વીઘા જેટલી જમીનનો પાક પાણી વગર સુકાઈ રહેલ છે.
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના 5 ગામોના ખેડૂતો હાલ પિયતના પાણી નહીં મળવાથી પરેશાન છે. જેમાં તાલુકાના દુમિયાની સુપેડી નાની વાવડી અને સેવનત્રા જેવા ગામોના 250થી પણ વધારે ખેડૂતોનો સમાવેશ થાય છે. આ ખેડૂતોની અંદાજીત 1500થી 2000 વીઘા જેટલી જમીનનો સમાવેશ થાય છે. જેની ઉપર મગફળી કપાસ વગેરે પાક પાણી ન વાંકે મુરજાઈ રહ્યા છે.
આ ખેડૂતોએ આજે નાની વાવડી ગામમાં એકઠા થઇને મોજ ડેમના અધિકારીઓને પોતાની રજુઆત કરી હતી. તેમને મોજ ડેમમાંથી પિયત માટે પૂરતું પાણી આપવાની માગણી કરી છે. સરકાર દ્વારા મોજ ડેમમાંથી પાણી છોડવામાં ખૂબ મોડું કરવા આવ્યું છે. જેના પગલે ખેડૂતોની જમીન હાલ તો સુક્કી ભઠ્ઠ બની ચુકી છે. પાકવાની અણી ઉપર આવેલ પાક માત્ર થોડા પિયતના પાણીના વાંકે નિષ્ફળ જવાની અણી ઉપર થશે.
ડેમના અધિકારીના જણાવ્યા અનુસાર મોજ ડેમમાંથી સરકાર દ્વારા હાલ તો પિયતનું પાણી આપવામાં આવી રહેલ છે. પરંતુ ઓછા વરસાદ અને ડેમમાંથી પાણી મોડું છોડવાના કારણે જમીન ઉનાળા જેવી સૂકી ભઠ બની છે. જેના માટે વધારે પાણીની જરૂર હોવાથી ડેમના અધિકારીઓ અને સરકાર કામગીરી કરી રહી છે.
હાલ તો ખેડૂતો પિયત ના પાણી પ્રશ્ને હેરાન છે. ત્યારે ખેડૂતોના પાણીના પ્રશ્ને કોઈ રાજકારણ ના રમાય અને ખેડૂતોને પૂરતો ન્યાય મળે તે જરૂરી છે.