મોંઘવારી કોણ જાણે ક્યાં જઇને અટકશે ? સૌરાષ્ટ્રમાં આયોજિત થનારા લોકમેળાને પણ લાગી શકે છે મોંઘવારીનું ગ્રહણ, રાઇડના સંચાલકોએ ભાવમાં વધારો કરવાની કરી માંગ
લોકમેળાને નડ્યુ મોંઘવારીનું ગ્રહણ
રાઇડના સંચાલકોએ કરી ભાવ વધારો કરવાની માંગ
ડબલથી પણ વધુ ભાવ વધારવાની કરી માંગ
સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની સત્તાવાર જાહેરાત કરી દેવાઇ છે. તારીખ 17થી 21 ઓગસ્ટ સુધી એમ કુલ 5 દિવસ સુધી રાજકોટના રેસકોર્સ ખાતે આ લોકમેળો યોજાશે. એ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઇ છે. 12 સમિતિની રચના કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં બે વર્ષથી કોરોના કહેરના ગ્રહણને લઈને રાજકોટમાં જન્માષ્ટમીના મેળાના આયોજન પર રોક લગાવી દેવામાં આવી હતી. ત્યારે હવે આ વર્ષે મેળો યોજાવા જઇ રહ્યો છે જેમાં સંચાલકો દ્વારા યાંત્રિક રાઇડના ભાવમાં વધારો કરવાની માગ કરી છે.
સંચાલકો દ્વારા રાઇડના ભાવમાં વધારો કરવા માંગ
લોકમેળામાં સંચાલકોએ રાઈડમાં 20 રૂપિયાને બદલે રૂપિયા 50 કરવા માગ કરી છે. સાથે મોટી યાંત્રિક રાઈડમાં 30 રૂપિયાને બદલે 70 રૂપિયા કરવા માગ કરી છે. આ અંગે સંચાલકોએ કહ્યું કે, મોંઘવારીને ધ્યાનમાં રાખીને રાઈડની કિંમતમાં પણ વધારો કરવાની જરૂર છે. પહેલાં અપસેટ પ્રાઈઝ 2 લાખ રાખવામાં આવી હતી. જેમાં અત્યારે વધારો કરીને 3 લાખ કરવામાં આવ્યા છે. જેથી ટિકિટના દરમાં પણ વધારો થવો જોઈએ. ત્યારે આ વર્ષે લોકમેળામાં મ્હાલવુ કદાચ મોંઘુ પડી શકે તેમ છે.
રાજકોટમાં યોજાશે લોકમેળો
મહત્વનું છે કે દર વર્ષે શ્રાવણ માસની રાંધણ છઠ્ઠથી શરૂ થઇને દશમ સુધી રાજકોટનો મેળો મહાલવા ગામેગામથી લોકો ઊમટી પડે છે. અહીં વિવિધ રંગોમાં રમતી અને આનંદ ઉલ્લાસથી પોતાની અભિવ્યક્તિ જાહેર કરતી લોકજીવનને ધબકતું રાખતી પ્રજા મન મૂકીને મેળામાં મહાલે છે. સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો રાજકોટમાં યોજાય છે. ત્યારે આ વર્ષે રાજકોટમાં જન્માષ્ટમીનો લોકમેળો યોજાશે.
મેળામાં કોવિડ ગાઈડલાઈનનું પણ પાલન કરાવવામાં આવશે
મેળાને લઈને અધિકારીઓ સાથે બેઠક યોજી લોકમેળા સંદર્ભે વિવિધ કામોની જે-તે વિભાગને સોંપણી કરવામાં આવી છે. લોકમેળાની કામગીરીને લઈને વિવિધ કમિટીની રચના કરવામાં આવી છે. આવતા અઠવાડિયામાં લોકમેળા યોજાશે તે જગ્યાએ કલેકટર સહિતના દ્વારા સ્થળ વિઝીટ પણ કરવામાં આવશે. જોકે જે રીતે દૈનિક કોરોનાના કેસ સામે આવી રહ્યાં છે તેને લઈને મેળામાં કોવિડ ગાઈડલાઈનનું પણ પાલન કરાવવામાં આવશે તેવું કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું.
લોકમેળાને લાગ્યુ હતુ કોરોનાનું ગ્રહણ
સૌરાષ્ટ્રમાં વર્ષોથી લોકમેળાઓનું આગવું મહત્વ રહ્યું છે. શ્રાવણ મહિનામાં રાજકોટના રેસકોર્ષ મેદાનને આંગણે 5 દિવસ મેળાનું આયોજન કરવામાં આવે છે. સૌરાષ્ટ્રના સૌથી મોટા આ લોક મેળામાં ગુજરાતના અન્ય પ્રાંતો સહિત સૌરાષ્ટ્રના ખૂણે ખૂણેથી 10 લાખ ઉપરાંત લોકો મેળાની મોજ માણતા હોય છે. પરંતુ છેલ્લાં બે વર્ષથી કોરોનાને કારણે લોકમેળાના આયોજન પણ બંધ રાખવામાં આવ્યા હતા. પરંતુ હાલમાં અગાઉ કરતા સ્થિતિ ઘણી સારી હોવાથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાની સત્તાવાર જાહેરાત કરી દેવાઇ. 17થી 21 ઓગસ્ટ સુધી કુલ 5 દિવસ સુધી રાજકોટના રેસકોર્સ ખાતે આ લોકમેળો યોજાશે. પરંતુ આ લોકમેળો ગત વર્ષો કરતા આ વર્ષે થોડો મોંઘો પડી શકે તેમ લાગી રહ્યું છે.