બોટાદ જિલ્લાના વિખ્યાત ગઢડા તીર્થ સ્થાન ખાતે આવેલ ઘેલો નદી પાસેના ખુલ્લા રસ્તા પર રેલિંગ લગાવવા લોકોમાં માંગ ઉઠી છે.
નદી પાસેના રસ્તા પર સેફ્ટી દિવાલનો અભાવ
અનેકવાર સર્જાયા છે અકસ્માત
પ્રશાશન આંખ આડા કાન કરતું હોવાની રાવ
સ્વામિનારાયણ સંપ્રદાયના બે મુખ્ય મંદિરો આવેલા હોવાથી બોટાદ જિલ્લાનું ગઢડા તીર્થ સ્થાન જગપ્રખ્યાત છે. પરંતુ ગઢડાનો વિકાસ માત્ર કાગળ પર જ થયો હોય અને હકીકતમાં વિકાસના નામે માત્ર મીંડું જ હોવાનો સ્થાનિકોમાં સૂર ઉઠી રહ્યો છે. જેનું જીવતુંજાગતું ઉદાહારણ છે. BAPS મંદિરની બાજુમાં આવેલી ઘેલો નદી પાસેનો ખુલ્લો રસ્તો. BAPS મંદિરની બાજુમાં આવેલી ઘેલો નદી પાસેથી ગઢડાથી રાજકોટ શહેરમાં જવાનો મુખ્ય રસ્તો છે. આ રસ્તો એકદમ ખુલ્લો છે. રસ્તાની બાજુમાં સેફ્ટી દિવાલ કે રેલીંગનું અસ્તિત્વ જ ન હોવાથી વાહનચાલકો અને રાહદારીઓ જીવના જોખમે રસ્તો પસાર કરે છે. અગાઉ સેફટી દિવાલ ન હોવાને કારણે અનેકવાર ગંભીર અકસ્માતો સર્જાયા છે. છતાં તંત્ર દ્વારા તેમાથી શીખ લઈને કામગીરી ન કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
પ્રશાસન આંખ આડા કાન કરતું હોવાનો આક્ષેપ
સ્વામિનારાયણ સંપ્રદાયના મુખ્ય મંદિર આવેલ હોવાથી ગઢડામાં મોટી સંખ્યામાં હરિભક્તો દર્શનાર્થે આવે છે. આથી મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા પ્રશાસન ઘોર નિંદ્રામાંથી જાગે અને તાત્કાલિક ધોરણે સેફ્ટી વોલ કે રેલીંગ કરે તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે. આ અંગે સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરી છે પરંતુ પ્રશાસન આંખ આડા કાન કરી રહ્યું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.
તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી કામગીરી આદરે તેવી માંગ
બોટાદ જિલ્લાના ગઢડા ખાતે લાખો હરિભકતોના આસ્થાના કેન્દ્ર સમાન સ્વામિનારાયણ સંપ્રદાયનુ મુખ્ય તીર્થ ધામ છે. જ્યાં બીએપીએસ મંદિરની બાજુમાં આવેલી ઘેલો નદી પાસે ગઢડાથી રાજકોટ જવાનો નદી પાસેનો આ રસ્તો એકદમ ખુલ્લો છે. અગાઉ સેફટી દિવાલ ન હોવાને કારણે અનેકવાર ગંભીર અકસ્માતો પણ સર્જાયા છે. તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી જાગી અને મોતના માર્ગ સમાન આ રસ્તા પર રેલીગ અને સેફટી દિવાલ બનાવવાની દિશામાં તાબડતોબ કામગીરી હાથ ધરે તેવી નગરજનો માંગ કરી રહ્યા છે.