રાજ્ય શાળા સંચાલક મહામંડળે શિક્ષણ બોર્ડને પત્ર લખીને કરી રજૂઆત, ધોરણ 9 અને 11ની પરીક્ષા ફરી લેવા માટે કરી માંગ
ધોરણ 9 અને 11ની પરીક્ષા ફરી લેવા માંગ
રાજ્ય શાળા સંચાલક મહામંડળે શિક્ષણ બોર્ડને લખ્યો પત્ર
માસ પ્રમોશનને કારણે પાયો કાચો રહ્યો
દેશમાં કોરોનાકાળ ચાલી રહ્યો છે. જો કે ધીરે ધીરે હવે બધુ પૂર્વવત થઇ રહ્યું છે પરંતુ કોરોનાકાળમાં આપણે આર્થિક રીતે તો તૂટી જ ગયા પરંતુ શિક્ષણની સ્થિતિ પણ કથળી હતી. પરિણામે સતત બે વર્ષથી વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યુ હતું. જેની અસર હાલમાં બાળકો પર જોવા મળી રહી છે. પાયો કાચો રહેવાનો કારણે નાપાસ થવાનું પ્રમાણ વધી રહ્યુ છે. ત્યારે રાજ્ય શાળા સંચાલક મહામંડળે આ અંગે ચિંતા વ્યક્ત કરીને શિક્ષણ બોર્ડને એક રજૂઆત કરી છે.
ધોરણ 9અને 11ની પરીક્ષા ફરી લેવાની માંગ
કોરોનાકાળમાં સતત 2 વર્ષથી મળતા માસ પ્રમોશનને કારણે વિદ્યાર્થીઓને પાયો કાચો જોવા મળ્યો છે. માસ પ્રમોશનને કારણે આ વર્ષે ધોરણ 9 અને 11માં મોટી સંખ્યામાં બાળકો નાપાસ થયા છે. જેને લઇ રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા શિક્ષણ બોર્ડને પત્ર લખવામાં આવ્યો છે. જેમાં ધોરણ 9 અને 11માં ફરીથી પરીક્ષા લેવાની માગ કરાઈ છે. રાજ્ય શાળા સંચાલક મંડળે માગ કરતા જણાવ્યું કે, સતત બે વર્ષથી મળતા માસ પ્રમોશનથી વિદ્યાર્થીઓને નુકસાની થઇ રહી છે. આ વર્ષે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થતાં ધોરણ 9 અને 11ની પરીક્ષા ફરીથી લેવાની જરૂર છે.મહત્વનું છે કે કોરોનાને કારણે ધોરણ 8 અને ધોરણ 10માં માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું.
નવી ખાનગી શાળાને મંજૂરી ન આપવા કરી હતી રજૂઆત
રાજ્ય શાળા સંચાલક મહામંડળ વિદ્યાર્થીઓનો અવાજ બનતુ આવ્યું છે. સરકારી શાળા અને વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી અંગે તેઓ અવારનવાર શિક્ષણબોર્ડને ધ્યાન દોરે છે. અગાઉ પરાજ્યમાં વધી રહેલી ખાનગી શાળાઓના વ્યાપને કારણે ગ્રાન્ટેડ શાળાના સંચાલકોએ નવી ખાનગી શાળાઓને મંજૂરી ન આપવા અપીલ કરી હતી. તો બીજી તરફ ગ્રાન્ટેડ શાળાઓને તાળા લગાવવાનો વારો આવ્યો છે. રાજ્યમાં ચાલુ વર્ષે 80 સ્કૂલોએ સ્કૂલ બંધ કરવા ડીઇઓને અરજી કરી છે. ત્યારે હવે આગામી બે વર્ષ માટે ખાનગી શાળાને મંજૂરી માટે પ્રતિબંધ લગાવવાની ગ્રાન્ટેડ શાળાના સંચાલકો દ્વારા સરકારમાં અપીલ કરવામાં આવી હતી. રાજ્યના શાળા સંચાલક મહામંડળે શિક્ષણ વિભાગને પત્ર લખીને જણાવ્યું છે કે નવી ખાનગી શાળાઓને મંજૂરી ન આપવામાં આવે.નવી શાળાને મંજૂરી ન મળે તો જ ગ્રાન્ટેડ શાળાને જીવનદાન મળવાનો શાળા સંચાલક મહામંડળે દાવો કર્યો હતો.