દેશમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. એવામાં દિલ્હીમાં કોરોના સામે લડવા મારે ગૃહમંત્રાલય મોટા નિર્ણયો લઇ રહ્યું છે.દિલ્હી સરકાર અનુસાર રાજધાનીમાં એક લાખથી પણ વધારે કોરોના કેસ આવી શકે છે ત્યારે સરકાર દ્વારા દસ હજારથી વધારે કોરોના દર્દીઓને સમાવી શકે તેવું કોવિડ કેર સેન્ટર ઉભું કરવામાં આવી રહ્યું છે. અહેવાલ મુજબ ગૃહમંત્રી પોતે આ સેન્ટરની મુલાકાત લઇ શકે છે.
કોવિડ કેર સેન્ટરમાં ITBPના જવાનો પણ મદદે આવે : ગૃહમંત્રાલય
સંસ્થા દ્વારા જ દર્દીઓને જમવાની સુવિધા કરવામાં આવશે
દિલ્હીના છતરપુરમાં રાધા સ્વામી આશ્રમમાં બની રહ્યું છે વિશાળ સેન્ટર
ચીનના સૌથી મોટો કોવિડ સેન્ટરથી દસ ગણું મોટું સેન્ટર દિલ્હીમાં
ગૃહમંત્રી અમિત શાહે દિલ્હીના કોવિડ કેર સેન્ટરમાં કામ કરવા માટે ઇન્ડો-તિબેટીયન બોર્ડર પોલીસના મેડિકલ કર્મચારીઓને મોકલવાનો નિર્ણયો લીધો છે. દિલ્હીના છતરપુરમાં દસ હજાર બસો દર્દીઓને સારવાર આપી શકે તેવું સેન્ટર ઉભું કરવામાં આવી રહ્યું છે. આ સેન્ટરને સરદાર પટેલ કોવિડ કેર સેન્ટર નામ આપવામાં આવેલ છે અને આ આખું સેન્ટર 15 ફૂટબોલ ફિલ્ડ જેટલું છે. ગૃહમંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે આ સેન્ટર ચીનમાં ઉભા કરવામાં આવેલ કોરોના સેન્ટરથી દસ ગણું મોટું છે.
અમિત શાહ છેલ્લા ઘણા સમયથી દિલ્હી માટે લઇ રહ્યા છે મોટા નિર્ણય
નોંધનીય છે કે ચીનમાં જ્યારે કોરોના વાયરસનો કહેર વધી રહ્યો હતો ત્યારે ચીન તરફથી એક વીડિયો આપવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું કે ચીનમાં કોરોના દર્દીઓ માટે તાત્કાલિક હોસ્પિટલ ઉભી કરવામાં આવી રહી છે. હવે ભારતમાં આ ચીનની હોસ્પિટલથી દસ ગણું મોટું કોવિડ કેર સેન્ટર બની રહ્યું છે અને તેના કાર્ય પર ગૃહમંત્રી અમિત શાહ પોતે નજર રાખી રહ્યા છે.
રાધા સ્વામી આશ્રમ જ દર્દીઓને જમવાનું આપશે
ગૃહમંત્રી અમિત શાહે આ મહિનાની શરૂઆતમાં જ દિલ્હીના Lt Governor અનિલ બૈજલને દિલ્હીમાં કોરોના દર્દીઓને સારવાર માટે સુવિધાઓ આપવા પોતે ધ્યાન રાખવા આદેશ આપ્યા હતા. છતરપુરના રાધા સ્વામી સતસંગ કોમ્પલેક્ષમાં આ સુવિધા ઉભી કરવામાં આવી રહી છે. આ જ સંસ્થાએ પહેલા પ્રવાસી શ્રમિકો માટે પણ સુવિધા આપી હતી.સંસ્થાએ કહ્યું છે કે દર્દીઓને ભોજન પણ તે જ આપી શકશે.
ત્રીજી જુલાઈ સુધી આખું સેન્ટર તૈયાર કરવા ટારગેટ
સરકાર દ્વારા ઉભી કરવામાં આવતી આ સુવિધાનું નિરીક્ષણ કરવા આ જ અઠવાડિયામાં લગભગ ગુરુવારે મુલાકાત લઇ શકે છે. અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે કે ગુરુવાર સુધી બે હજાર બેડ તૈયાર થઇ જવા જોઈએ જયારે બાકીનાં બેડ ત્રીજી જુલાઈ સુધી તૈયાર કરવામાં આવશે. નોંધનીય છે કે સરકારના અધિકારીએ કહ્યું હતું કે ગૃહમંત્રી અમિત શાહ શહેરમાં કોરોના મહામારી સામે લડવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉભું કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.
જ્યારે આ કોવિડ કેર સેન્ટર શરુ થઇ જશે ત્યારે 800 જનરલ તબીબો અને 70 જેટલા સ્પેશિયલિસ્ટ તબીબોની જરૂર પડશે એવામાં ગૃહમંત્રાલય દ્વારા ITBPના મેડિકલ સ્ટાફને મદદ કરવા માટે કહેવામાં આવ્યું છે.