દિલ્હી હિંસાને લઇને હવે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) પ્રમુખ શરદ પવારે ભાજપ પર હુમલો બોલ્યો છે. શરદ પવારે કહ્યું છે કે કેન્દ્રમાં સત્તાધારી પાર્ટી દિલ્હીમાં ચૂંટણી ન જીતી શકી તો તેણે દિલ્હીમાં હિંસા કરાવી દીધી.
દિલ્હી હિંસા માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે : શરદ પવાર
બીજેપીને દૂર કરવા માટે દિલ્હીના લોકોને ધન્યવાદ પાઠવુ છું : શરદ પવાર
શરદ પવારે કહ્યું, ગત કેટલાક દિવસોથી દિલ્હી ભડકે બળી હતી. દિલ્હી એ જગ્યા છે, જ્યાં લોકો વિભિન્ન ભાગોથી આવે છે. આપણા દેશમાં સત્તામાં રહેનારી પાર્ટીને દિલ્હી ચૂંટણી જીતવાની કોઇ તક ન મળી. ચૂંટણી દરમિયાન અમે ઘણા ભાષણ સાંભળ્યા. પીએમ, ગૃહમંત્રી અને અન્ય મંત્રીઓએ સમાજને હેરાન કરવાની કોશિશ કરી.
તેઓએ કહ્યું, હું એ સમયે સ્તબ્ધ રહી ગયો જ્યારે વડાપ્રધાને પોતાના ભાષણ દરમિયાન કહ્યું કે વ્યક્તિની ઓળખ તેના કપડાઓથી કરી શકાય છે. વડાપ્રધાન આખા દેશ અને તમામ ધર્મો માટે છે. આપ અન્ય નેતાઓના ભાષણોને પણ સાંભળી શકો છો જેમકે, ગોળી મારો...ના નારા. આ પ્રકારના નારા લોકોને બહુ જ ભયમાં નાંખી રહ્યા છે અને અમારા દેશમાં આવી નિંદનીય વાત ક્યારેય નથી થઇ.
સત્તામાં બેઠેલા લોકોને કારણે થયું
દિલ્હી હિંસાને લઇને શરદ પવારે કહ્યું કે સ્કૂલો પર હુમલો કરવામાં આવ્યો. શિક્ષણ સંસ્થાઓ પર હુમલો કરવામાં આવ્યો. આ બધુ સત્તામાં બેઠેલા લોકોને કારણે થયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે દિલ્હી આવ્યા તો દિલ્હીના એક ભાગમાં હિંસા થઇ રહી હતી. લોકસભા ચૂંટણીમાં નિર્ણય લેનાર લોકો હવે પૂર્ણ રીતે વિરોધમાં છે.
શરદ પવારે કહ્યું, દિલ્હીમાં લોકો બિહાર, બંગાળ, દ.ભારતથી છે. બીજેપીને દૂર કરવા માટે દિલ્હીના લોકોને ધન્યવાદ પાઠવું છું. કેન્દ્ર સરકાર સારી સ્થિતિમાં નથી. જે તેઓ ઇચ્છી રહ્યા છે તે થઇ રહ્યું નથી અને બાદમાં દિલ્હીમાં હિંસા જેવી ઘટનાઓ બની. જ્યારે સત્તામાં બેઠેલા લોકો જાતિ અને ધર્મના નામ પર વિભાજિત કરવાની વાત કરે છે તો તેની અસર દેખાશે.
કેન્દ્ર સરકાર જવાબદાર
શરદ પવારનું કહેવું છે કે, આવી પાર્ટી પર જીત હાંસલ કરવા અને તેમને હરાવવા માટે આપણે સૌ એક સાથે આવવું પડશે. એનસીપી તેના માટે તૈયાર છે. દિલ્હીમાં કેન્દ્ર સરકાર પાસે પોલીસની શક્તિ છે, તેથી દિલ્હીમાં હિંસા માટે કેન્દ્ર સરકાર જવાબદાર છે.