રાજધાની દિલ્હીમાં હિંસા અને તોફાનો બાદ હવે અફવાઓનું બજાર ગરમ છે. ગઈ કાલે સાંજે વાતાવરણ ડહોળવા માટે યોજનાબદ્ધ રીતે દિલ્હીના અનેક વિસ્તારમાં અચાનક હિંસાની અફવાઓ ફેલાવવામાં આવી હતી, જેના કારણે વાતાવરણ ફરી તંગ બની ગયું હતું, જોકે દિલ્હી પોલીસની તત્પરતાના કારણે ભયનો આ માહોલ સમયસર શાંત થઈ ગયો હતો.
કેનાલમાંથી વધુ એક મૃતદેહ મળી આવતાં મૃત્યુઆંક વધીને 46 થયો
254 FIR, 900 થી વધુની અટકાયત
પોલીસે લોકોને સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવતી અફવાઓને અવગણવા કહ્યું
હિંસાની અફવાઓ ફેલાવવાના આ કેસમાં પોલીસે બે લોકોની ધરપકડ કરી લીધી છે. પોલીસસૂત્રોના જણાવ્યા અનુસાર હિંસાની અફવાઓ દિલ્હીના ખ્યાલા વિસ્તારથી શરૂ થઈ હતી. ત્યારબાદ પોલીસે ટ્વિટર સહિતના સોશિયલ મીડિયા પર લોકોને અફવાઓ ફેલાવવાથી દૂર રહેવા અને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી હતી.
દિલ્હીના ઓખલા સ્થિત બાટલા હાઉસ વિસ્તારમાં ગઈ કાલે સાંજે ફરીથી હિંસા ફેલાયાની અફવાઓ વાયુવેગે ફેલાઈ હતી. આ અફવાઓના કારણે ભારે ભાગદોડ મચી ગઈ હતી અને તેમાં એક વ્યક્તિનું મોત થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે એઈમ્સ ખાતે લઈ જવામાં આવ્યો છે.
મૃતકનું નામ હબીબુલ્લાહ હોવાનું પોલીસે જણાવ્યું છે. 32 વર્ષનો હબીબુલ્લાહ મૂળ બિહારના ભાગલપુરનો રહેવાસી હતો. દિલ્હીમાં તે કોઈ દરજીના ત્યાં કામ કરતો હતો.
દિલ્હી પોલીસનાં ઉચ્ચ સ્તરીય સૂત્રોના જણાવ્યા અનુસાર હિંસાની અફવાઓના કારણે મચેલી ભાગદોડ બાદ હબીબુલ્લાહ શહાબ મસ્જિદ પાસે પડી ગયો હતો અને તે બેભાન થઈ ગયો હતો. ત્યારબાદ તેને નજીકની અલ્શિફા હોસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
પોલીસ હાલ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસ એ મુદ્દે પણ તપાસ કરી રહી છે કે શું ભાગદોડના કારણે જ હબીબુલ્લાહનું મોત થયું હતું કે પછી કોઈ અન્ય કારણસર? મળતી માહિતી મુજબ મૃતકના શરીર પર ઈજાનાં કોઈ નિશાન મળ્યાં નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગઈ કાલે રવિવારે રાતે લગભગ આઠ વાગ્યે દિલ્હીના અનેક વિસ્તારમાં હિંસાની અફવાઓ ફેલાવવામાં આવી હતી. અફવાઓ ફેલાયા બાદ સુરક્ષાના કારણસર દિલ્હીનાં જે મેટ્રો સ્ટેશન બંધ કરાયાં હતાં તેમને થોડી વાર બાદ ખોલી નાખવામાં આવ્યાં હતાં. અફવાઓ ભડકાવવા માટે સોશિયલ મીડિયાનો સહારો લેવાયો હતો. દિલ્હી પોલીસના PRO એમ.એસ. રંધાવાએ કહ્યું હતું કે ઉત્તર-પૂર્વ દિલ્હી જિલ્લામાં હવે સ્થિતિ સંપૂર્ણ સામાન્ય છે. અહીં કલમ-144 લાગુ છે પણ તેમાં થોડી ઢીલ અપાઈ છે.
આ દરમિયાન દિલ્હી પોલીસને અત્યાર સુધીમાં બે કેનાલમાંથી ચાર મૃતદેહ મળી આવ્યા છે. આજે વહેલી સવારે કેનાલમાંથી વધુ એક મૃતદેહ મળી આવ્યો હતો. મૃતકોની ઓળખ હજુ સુધી થઈ નથી. દિલ્હી હિંસામાં હવે મૃત્યુઆંક વધીને 46 થઈ ગયો છે, જ્યારે 300થી વધુ ઘાયલ થયા છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ દિલ્હીના હિંસા પ્રભાવિત વિસ્તારોના વિદ્યાર્થીઓની પુન: પરીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે. પોલીસે અત્યાર સુધીમાં હિંસાના મામલે 254 FRI નોંધી છે અને 900 થી વધુ લોકોને અટકાયતમાં લીધા છે. ઉત્તર-પૂર્વ જિલ્લામાં છેલ્લા બે દિવસમાં હિંસાની કોઈ ઘટના બની નથી. પોલીસે લોકોને સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવતી અફવાઓને અવગણવા અને તે અંગે નજીકના પોલીસ સ્ટેશન કે અધિકારીઓને ફરિયાદ કરવા જણાવ્યું છે.