દિલ્હીમાં છેલ્લા ત્રણ દિવસમાં થયેલી હિંસા પર કેન્દ્ર સરકાર હવે એકશન મોડમાં આવી ગઇ છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે દિલ્હી હિંસા સાથે જોડાયેલા મામલાઓની સતત અપડેટ લઇ રહ્યાં છે. દિલ્હીમાં મોતનો આંકડો 20 પર પહોંચી ગયો છે. આજે યોજનારી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પણ દિલ્હી હિંસા મામલે ચર્ચા થઇ શકે છે.
અમિત શાહ લઇ રહ્યાં છે સતત અપડેટ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ દિલ્હી હિંસા પર સતત છેલ્લા 24 કલાકની અંદર ત્રણ મહત્વપૂર્ણ બેઠક કરી ચૂક્યાં છે. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે પણ મંગળવારની રાત્રે હિંસા ગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી અને ગૃહમંત્રી અમિત શાહને આ અંગેની જાણકારી આપી છે. ગૃહમંત્રી અમિત શાહે હિંસા કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે.
દિલ્હીના ઉચ્ચ પોલીસ અધિકારીઓની બેઠક
આ વચ્ચે રાજધાની દિલ્હીના જાફરાબાદ અને મૌજપુરમાં થયેલી હિંસા બાદ દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓ સતત બેઠક કરી રહ્યાં છે. પાટનગરની પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે અધિકારીઓ યોજનાઓ બનાવી રહ્યાં છે. હિંસા પ્રભાવિત વિસ્તારોમાં પોલીસોએ હવે હિંસા કરનારાઓને જોતાં જ ગોળી મારવાનો આદેશ આપ્યો છે.
ગોકુલપુરીમાં ફરી આગના બનાવો
આ વચ્ચે દિલ્હીના ગોકુલપુરી વિસ્તારમાં ફરી આગચંપીના બનાવના સમાચાર મળી રહ્યાં છે. દિલ્હીમાં મૌજપુર વિસ્તારમાં સુરક્ષાદળોએ ફલેગ માર્ચ કર્યું
શાહિનબાગ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
CAAના વિરોધમાં દિલ્લીના શાહીનબાગમાં છેલ્લા બે મહિનાથી પ્રદર્શન થઈ રહ્યા છે. જે મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જાહેર માર્ગ પ્રદર્શન માટે નથી. કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું કે અત્યારે વાતાવરણ આ કેસની સુનાવણી માટે યોગ્ય નથી. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે અમે રિપોર્ટ જોયો છે. સોલિસિટર જનરલે કહ્યું કે તમે પોલીસને ડિમોરલાઈઝ ન કરી શકો.