એવું કહેવાય છે કે આ જગતમાં સૌથી વધુ શુદ્ધ લાગણી પ્રેમ કે શાંતિ નથી, પરંતુ વેર અને નફરતનું ઝેર છે. સાંભળવામાં કદાચ આ વાત બહુ વિચિત્ર ભલે લાગે પણ આ કડવું સત્ય છે, જેને આપણે સ્વીકારવું જ રહ્યું. માણસ વેરભાવમાં કે નફરતના આવેશમાં સારા-નરસાનું ભાન, વિવેકબુદ્ધિ, સમાજના નિયમો- બધું જ એક પળમાં ભૂલી જાય છે અને પછી જે તાંડવ સર્જાય છે તે દિલ્હીની હિંસા જેવું જ ભયાનક અને કંપાવનારું હોય છે.
દિલ્હી સળગ્યું, અનેક નિર્દોષ લોકો ખતરનાક ષડ્યંત્ર અને નેતાઓના વાણીવિલાસના પરિણામે ભડકી ઊઠેલા હિંસાના ખતરનાક જ્વાળામુખીમાં હોમાઈ ગયા. કરોડો રૂપિયાની સંપત્તિ સળગીને ખાખ થઈ ગઈ, એકમેક પર આંધળો વિશ્વાસ મૂકીને રહેતા દિલવાળા દિલ્હીવાસીઓ હવે બધાંને શંકાની દૃષ્ટિએ જોતા થઈ ગયા છે. આ બધું આખરે કોના પાપે? આપણા બધાની સુરક્ષા અને સલામતીની તમામ જવાબદારીઓ જેમના શિરે છે એવી પોલીસ અને સુરક્ષાદળોના કર્મચારીઓને પણ આ તોફાનો-હિંસામાં નિશાન બનાવવામાં આવ્યા એ વાત સૌથી વધુ દુર્ભાગ્યપૂર્ણ અને રમજનક પણ છે.
મનોવિજ્ઞાન કહે છે કે કોઈ પણ માણસના કાનમાં એકધારું નફરતનું ઝેર રેડવામાં આવે અને જો એ વ્યક્તિ સરળતાથી ઉન્માદમાં ભાન ભૂલી જતી હોય તો નફરતનું આ ઝેર સૌથી વધુ ભયજનક સાબિત થાય છે અને મોટી ખુવારી નોતરે છે. દિલ્હીની હિંસામાં પણ કંઈક આવું જ થયું છે. એક એવો આભાસી ડર ફેલાવી દેવામાં આવ્યો કે જાણે આપણા બધાંનું અસ્તિત્વ જ જોખમમાં છે. ડરનું રાજકારણ, નફરતનું ઝેર અને સતત થતાં ઉશ્કેરણીજનક ભાષણ-બેફામ બયાન હંમેશાં એક ડેન્જરસ કોકટેલ નીવડતાં હોય છે.
આપણા દેશની સૌથી આગવી ઓળખ વિવિધતામાં એકતાની છે, એમાં ધાર્મિક વિવિધતા પણ આવી ગઈ. આપણે જ હવે આ ધાર્મિક વિવિધતાને વચ્ચે લાવી લડી રહ્યા છીએ. ધર્મ કે કોમના આધારે અંદરોઅંદર લડી મરવાનું આ પાગલપન કોઈ પણ હિસાબે બંધ થવું જ જોઈએ. નાગરિકતા સંશોધન કાયદો (સીએએ)ના મામલે સાંપ્રદાયિક ઉન્માદ ઊભો કરીને આપણે દેશની એ એકતાને નબળી પાડી રહ્યા છીએ, જેની જાળવણી માટે આપણા લાખો સ્વાતંત્ર્યસેનાનીઓએ પોતાનાં બલિદાન આપ્યાં હતાં.
એક વાત હંમેશાં યાદ રાખજો, જે દિવસે હિન્દુઓ અને મુસ્લિમો એકબીજાને શંકાની દૃષ્ટિથી જોવાનું શરૂ કરશે ત્યારે દિવસે આપણા સ્વાતંત્ર્યસેનાનીઓનાં બલિદાન એળે જશે. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવ્યા વગર ભારત કોઈ નવી ઊંંચાઈ પ્રાપ્ત કરી શકવાનું નથી. આપણી નવી પેઢી નફરતના આ ગંદા રાજકારણને ક્યારેય સ્વીકારવાની નથી કે તેના માટે આપણને માફ પણ કરવાની નથી.
ભારતને આજે વિશ્વના નકશામાં એક અનોખું સ્થાન અપાવવામાં ફક્ત હિન્દુઓ નહીં પણ મુસ્લિમો અને અન્ય સમુદાયના લોકો પણ સામેલ છે. ભારત દરેકનું છે અને તમામ ધર્મના લોકો મધર ઈન્ડિયાનાં જ પ્રિય બાળકો છે. ઉત્તર-પૂર્વ દિલ્હીના યમુના પારના વિસ્તારોમાં નફરતને જ પોતાનો ધર્મ માનતા કેટલાક મુઠ્ઠીભર લોકોએ હિન્દુ અને મુસ્લિમ વચ્ચે એવી સ્થિતિ સર્જી દીધી કે તેમાં ભાઈચારો, શાંતિ, સૌહાર્દ બધું જ હોમાઈ ગયું.
તમે સીએએના વિરોધમાં હો કે પછી તેના સમર્થનમાં, તમને આ દેશની એકતા, અખંડતા કે શાંતિનો ભંગ કરવાનો કોઈ અધિકાર નથી જ. આ દેશમાં લોકશાહી છે અને દરેક નાગરિકને પોતાનો મત રજૂ કરવાનો, સરકાર સાથે કે તેમના નિર્ણય સાથે સંપૂર્ણ અસહમત થવાનો કે પછી કોઈ પણ કાયદાનો વિરોધ કરવાનો પણ અધિકાર મળેલો જ છે. આ તમામ અધિકારો તેની સાથે કેટલીક ફરજો પણ લઈ આવે છે, જેનું ચુસ્ત પાલન એક આદર્શ નાગરિક તરીકે આપણે બધાંએ કરવું જ રહ્યું.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ અહિંસાના રસ્તે ચાલીને અંગ્રેજ સલ્તનતના પાયા હચમચાવી દીધા હતા. ક્રૂર અંગ્રેજ શાસકો ક્રાંતિકારીઓથી નહોતા ડરતા એટલા ગાંધીજીના અહિંસક આંદોલન અને ઉપવાસથી ડરતા હતા. હિંસા ક્યારેય કોઈ સમસ્યાનું આખરી સમાધાન હોઈ જ ના શકે. હિંસા પાછળનાં કારણો ગમે તેટલાં મજબૂત કેમ ન હોય પણ તે ક્યારેય સ્વસ્થ સમાજમાં સ્વીકાર્ય હોઈ જ ના શકે.
આપણી ધાર્મિક કટ્ટરતા અને લાગણી સાથે થોડી રમત કરીને કોઈ પણ વ્યક્તિ જો આપણને હિંસાના હાથા બનાવી જાય તો આપણે ફરી એક વખત આપણી માનસિકતા પર વિચાર કરવાનો સમય આવી ગયો છે તેમ માનવું. નફરત અને ધાર્મિક ઉન્માદનું આ હલકું રાજકારણ આજકાલનું નથી, સદીઓથી ચાલતું આવ્યું છે. અફસોસ એ વાતનો રહે કે આટલાં વર્ષ બાદ પણ હજુ આપણે આ બધા સાવ ક્ષુલ્લક મુદ્દાના કારણે હિંસક બનીને ખુદ આપણું જ નુકસાન કરીએ છીએ અને તેનો કોઈને પસ્તાવો પણ નથી. •