કૃષિ કાયદા સામે ખેડૂતોનું પ્રદર્શન ચાલુ છે અને ઠંડીમાં પણ આંદોલનકારી ખેડૂતો દિલ્હી બોર્ડર પર અડગ છે. આ વચ્ચે મીડિયાની ખબરો અનુસાર એક ખેડૂતના મોતના સમાચાર મળી રહ્યાં છે.
દિલ્હીમાં ખેડૂતોના આંદોલન દરમ્યાન સોનીપતની સિંઘુ બોર્ડર પર એક ખેડૂતનું મોત નીપજ્યું છે. ખેડૂત આંદોલનમાં TDI સિટીની સામે ખેડૂતનું મોત નીપજ્યું છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી ખેડૂતનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.
એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃતક ખેડૂતનું નામ અજય છે અને તે 32 વર્ષનો છે. તે સોનીપતનાં બરોડાનો રહેવાસી છે. અજય એક એકર જમીનનો ખેડૂત હતો અને જમીન કરાર પર લઈ ખેતીકામ કરતો હતો. તેઓ ખેડૂત આંદોલનમાં પણ ભાગ લઈ રહ્યા હતા. રાત્રે જમ્યા પછી સુઈ ગયો અને સવારે ઉઠ્યો જ નહીં. પરિવારજનોનો આક્ષેપ છે કે તેનું ઠંડીના કારણે મોત થયું છે.
ઉલ્લેખનીય છે કે સરકારના ત્રણ કૃષિ કાયદા સહિત અનેક માંગણીઓને લઈને ખેડૂતો છેલ્લા 12 દિવસથી દિલ્હીની વિવિધ સરહદો પર ચક્કાજામ કરીને બેઠાં છે. હજારો ખેડૂતો તેમના ટ્રેક્ટરમાં રાત-દિવસ વિતાવી રહ્યા છે. ઠંડીની મોસમમાં ખેડૂતોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. સિંઘુ, ટિકરી, ગાઝીપુર અને ચીલા સરહદે ખેડૂતોએ જમાવડો કર્યો છે અને તેમને સમર્થન પણ મળી રહ્યું છે.
સરકાર અને ખેડૂતો વચ્ચે કૃષિ કાયદા અંગેના ગતિરોધને ઘટાડવા માટે પાંચ તબક્કાની વાટાઘાટો થઈ છે, પરંતુ હજી સુધી કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી. આ વચ્ચે આજે ખેડૂતોએ ભારત બંધનું એલાન આપ્યું છે. ખેડૂતોના ભારત બંધને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. કેટલીક જગ્યાઓએ વિપક્ષ દ્વારા જબરદસ્ત પ્રદર્શન થયું છે તો કેટલીક જગ્યાએ તમામ સેવાઓ અને દુકાનો ચાલુ જોવા મળી હતી.
ખેડૂતો 12 દિવસથી અડગ
આંદોલનનો આજે 13મો દિવસ છે ત્યારે દિલ્હી-હરિયાણા હાઇવે પર સામાજીક સંસ્થાઓ અને અન્ય લોકો દ્વારા આ ખેડૂતોને જમવાની પુરતી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મોટી સંખ્યામાં દરરોજ ખેડૂતો જોડાઇ રહ્યા છે. એક આંદોલનકારી ખેડૂતે વીટીવી સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ઝડપથી આંદોલનનો અંતે આવે તેવું અમે પણ ઇચ્છી રહ્યા છીએ. આ રસોડું આજકાલથી નહીં આંદોલનના પહેલા દિવસથી બનાવવામાં આવી રહ્યું છે. લંગરમાં દરરોજ હજ્જારો લોકો જમી રહે છે. ખેડૂતો માટે દાળ-ભાત, હલવો જેવા તમામ પ્રકારના ભોજન અહીં બનાવવામાં આવી રહ્યા છે. બીજી બાજુ ખેડૂતોએ એમ પણ કહ્યું હતું કે મારા સાત વર્ષના દીકરાએ કહ્યું હતું કે ભલે ગોળી વાગે પણ જીતીને આવજો.
અગાઉ હાર્ટ એટેકને કારણે થયું હતું ખેડૂતનું મોત
થોડા દિવસો પહેલા, કૃષિ કાયદાને રદ કરવા માટે દિલ્હીમાં ચાલી રહેલા આંદોલનમાં ભાગ લઈને પરત આવેલા હબુઆના ગામના ખેડૂત કવલજીતસિંહનું મોત થયું હતું મોતનું કારણ હાર્ટ એટેક હોવાનું જણાવ્યું હતું. બસમાંથી ઉતરતી વખતે હાર્ટ એટેક આવ્યો હતો અને તેઓ નીચે પડી ગયા હતા જેના કારણે ખેડૂતને માથામાં ઈજા પહોંચી હતી. સારવાર દરમ્યાન તેને મૃત જાહેર કરાયો હતો.