દિલ્હી સરકારે દસમા અને બારમા ધોરણ માટે શાળાઓ ખોલવાનો આદેશ આપ્યો છે. આ શાળાઓ 18 જાન્યુઆરીથી ખુલશે. બોર્ડની પરીક્ષાઓની તૈયારીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. તાજેતરમાં જ દિલ્હીના નાયબ સીએમ અને શિક્ષણ પ્રધાન મનીષ સિસોદીયાએ કહ્યું હતું કે અમે બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં રાખીને શાળા ખોલવાનું વિચારી રહ્યા છીએ.
દિલ્હીમાં પણ શરૂ થશે શાળાઓ
18 જાન્યુઆરીથી ખુલશે સ્કૂલો
ધો.10 અને 12ના ક્લાસ થશે શરૂ
આ અંગે શિક્ષણ પ્રધાન મનીષ સિસોદિયાએ ટ્વિટ કર્યું હતું કે, CBSE બોર્ડની પરીક્ષાઓ અને દિલ્હીમાં પ્રેક્ટિકલ્સને ધ્યાનમાં રાખીને 18 મી જાન્યુઆરીથી ધોરણ 10 અને 12 ના વર્ગ માટે પ્રાયોગિક, પ્રોજેક્ટ, પરામર્શ વગેરે માટે શાળાઓ ખોલવાની મંજૂરી આપવામાં આવી રહી છે. ફક્ત બાળકોને માતાપિતાની સંમતિથી બોલાવી શકાય છે. બાળકોને ફરજીયાત આવવા માટે દબાણ કરી શકાશે નહીં.
કોરોના મહામારીને લઈને બંધ કરાઇ હતી શાળાઓ
આપને જણાવી દઈએ કે દિલ્હીમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને, 16 માર્ચ 2020 ના રોજ, કેજરીવાલ સરકારે તમામ શાળાઓ બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. ત્યારબાદથી પાટનગરની તમામ શાળાઓ બંધ છે. જોકે ઓનલાઇન વર્ગો ચાલુ છે. હવે શાળા ખોલવાનો હુકમ કોરોનાની ગતિ અને કોરોના રસીકરણની શરૂઆત સાથે જારી કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, પંજાબ, ગુજરાતમાં પણ ખુલશે શાળા-કોલેજ
પંજાબ સરકારે 7 જાન્યુઆરીથી રાજ્યની તમામ શાળોએ શરૂ કરી છે. તમામ સરકારી, અર્ધ-સરકારી તથા તમામ પ્રાઇવેટ સ્કૂલો ખુલશે. સ્કૂલો ખુલવાનો સમય સવારે 10 વાગ્યાથી બપોરના 3 સુધીનો રહેશે. હાલ 5થી12 ધોરણના વિદ્યાર્થીઓને શાળાએ આવવાની મંજૂરી છે. ગુજરાતમાં પણ 11 જાન્યુઆરીથી 10 અને 12માં ધોરણના બાળકો સ્કૂલો આવી રહ્યા છે.
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એક વાર ફરી કેન્દ્ર સરકારને અપીલ કરી છે કે દેશભરના લોકોને કોરોના વેક્સીન મફતમાં આપવામાં આવે. દિલ્હીનો ઉલ્લેખ કરતા કેજરીવાલે કહ્યું કે જો કેન્દ્ર સરકાર અહીંના લોકોને મફતમાં વેક્સીન નહીં આપે તો દિલ્હીની સરકાર પોતાના ખર્ચે દિલ્હીની જનતાને મફતમાં વેક્સીન આપશે.
ઉલ્લેખનીય છે કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ હંમેશાથી કોરોના વેક્સીનને મફતમાં લગાવાની માગ કરતા જોવા મળ્યાં છે. પોતાની માંગને CM અરવિંદ કેજરીવાલે બુધવારે ફરી જણાવી, કેન્દ્ર સરકારને અપીલ કરી હતી કે આપણો દેશ ઘણો ગરીબ છે અને આ મહામારી 100 વર્ષમાં પહેલી વખત આવી છે.