કોરોના સંકટમાં દિલ્હી સરકારે એક મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ઘર ઘર રાશન યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો છે. આ યોજના લાગૂ થતાં જ દિલ્હીવાસીઓને ઘરે રાશન પહોંચશે. એટલે કે હવે લોકોને દુકાને જવાની જરૂર રહેશે નહીં.
દિલ્હી સરકારે લીધો મોટો નિર્ણય
મુખ્યમંત્રી ઘર ઘર રાશન યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો
લોકોને ઘરે બેઠાં જ મળી રહેશે અનાજ
લોકોને પડી રહી છે આવી મુશ્કેલીઓ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ડિજિટલ પ્રેસ કોન્ફરન્સમાં તેની જાણકારી આપી હતી. તેઓએ કહ્યું કે દેશમાં દરેક સરકાર કેન્દ્ર સરકારની સાથે મળીને રાજ્યના ગરીબ લોકોને અનાજ પહોંચાડી રહી છે. જ્યારથી દેશમાં રાશન વહેંચવાનું શરૂ થયું છે ત્યારથી ગરીબ લોકોને રાશન લેવામાં તકલીફ પડી રહી છે. ક્યારેક દુકાન બંધ હોય છે તો ક્યારેક મિલાવટ વાળું અનાજ મળે છે, ક્યારેક રૂપિયા પણ વધારે લેવામાં આવે છે.
મુખ્યમંત્રી ઘર ઘર રાશન યોજનાની થશે શરૂઆત
મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું કે અમે છેલ્લા 5 વર્ષમાં રાશનની વ્યવસ્થામાં અનેક સુધારા કર્યા છે. આજે અમારી કેબિનેટે જે નિર્ણય લીધો છે તે કોઈ ક્રાંતિકારી નિર્ણયથી ઓછો નથી. આજે અમે દિલ્હીમાં ડોર સ્ટેપ ડિલિવરી ઓફ રાશનની યોજનાને મંજૂરી આપી છે. આ યોજનાનું નામ મુખ્યમંત્રી ઘર ઘર રાશન યોજના રહેશે. વધુમાં તેઓએ કહ્યું કે આ યોજનાના આધારે હવે લોકોને રાશનની દુકાને જવું પડશે નહીં પણ રાશન લોકોના ઘર સુધી પહોંચશે. એફસીઆઈના ગોડાઉનથી ઘઉં લેવાશે તેને પીસાવાશે. ચોખા અને ખાંડના પણ પેકિંગ કરાશે અને તેને લોકોના ઘર સુધી પહોંચાડવામાં આવશે.
લોકોને આપવામાં આવશે વિકલ્પ
સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે લોકોને એ વિકલ્પ આપવામાં આવશે કે જો તેઓ દુકાન પર જઈને રાશન લેવા ઈચ્છે છે તો લઈ શકે છે. હોમ ડિલિવરી ઈચ્છે છે તો તે પણ ઉપયોગમાં લઈ શકે છે. તેઓએ કહ્યું કે આવનારા 6થી 7 મહિનામાં હોમ ડિલિવરી રાશન શરૂ થશે. તેમાં ઘઉને બદલે લોટ અપાશે. કેજરીવાલ સરકારે એમ પણ કહ્યું કે જે દિવસે દિલ્હીમાં રાશનની હોમ ડિલિવરી શરૂ થશે એ દિવસે જ કેન્દ્ર સરકારની વન નેશન વન રાશન કાર્ડ યોજના પણ લાગૂ કરાશે.
અમે અપાવતા હતા ગરીબોને અનાજ
આ નિર્ણયની જાણકારી આપતાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે તે સમયનો પણ ઉલ્લેખ કર્યો હતો જ્યારે તે રાજનીતિમાં ન હતા. સીએમએ કહ્યું કે વ્યક્તિગત રીતે મારા માટે આ ખુશીની વાત છે કેમકે રાજનીતિમાં આવતા પહેલાં હું અને મનીષ સિસોદિયા પરિવર્તન નામની સંસ્થા ચલાવતા હતા. દિલ્હીની ઝૂંપડપટ્ટીના ગરીબ લોકો સાથે કામ કરતા હતા. તેમના હક માટે કામ કરતા હતા. તેમને રાશન ન મળતું તો લાવી આપતા હતા. સૂચનાનો અધિકાર તાયદાનો સૌથી મોટો ઉપયોગ અમે લોકોને રાશન અપાવવામાં કર્યો. એ સમયે પણ લોકોનું રાશન ચોરી લેવામાં આવતું અને પૂરું રાશન તેમના સુધી પહોંચતું ન હતું. સરકારી કાગળ પર તો એન્ટ્રી થતી કે અમે બધાને રાશન આપ્યું છે અને તેમના ખોટા અંગૂઠા પણ લાગી જતા હતા.