દિલ્હી સરકારે વાહનનું પોલ્યુશન સર્ટિફિકેટ ન ધરાવતા વાહન માલિકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. રાજધાનીમાં વાહનોના પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.
રાજધાની દિલ્હીમાં વાહનોના PUC ને લઈને કડક કાર્યવાહી
દિલ્હીમાં 17 લાખ વાહનોના PUC બનાવવામાં નથી આવ્યા
PUC વગર વાહન ચલવવા પર 10,000 દંડ લેવામાં આવશે
દિલ્હી સરકારે વાહનનું પોલ્યુશન સર્ટિફિકેટ(PUC) ન ધરાવતા વાહન માલિકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. રાજધાની દિલ્હીમાં વાહનોના પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. જેની પાસે વાહનનું પોલ્યુશન સર્ટિફિકેટ નથી તેમને 10 હજાર રૂપિયાનો દંડ ભરવાની સાથે છ મહિનાની જેલની સજા થઈ શકે છે. સરકારે આવા ઘણા લોકોને નોટિસ મોકલવાનું શરૂ કરી દીધું છે, જેમાં પ્રદૂષણના પ્રમાણપત્ર રજૂ કરવા અથવા દંડ ભરવા માટે કહેવામાં આવ્યું છે. રીપોર્ટ અનુસાર, દિલ્હીમાં 17 લાખ વાહનો એવા છે જેમના પ્રદૂષણના પ્રમાણપત્ર બનાવવામાં આવ્યા નથી. જેમાંથી 13 લાખ ટુ-વ્હીલર છે જ્યારે 3 લાખ કાર છે.
વાહન માલિકોને SMS મોકલવામાં આવ્યા
અધિકારીઓના જણાવ્યા અનુસાર 14 લાખ વાહન માલિકોને એસએમએસ મોકલીને કહેવામાં આવ્યું છે કે તેઓ પોતાના વાહનોનું પોલ્યુશન સર્ટિફિકેટ બનાવે નહીં તો તેમને ભારે દંડ ભરવો પડશે. જો કે અધિકારીઓનું કહેવું છે કે રોડ પર ચાલતાં વાહનો માટે જ પોલ્યુશન સર્ટિફિકેટ જરૂરી છે. જો કોઈ વાહન રસ્તા પર ન આવે તો તેને મુક્તિ આપવાની કાયદાકીય જોગવાઈ છે. પરંતુ, જો તે વાહન સર્ટિફિકેટ વગર રસ્તા પર જોવા મળશે તો દંડ ફટકારવામાં આવશે.
10,000 નો દંડ અને જેલની સજા
હાલના મોટર વ્હીકલ એક્ટ મુજબ પીયુસી વગર વાહન ચલાવવા પર 10 હજાર રૂપિયા સુધીનો દંડ અથવા 6 મહિના સુધીની સજા થઈ શકે છે. આ ઉપરાંત આ બન્ને પગલાં પણ એક સાથે લઈ શકાય છે. ઉલ્લેખનીય છે કે મોટર વાહનો માટે પ્રદૂષણનું પ્રમાણપત્ર ફરજિયાત કરવામાં આવ્યું છે જેથી એ જાણી શકાય કે રસ્તા પર ચાલતું વાહન પ્રદૂષણના ધારા-ધોરણની દ્રષ્ટિએ યોગ્ય છે કે નહીં.ગયા વર્ષે પરિવહન વિભાગ દ્વારા 60 લાખથી વધુ પીયુસી પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. પીયુસી સર્ટિફિકેટમાં વાહનોમાં કાર્બન મોનોક્સાઇડ (CO) અને કાર્બન ડાયોક્સાઇડ (CO2) જેવા પ્રદૂષક પરિબળોની તપાસ કરવામાં આવે છે અને પ્રમાણપત્ર આપવામાં આવે છે.