દિલ્હી મહિલા આયોગે દિલ્હી પોલીસ સાથે મળીને એક 8 મહિનાના બાળકનું રેેસ્ક્યૂ કર્યું છે. જેને તેના માતા-પિતાએ જ 5 લાખ રૂપિયામાં વેચી દીધું હતું.
દિલ્હીમાંથી એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો
3 દિવસના બાળકને પાંચ લાખમાં વેચી દીધું
પુરતા પૈસા ન મળતા માતા મહિલા આયોગમાં પહોંચી
દિલ્હી મહિલા આયોગે દિલ્હી પોલીસ સાથે મળીને એક 8 મહિનાના બાળકનું રેેસ્ક્યૂ કર્યું છે. જેને તેના માતા-પિતાએ જ 5 લાખ રૂપિયામાં વેચી દીધું હતું. તે સમયે બાળક ફક્ત 3 દિવસનું હતું. બાળકને વેચી દીધા બાદ પુરેપુરા રૂપિયા ન મળ્યા તો, બાળકની માતાએ દિલ્હી મહિલા આયોગને ફરિયાદ કરી જે બાદ આયોગે આ મામલે એક્શન લીધી.
આયોગના જણાવ્યા અનુસાર, બાળકના બદલામાં તેના માતા-પિતાને 5 લાખ રૂપિયા આપવાની વાત થઈ હતી. જેમાંથી 20,000 રૂપિયા તો તુરંત આપી દીધા હતા, બાકીના રૂપિયા બાદમાં આપવાની વાત થઈ હતી. પણ 7 મહિના વિતવા છતાં પણ માતા-પિતાને બાળકના પુરા રૂપિયા મળ્યા નહીં તો, બાળકની માતાએ આયોગમાં ફરિયાદ કરી. બાળકને વેચનારી માતા આયોગ પાસેથી પુરા પૈસા મળે તેવી ફરિયાદ લઈને પહોંચી હતી, આ દરમિયાન મહિલા આયોગ એક્શનમાં આવી.
બહેનપણી આપી બાળક વેચવાની સલાહ
બાળકની માતાએ હેલ્પલાઈન નંબર 181 પર ફરિયાદ કરીને આયોગ પાસેથી અન્ય મહિલા જેને બાળક વેચ્યું હતું, તેની પાસેથી બાકીના રૂપિયા અપાવવા માટે મદદ માગી હતી, જે બાદ આ સમગ્ર મામલો સમજવા માટે આયોગે તાત્કાલિક એક ટીમ બનાવી. બાદમાં આ ટીમ દ્વારા બાળકની માતા સાથે પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, તેમને પહેલાથી 4 બાળકો છે અને પાંચમુ સંતાન નથી જોતું. ત્યારે આવા સમયે માતાએ જ્યારે ગર્ભપાત કરાવાનું વિચાર્યું તો, તેની એક બહેનપણી આવું ન કરવાની સલાહ આપી અને બાળકને જન્મ આપીને તેને વેચી નાખવાની વાત કહી.ત્યાર બાદ બાળકની માતા આ વાતને લઈને રાજી થઈ ગઈ અને બાળકને જન્મ આપ્યા બાદ ત્રીજા જ દિવસે તેણે આ બાળકનો 5 લાખમાં સોદો કરી નાખ્યો, બાળકની માતા સાથે તેના પિતા પણ રાજી થઈ ગયા.
એક મહિના બાદ ગુરૂગ્રામથી બાળકનું કર્યું રેસ્ક્યૂ
બાળકના જન્મ પહેલા જ તેના માતા-પિતાએ સોદો કરી નાખ્યો હતો, જ્યારે આયોગની સામે આ મામલો આવ્યો તો, દિલ્હી પોલીસે તેની જાણકારી આપી હતી અને 11 મેના રોજ આ મામલામાં ફરિયાદ નોંધાઈ. જે બાદ દિલ્હી મહિલા આયોગ અને દિલ્હી પોલીસે બાળકને શોધવા માટે અભિયાન શરૂ કર્યું અને એક મહિના બાદ 11 જૂનના રોજ બાળકને ગુરૂગ્રામના એક ગામમાંથી બાળકનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું. દિલ્હી પોલીસે બાળકની માતા સહિત બાળકની તસ્કરી અને વેચાણમાં સામેલ 8 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. જો કે, આ મામલો ધ્યાનમાં આવતા બાળકના પિતા ફરાર છે અને હાલમાં તેની શોધખોળ ચાલી રહી છે.
તેની સાથે જ આ સમગ્ર મામલાને લઈને આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે ઘટના પર નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે, આ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે કે માતા-પિતાએ પોતાનું જ 3 દિવસનું બાળક વેચી માર્યું. દિલ્હી પોલીસ અને દિલ્હી મહિલા આયોગે બાળકને સફળતાપૂર્વક બચાવી લીધું છે. જે હાલમાં એક આશ્રય ગૃહમાં સુરક્ષિત રાખવામાં આવ્યું છે. આ મામલે ફરિયાદ પણ દાખલ કરવામા આવી છે અને આરોપીઓની ધરપકડ પણ થઈ ગઈ છે. બાળ કલ્યાણ સમિતિ આ બાળકને યોગ્ય અને તાત્કાલિક પુનર્વાસ કરવા માગે છે. આ અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે કે, બાળ તસ્કરીના કિસ્સા સતત વધી રહ્યા છે. જેને કડક કાર્યવાહી થકી રોકી શકાય છે.