પ્રજાસત્તાક દિવસે દિલ્હીમાં કોહરામ બાદ હવે પોલીસ અને ગૃહમંત્રાલય સતત એક્શન લઈ રહ્યા છે, ખેડૂત અગ્રણીઑ સામે લુકઆઉટ નોટિસના આદેશ આપી દેવાયા છે.
- દિલ્હી પોલીસે અત્યાર સુધી 20 ખેડૂત અગ્રણીઓને નોટિસ ફટકારી, ત્રણ દિવસમાં માંગ્યો જવાબ
- ગૃહમંત્રાલય પણ એક્શનમાં આવ્યું, લુકઆઉટ નોટિસ જાહેર કરવાના આદેશ
- 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર પરેડમાં દિલ્હીમાં થઈ હતી હિંસા
લુકઆઉટ નોટિસના કારણે ખેડૂત નેતાઓના પાસપોર્ટ થઈ જશે જપ્ત
લુકઆઉટ નોટિસ જાહેર
ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસને લુકઆઉટ નોટિસ આપવાના આદેશ આપ્યા છે, જે ખેડૂત નેતાઓ સામે વિવિધ ફરિયાદો દાખલ થઈ છે તેમની સામે આ લુકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી છે. આ લુકઆઉટ નોટિસની મદદથી જે નેતાઑ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમને પોલીસ પાસપોર્ટ જમા કરાવી દેવા કહેશે જેથી તેમને દેશ છોડીને જતાં રોકી શકાય.
દિલ્હી પોલીસે પહેલા 20 નેતાઓને પાઠવી હતી નોટિસ
નોંધનીય છે કે આ પહેલા દિલ્હી પોલીસે વિવિધ નેતાઓને નોટિસ ફટકારી હતી જેમાં ત્રણ દિવસમાં જવાબ આપવા કહેવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ નેતાઓ સાથે પહેલા દિલ્હી પોલીસે બેઠક કરી હતી અને તેમાં નેતાઓએ પોલસીનો શરતો માની હતી અને તે બાદ જ રેલીને મંજૂરી આપવામાં આવી હતી. હવે નેતાઓને આ મુદ્દે નોટિસ આપવામાં આવી છે અને પૂછવામાં આવ્યું છે કે તમારા વિરુદ્ધ કાર્યવાહી કેમ ન કરવામાં આવે.
37 નેતાઓ સામે ફરિયાદ દાખલ
દિલ્હીમાં ટ્રેક્ટર પરેડમાં કોહરામ જોવા મળ્યો હતો જેમાં ઘણા હિંસક ટોળાંઑ છેક લાલ કિલ્લા સુધી પહોંચી ગયા હતા. જે બાદ દિલ્હી પોલીસ એક્શનમાં આવી છે અને 37 જેટલા નેતાઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાકેશ ટીકૈત, યોગેન્દ્ર યાદવ અને મેધા પાટકર જેવા અગ્રણીઓનું તેમાં નામ સામેલ છે. યોગેન્દ્ર યાદવ, બળદેવ સિંહ સિરસા અને રાજેવાલ સહિતના 20 નેતાઓને નોટિસ આપવામાં આવી છે અને ત્રણ દિવસમાં તેમણે જવાબ આપવાના રહેશે.
પોલીસ કમિશનર પણ એક્શનમાં
દિલ્હી પોલીસ કમિશનર શ્રીવાસ્તવે પણ આરોપ લગાવ્યો હતો કે ઘણા બધા ખેડૂત નેતાઓએ ભડકાઉ ભાષણો આપ્યા અને હિંસામાં પણ તે સામેલ હતા. હવે આ હિંસામાં ખેડૂત નેતાઓનો કેટલો હાથ છે તેના પર તપાસ કરવામાં આવશે. દિલ્હીમાં થયેલ હિંસા,આ કુલ 394 જવાનો ઇજાગ્રસ્ત થયા છે.
Delhi Police issues Lookout Notice (LOC) against farmer leaders with the help of immigration: Delhi Police