ખેડૂતોની ટ્રેકટર રેલીના મુદ્દે શનિવારે દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓની એક તાકીદની બેઠક મળી હતી
દિલ્હી પોલીસે પ્રદર્શકારી ખેડૂતોને 26 જાન્યુઆરીએ તેમની પ્રસ્તાવિત ટ્રેક્ટર રેલીને લીલીઝંડી આપી દીધી છે. દિલ્હી પોલીસની લીલીઝંડી મળતા ખેડૂતોએ હવે ટ્રેક્ટર રેલી કાઢવાની તૈયારી શરૃ કરી દીધી છે. ત્રણ વિવાદાસ્પદ કાયદા કાયમી ધોરણે સ્થગિત કરવાની માગ નામંજૂર થઈ હોવાથી સરકાર અને ખેડૂત સંગઠનના નેતાઓ વચ્ચે 11 મા રાઉન્ડની મંત્રણા પડી ભાંગી છે.દિલ્હી પોલીસ સાથે ખેડૂત સંગઠનોની બેઠક બાદ ખેડૂત નેતા અભિમન્ય કોહરે એવું જણાવ્યું કે પોલીસે અમને 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર પરેડની મંજૂરી આપી છે.
સામાજિક કાર્યકર યોગેન્દ્ર યાદવે એવું જણાવ્યું કે 26 જાન્યુઆરીએ પરેડ યોજાશે અને સવાર સુધીમાં મીડિયાને ફાઈનલ રૃટની જાણ કરવામાં આવશે.પ્રજાસત્તાક દિવસે અમે દિલ્હીમાં પ્રવેશ કરીશું.કેટલાક રૃટ્સ નક્કી કરાયા છે.તેની પર સહમતી બની છે અને રસ્તા પરથી બેરિકેડ હટાવાશે.ટ્રેક્ટર પર ઝાંકીની ઉંચાઈ ટ્રક કરતા વધારે નહીં હોય. ટ્રેક્ટરની સંખ્યા પર કોઈ પાબંધી નથી. જ્યાં જ્યાં ખેડૂતો બોર્ડર પર બેઠા છે ત્યાં બેરિકેડ હટાવી લેવામાં આવશે અને અમે દિલ્હીમાં દાખલ થઈશું.
દિલ્હી પોલીસની મહત્વની બેઠક
ખેડૂતોની ટ્રેકટર રેલીના મુદ્દે શનિવારે દિલ્હી પોલીસના ઉચ્ચ અધિકારીઓની એક તાકીદની બેઠક મળી હતી અને તેમાં ખેડૂતોને 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર રેલી કાઢવા દેવી કે નહીં તે અંગેની ચર્ચા કરાઈ હતી ત્યાર બાદ ખેડૂતોને મંજૂરી આપવામાં આવી હતી. અત્યાર સુધી ખેડૂત અને સરકાર વચ્ચે 11 રાઉન્ડ મંત્રણા યોજાઈ છે તેમ છતાં પણ કંઈ નક્કર સમાધાન નીકળતું નથી. દરમિયાન હરિયાણાના સીએમ મનોહરલાલ ખટ્ટરે એવું જણાવ્યું કે ખેડૂતો દ્વારા સોંપવામાં આવેલા નકાબપોશ વ્યક્તિની પોલીસ પૂછપરછ કરી રહી છે અને ત્યાર બાદ જ કંઈ કહી શકાશે.રાજભવન આગેકૂચ કરી રહેલા મધ્યપ્રદેશ કોંગ્રેસના કાર્યકરોને વિખેરી નાખવા માટે પોલીસને બળપ્રયોગ કરવો પડ્યો હતો. કોંગ્રેસના સિનિયર નેતા કમલનાથની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યકરો ભોપાલ સ્થિત રાજભવન તરફ આગેકૂચ કરી રહ્યાં હતા ત્યારે પોલીસે તેમને વિખેરવા માટે પાણી અને ગેસનો મારો ચલાવ્યો હતો.