દિલ્હીના ઉપરાજ્યપાલ અનિલ બૈજલે એક સૂચના જાહેર કરી રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (રાસુકા) હેઠળ દિલ્હી પોલીસ કમિશનરને કોઇપણ વ્યક્તિને કસ્ટડીમાં લેવાનો અધિકાર આપી દીધો છે. સૂત્રોએ જણાવ્યું કે રાસુકા કાયદો એવી વ્યક્તિને સાવચેતીના ભાગ રૂપે મહીનાઓ સુધી કસ્ટડીમાં રાખવાનો અધિકાર આપે છે, જેમનાથી તંત્રને રાષ્ટ્રીય સુરક્ષા અને કાયદો વ્યવસ્થા માટે ખતરો અનુભવાઇ રહ્યો હોય.
19 જાન્યુઆરીથી 18 એપ્રિલ સુધી દિલ્હી પોલીસ કમિશનર કોઇને પણ કસ્ટડીમાં લઇ શકશે
સૂચના મુજબ ઉપરાજ્યપાલે રાષ્ટ્રીય સુરક્ષા કાયદો 1980ની કલમ 3ની પેટા કલમ (3)નો ઉપયોગ કરતા 19 જાન્યુઆરીથી 18 એપ્રિલ સુધી દિલ્હી પોલીસ કમિશનરને કોઇપણ વ્યક્તિને કસ્ટડીમાં લેવાનો અધિકાર આપ્યો છે.
આ સૂચના રાજ્યપાલની મંજૂરી બાદ 10 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવી હતી. આ નિર્ણય એવા સમયે આવ્યો છે કે જ્યારે રાષ્ટ્રીય રાજધાનીમાં સંશોધિત નાગરિકતા કાયદો (CAA) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (NRC)ની વિરુદ્ધ પ્રદર્શન થઇ રહ્યા છે.
દિલ્હી પોલીસે શું કહ્યું ?
દિલ્હી પોલીસનું કહેવું છે કે, નેશનલ સિક્યોરિટી એક્ટ (National Security Act) નું નોટિફિકેશન એક રૂટીન પ્રક્રિયા છે, જેનું દર ત્રણ મહીને નોટિફિકેશન નીકળે છે, એટલે કે આ દર ત્રણ મહીને રિન્યૂ થાય છે, તે વર્ષોથી થતો આવે છે, તેનો CAA અને ચૂંટણીથી કોઇ લેવા દેવા નથી. પોલીસનું કહેવું છે કે, એ જાણી નથી શકાયું કે, આ નોટિફિકેશન કોણે વાયરલ કરીને તેને વિરોધ પ્રદર્શન અને ચૂંટણી સાથે ક્યારે જોડી દેવામાં આવ્યું.
શાહીન બાગના પ્રદર્શનકારીઓને દિલ્હી પોલીસની અપીલ
નાગરિકતા કાયદો (CAA) અને NRCને લઇને દિલ્હીના શાહીન બાગમાં પ્રદર્શનને કારણે સારિતા વિહાર અને કાલિંદી કુંજનો રસ્તો એક મહીના સુધી બંધ છે. દિલ્હી પોલીસ તરફથી એકવાર ફરી પ્રદર્શનકારીઓને રસ્તો ખોલવાની અપીલ કરવામાં આવી છે. દિલ્હી પોલીસ તરફથી ટ્વિટ કરવામાં આવ્યું છે કે, અમે પ્રદર્શનકારીઓને અપીલ કરીએ છીએ કે તેઓ સહયોગ કરે અને જનતાના હિતમાં રસ્તો ખાલી કરી દે.
નોંધનીય છે કે, શાહીન બાગ વિસ્તારમાં વાહનોની અવરજવર શરૂ કરવાની માંગને લઇને આપવામાં આવેલી અરજી પર દિલ્હી હાઇકોર્ટે પોલીસને આદેશ આપ્યો કે, કાયદો વ્યવસ્થા અને જનતાનું હિત જોતા કાર્યવાહી કરવામાં આવે.