દિલ્હી અને આસપાસની બોર્ડર પર ખેડૂતો ઘણા મહિનાથી આંદોલન કરી રહ્યા છે ત્યારે રાકેશ ટિકૈતે મોટું નિવેદન આપ્યું છે.
અમે નોઇડા બોર્ડર બ્લોક કરીશું : ટિકૈત
તારીખ હજુ નક્કી કરવાની બાકી છે : ટિકૈત
26 જાન્યુઆરી બાદ ખાલી થઈ ગઈ હતી બોર્ડર
રાકેશ ટિકૈતની ચેતવણી
દિલ્હીથી નોઇડા જતાં લોકો માટે પરેશાની વધી શકે છે. ખેડૂત નેતા રાકેશ ટિકૈતે દાવો કર્યો છે કે દિલ્હી અને આસપાસની બોર્ડરની જેમ જ દિલ્હી-નોઇડા બોર્ડર બ્લોક કરી દેવામાં આવશે. રાકેશ ટિકૈતે કહ્યું છે કે કિસાન સંઘર્ષ સમિતિએ હજુ તારીખો નક્કી નથી કરી પરંતુ જેવી જ તારીખ નક્કી કરવામાં આવશે દિલ્હી-નોઇડા બોર્ડરને બ્લોક કરી દેવામાં આવશે.
પહેલા ખાલી થઈ હતી આ બોર્ડર
નોંધનીય છે કે આ પહેલા ખેડૂત આંદોલનના સમર્થનમાં ભારતીય કિસાન યુનિયન- ભાનૂના કાર્યકાર્તાઑએ આ બોર્ડરને બ્લોક કરીને રાખી હતી. જોકે 26મી જાન્યુઆરીના રોજ લાલ કિલ્લા પર થયેલી હિંસા બાદ ભારતીય કિસાન યુનિયન-ભાનુ દ્વારા આંદોલન પરત ખેંચી લેવામાં આવ્યું હતું અને આ બોર્ડર ખાલી થઈ ગઈ હતી. જોકે હવે આ બોર્ડર પર ફરીથી સંગ્રામ જોવા મળે તેવી આશંકા છે. રાકેશ ટિકૈતના એલાન બાદ હવે ફરીથી આંદોલનકારીઓ આ બોર્ડર પર એકઠા થવાની આશંકા છે.
આંદોલનના ચાર મહિના પૂર્ણ થવાના આરે
નોંધનીય છે કે ત્રણ મહિનાથી પણ વધુ સમયથી સિંઘુ બોર્ડર, ગાજીપુર બોર્ડર અને ટિકરી બોર્ડર પર ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને ત્રણેય બોર્ડરને બંધ રાખવામાં આવી છે. આ બોર્ડર પર સામાન્ય પ્રજાએ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. નોંધનીય છે કે થોડા સમયથી ખેડૂતોએ પોતાની રણનીતિ બદલી છે અને હવે ખેડૂત નેતાઑ બોર્ડરની જગ્યાએ વિવિધ રાજ્યોમાં જઈને સભાઑ કરી રહ્યા છે અને સરકાર તથા ભાજપ સામે પ્રહાર કરી રહ્યા છે એવામાં હવે ફરીથી બોર્ડર પર હલચલ વધે તેવું નિવેદન રાકેશ ટિકૈત દ્વારા આપવામાં આવ્યું છે.