ગુજરાતની ચૂંટણી પહેલા ભાજપનો ગઢ કહેવાતી સુરતની બેઠક પર 'દિલ્હી મોડલ'ની ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે આ વખતે સુરતની 12 સીટો પર રાજકીય દાવ ખેલાઇ શકે છે.
સુરતની બેઠક પર 'દિલ્હી મોડલ'ની ચર્ચાઓ શરૂ
12 સીટો પર રાજકીય દાવ ખેલાવાની શક્યતા
ત્રીજા પક્ષની એન્ટ્રીથી ભાજપ-કોંગ્રેસ પર ભારે પડી શકે
ગુજરાતની ચૂંટણીમાં આ વખતે 182 બેઠકોને લઇને ત્રિપાંખિયો જંગ જામશે. એવામાં તમામ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણીમાં જંગી બહુમતી મેળવવા માટેના રાજકીય દાવ અપનાવવામાં આવી રહ્યાં છે. ત્યારે ગુજરાતમાં સુરત એક એવો જિલ્લો છે કે જેની 12 બેઠકોને લઇને રાજકારણ ગરમાઇ શકે છે.
તમને જણાવી દઇએ કે, સુરતમાં 12 વિધાનસભા બેઠકો આવે છે. કોંગ્રેસ અને ભાજપ અહીંયા વર્ષોથી પોતાનો રાજકીય ખેલ અપનાવી રહી છે. પરંતુ આ વખતે મુકાબલો વધારે રોમાંચક થવા જઇ રહ્યો છે. કારણ કે આ વખતે ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે AAPની એન્ટ્રી થઇ છે. જેના પડઘા છેક ભાજપની કબ્જાવાળી 12 સીટો પર પણ દેખાઇ રહ્યાં છે.
જોકે સુરતની 12 વિધાનસભા સીટો પરની સ્થિતિ શું હશે તે તો 8 ડિસેમ્બરના રોજ જ્યારે પરિણામ આવશે ત્યારે જ ખ્યાલ આવશે. પરંતુ વર્ષ 2021માં મ્યુનિસિપલ ચૂંટણી જીતીને સુરતમાં AAPએ એન્ટ્રી તો કરી લીધી હતી. એ દરમ્યાન પાર્ટીના 27 પાર્ષદોએ જીત હાંસલ કરી હતી. જોકે થોડાક સમય બાદ તેમાંથી 5 પાર્ષદોએ ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો હતો. મહત્વનું છે કે, આ વખતે રાજ્યમાં બે તબક્કામાં મતદાન યોજાવા જઇ રહ્યું છે.
આ વખતની ચૂંટણીમાં AAPએ મોટા પાટીદાર ચહેરાઓને મોકો આપ્યો
આ વખતની ચૂંટણીમાં AAPએ 12 વિધાનસભા બેઠકો પર મોટા પાટીદાર ચહેરાઓને મોકો આપ્યો છે. જેમાંથી વરાછા બેઠક પરથી અલ્પેશ કથીરિયા, ઓલપાડથી ધાર્મિક માલવિયા અને કતારગામથી ગોપાલ ઇટાલિયાનું નામ સામેલ છે કે જેઓ આ વખતે ચૂંટણી લડશે. એમાંય વળી ગોપાલ ઇટાલિયા પાસે તો AAPની કમાન પણ છે. આ સાથે પ્રચાર અભિયાન દરમ્યાન પણ પાર્ટીના પ્રમુખ ચહેરા તરીકે પણ તેઓ સામે આવી ચૂક્યાં છે.
આ સિવાય AAPએ ઇસુદાન ગઢવીને પણ ગુજરાતમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ઇસુદાન ગઢવીને પણ AAPએ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ઇસુદાન ગઢવી કે જેઓ AAPના CM પદના કેન્ડીડેટ છે. તેઓ જામખંભાળિયાથી ચૂંટણી લડશે. તથા દ્વારકા બેઠક પરથી નકુમ લખમણભાઇ બોઘાભાઇને ટિકિટ અપાઈ છે.
જુઓ AAPને કેવી રીતે ધીરે-ધીરે આગળ વધી રહ્યું છે?
મહત્વનું છે કે, ગુજરાતમાં અત્યાર સુધી ચૂંટણીમાં પહેલેથી બે જ પક્ષો વચ્ચો મુકાબલો જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે. પરંતુ આ વખતે AAPએ પણ ગુજરાતમાં જંગી જીત હાંસલ કરવા ચૂંટણી મેદાનમાં ઝંપ લાવ્યું છે. જેની તુલનાએ કોંગ્રેસનો પ્રચાર ખૂબ જ ઓછો દેખાઇ રહ્યો છે. એવું કહેવાઇ રહ્યું છે કે, કોંગ્રેસ સાયલન્ટ પ્રચાર કરી રહી છે. વરાછા સીટથી કોંગ્રેસ વિશ્વ હિન્દુ પરિષદના પૂર્વ નેતા પ્રવિણ તોગડિયાના ભત્રીજા પ્રફુલને મોકો આપ્યો છે.
જ્યારે ભાજપ તરફથી આ સીટ પર કુમાર કાનાણી મેદાનમાં છે. એક ખાનગી ન્યુઝ ચેનલના રિપોર્ટ અનુસાર, પ્રવિણ તોગડિયા કોંગ્રેસ પર તેઓને નજરઅંદાજ કરવામાં આવી રહ્યાં હોવાનો આરોપ લગાવી રહ્યાં છે. તેઓ એવું કહી રહ્યાં છે કે, 'કોઇએ પણ મને એમ નથી પૂછ્યું કે, હું કેવી રીતે અભિયાન ચલાવી રહ્યો છું, ન તો એમ પૂછ્યું છે કે મારો ખર્ચ કેવી રીતે ચાલી રહ્યો છે.' તેઓએ કહ્યું કે, 'એવામાં એક કૉલ આવે છે કે વાંસદામાં રાહુલજીની રેલીમાં 3 બસો ભરીને લોકોને લઇને જવાના છે.' મળતી માહિતી અનુસાર, કોંગ્રેસના અનેક કાર્યકર્તાઓ આ જ રીતની વાતો કરી રહ્યાં છે.
એક મીડિયા રિપોર્ટના અનુસાર, શહેરમાં ભાજપને વધારે સીટો મળશે તેવું દેખાઇ રહ્યું છે. પાર્ટીના કાર્યકર્તાઓ પણ ભાજપ 12માંથી 11 સીટો જીતવાની વાતો કરી રહ્યાં છે. જોકે સુરતમાં હાલમાં AAPની એન્ટ્રી અને તેના 'દિલ્હી મૉડલ'ની ચર્ચાઓ પણ થઇ રહી છે.