ચીન સરહદ પર ભલે તણાવ હોય અને દેશમાં ચીની ચીજોના બહિષ્કાર માટે સ્વદેશી આંદોલન જોરમાં ચાલી રહ્યું છે તેમ છતાં ચીની કંપનીઓનું વર્ચસ્વ ઓછું થઈ રહ્યું નથી. ચીનની એક કંપની કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવનાર દિલ્હી-મેરઠ સેમી હાઈસ્પીડ રેલ કોરિડોર માટે કોન્ટ્રાક્ટ મેળવવા જઈ રહી છે. આ અંગે કોંગ્રેસે સરકાર પર પ્રહાર કર્યા છે. સ્વદેશી જાગરણ મંચે પણ આ કરાર તાત્કાલિક રદ કરવાની માંગ કરી છે.
હકીકતમાં દિલ્હી-મેરઠ રિઝનલ રેપિડ ટ્રાંઝિટ સિસ્ટમ (આરઆરટીએસ) પ્રોજેક્ટના અંડર ગ્રાઉન્ડ સ્ટ્રેચ બનાવવા માટે સૌથી ઓછી બોલી ચીનની એક કંપની શાંઘાઈ ટનલ એન્જિનિયરિંગ કંપની લિમિટેડ (એસટીઇસી) દ્વારા લગાવવામાં આવી છે. એ પણ એવા સમયે જ્યારે દેશમાં ચીન વિરુદ્ધનું વાતાવરણ છે અને ચીની ચીજોનો બહિષ્કાર કરવાની વાત કરવામાં આવી રહી છે. ત્યારે ચીની કંપનીને આશરે 1100 કરોડ રૂપિયાના આ કરાર મળ્યા બાદ વિપક્ષે આકરા પ્રહાર કર્યા છે.
સ્વદેશી જાગરણ મંચે શું કહ્યું
એટલું જ નહીં ભાજપની માતૃ સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા સ્વદેશી જાગરણ મંચ (એસજેએમ) એ પણ નરેન્દ્ર મોદી સરકારને આ કરાર રદ કરવાની માંગ કરી છે. ચીનનો જોરશોરથી વિરોધ કરી રહેલા સ્વદેશી જાગરણ મંચે સરકારને આ કરાર રદ કરીને ભારતીય કંપનીને આપવા માંગ કરી છે. મંચે કહ્યું કે જો સરકારે સ્વનિર્ભર ભારત અભિયાનને સફળ બનાવવું છે તો ચીની કંપનીઓને આવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ્સમાં ભાગ લેવાનો અધિકાર ન આપવો જોઈએ.
સ્વદેશી જાગરણ મંચના રાષ્ટ્રીય સહ કન્વીનર અશ્વની મહાજને માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી પાસે માંગ કરી છે કે આ કરાર તાત્કાલિક રદ કરવામાં આવે. સૂત્રોના જણાવ્યા અનુસાર એસજેએમ ઇચ્છે છે કે મહત્વના પ્રોજેક્ટ્સમાં માત્ર ભારતીય કંપનીઓને બોલી લગાવવાની તક મળે. મંચે મંત્રાલય સુધી પોતાની વાત પહોંચાડી દીધી છે.
નોંધનીય બાબત એ છે કે લદ્દાખમાં હાલમાં ભારત અને ચીન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. આવી સ્થિતિમાં ઘણા લોકો ચીનની કંપની પાસેથી કરાર મેળવવાની બાબતે સવાલો ઉભા કરી રહ્યા છે.
બિડમાં આ કંપનીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો
12 જૂને છેલ્લી બોલીમાં ચીનની શાંઘાઈ ટનલ એન્જિનિયરિંગ કંપની લિમિટેડ સૌથી ઓછી બોલી લગાવનાર કંપની બની. આ અંતર્ગત દિલ્હી-મેરઠ આરઆરટીએસ કોરિડોરમાં નવા અશોક નગરથી સાહિબાબાદની વચ્ચે 5.6 કિ.મી.નો ભૂગર્ભ સેક્શન બનાવવાનું છે. આ સમગ્ર પ્રોજેક્ટનું સંચાલન નેશનલ કેપિટલ રિજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (એનસીઆરટીસી) દ્વારા કરવામાં આવી રહ્યું છે. પાંચ કંપનીઓએ આ માટે બોલી લગાવી હતી. ચીની કંપની એસટીઇસીએ સૌથી ઓછી રૂ. 1,126 કરોડની બોલી લગાવી. ભારતીય કંપની લાર્સન એન્ડ ટુબ્રો (એલ એન્ડ ટી) એ 1,170 કરોડની બોલી લગાવી છે. ટાટા પ્રોજેક્ટ્સ અને બીજી ભારતીય કંપની એસકેઇસી જેવીએ 1,346 કરોડ રૂપિયાની બોલી લગાવી છે.
કોંગ્રેસ પણ આ મુદ્દે હુમલો કર્યો છે. કોંગ્રેસના નેતા રણદીપસિંહ સુરજેવાલાએ ઘણાં ટ્વીટ કરી આ મુદ્દે સરકાર પર જોરદાર પ્રહાર કર્યા.
જોકે, માર્ગ પરિવહન મંત્રાલયના સૂત્રો કહે છે કે આ બોલી યોગ્ય પ્રક્રિયા દ્વારા મૂકવામાં આવી હતી અને ભારતીય કંપનીઓને સમાન તક આપવામાં આવી હતી.