દિલ્હીના ગાઝીપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં ભાજપ નેતા જીતુ ચૌધરીની ગોળી મારીને હત્યા કરી દેવાઇ છે.
દિલ્હીમાં ગુનેગારો બન્યા બેફામ
ભાજપ નેતા જીતુ ચૌધરીની ગોળી મારીને હત્યા
હત્યા પાછળ લેવડદેવડનો વિવાદ હોઈ શકે છે
દેશની રાજધાની દિલ્હીમાં ગુનેગારો હવે બેફામ થઇ ગયા છે. જેનો અંદાજો તાજેતરમાં જહાંગીરપુરીમાં થયેલી હિંસા બાદ ગાઝીપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા ફાયરિંગ પરથી લગાવી શકાય છે. ત્યારે તાજેતરમાં જ ગાઝીપુર પોલીસ સ્ટેશનના વિસ્તારમાં કેટલાંક બદમાશોએ ભાજપ નેતા જીતુ ચૌધરીની ગોળી મારીને હત્યા કરી દીધી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, બદમાશોએ બીજેપી નેતા જીતુ ચૌધરી પર 6 ગોળીઓ ચલાવી દીધી. જણાવી દઇએ કે, જીતુ ચૌધરી ભાજપના મયુર વિહાર જિલ્લાના મંત્રી હતાં.
પોલીસ સૂત્રોનું કહેવું છે કે, જીતુ ચૌધરી કન્સ્ટ્રક્શનનો ધંધો કરતો હતો. તેનો કોન્ટ્રાક્ટર સાથે પૈસાને લઈને વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારે આ હત્યા પાછળ લેવડદેવડનો વિવાદ હોઈ શકે છે. આ મામલે 42 વર્ષીય જીતુ ચૌધરીને બુધવારે રાત્રે લગભગ 8:15 વાગ્યે કેટલાંક અજાણ્યા બદમાશોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. તેને સારવાર માટે હોસ્પિટલ લઇને પહોંચતા તબીબોએ તેને મૃત જાહેર કરી દીધો હતો.
Delhi | Local BJP leader Jitu Chaudhary shot dead in Mayur Vihar phase-3 around 8:15 pm this evening. Accused absconding. Few empty cartridges & other important evidence recovered from crime scene . Search for eyewitnesses and CCTV footage being done: DCP East Priyanka Kashyap pic.twitter.com/9yYToGfPyn
પોલીસના કહેવા અનુસાર, યોગ્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને ગુનેગારોને પકડવા માટે વધુ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસના જણાવ્યાં અનુસાર, એવું કહેવામાં આવી રહ્યું છે કે બુધવારે રાત્રે લગભગ 8:15 વાગ્યે ગાઝીપુર પોલીસ સ્ટેશનના બીટ સ્ટાફે પેટ્રોલિંગ દરમિયાન મયુર વિહાર વિસ્તારમાં ભીડ જોઈ. જેમાં 42 વર્ષીય જિતેન્દ્ર ઉર્ફે જીતુ ચૌધરી લોહીથી લથપથ રોડ પર પડેલા જોવા મળ્યો હતો.
એવું કહેવાઇ રહ્યું છે કે, જીતુ ચૌધરીને અજાણ્યાં હુમલાખોરોએ ગોળી મારીને ઘાયલ કર્યો હતો. જ્યાર બાદ લોકો તેને ખાનગી વાહન દ્વારા હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યારે ડોકટરોએ જીતુ ચૌધરીને હોસ્પિટલમાં મૃત જાહેર કર્યો હતો. હાલમાં પોલીસનું કહેવું છે કે તેમની ક્રાઈમ ટીમે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું. સ્થળ પરથી કેટલાંક ખાલી કારતુસ અને અન્ય મહત્વના પુરાવા પણ મળી આવ્યા છે. હાલમાં પ્રત્યક્ષદર્શીઓ અને સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ છે.