ખેડૂત આંદોલનથી જોડાયેલ ખેડૂત નેતાઓની મુશ્કેલીઓ હવે વધી શકે છે. 26 જાન્યુઆરીએ ભડકેલી હિંસા મામલે દેશદ્રોહ અને UAPA હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યા છે. આની તપાસ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલને સોંપવામાં આવી છે. સ્પેશિયલ સેલના મોટા અધિકારીઓના જણાવ્યા અનુસાર UAPA હેઠળ જે કેસ દાખલ કરવામાં આવે છે, તેમાં ITO સહિત તમામ જગ્યા જ્યાં હિંસા થઇ છે, તેની તપાસ કરવામાં આવશે.
6 જાન્યુઆરીએ લાલકિલ્લા પર ધાર્મિક ઝંડો ફરકાવનારા શખ્સ સામે દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. લાલકિલ્લા પર મોટા પાયે હિંસા થઈ હતી. જેમાં અનેક પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા. કેટલાક પ્રદર્શનકારી ખેડૂતોએ લાલકિલ્લામાં તોડફોડ કરી હતી. લાલ કિલ્લાની ગુબંજથી ઐતિહાસિક કળશ ગાયબ થયો છે. જ્યાં તિરંગો લહેરાવવામાં આવે છે ત્યાંથી બે કળશ ગાયબ થયા છે. આ અંગ કેન્દ્રીય પર્યટન મંત્રી પ્રહેલાદ પટેલે જાણકારી આપી હતી.
જણાવી દઇએ કે, ગણતંત્ર દિવસે નવા કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતોએ ટ્રેક્ટર માર્ચ યોજી હતી. આ દરમિયાન દિલ્હીમાં અનેક જગ્યાઓ પર હિંસા થઇ હતી. હિંસાને લઇને અત્યાર સુધીમાં અંદાજિત બે ડઝન કેસ દાખલ થઇ ચૂક્યા છે. ફરિયાદમાં કેટલાક ખેડૂત નેતાઓનો ઉલ્લેખ છે. દિલ્હી પોલીસ આ મામલે ષડયંત્રને લઇને પણ ફરિયાદ દાખલ કરશે. હિંસા પાછળ જે લોકો છે, તેમની જાણ પણ લગાવવામાં આવશે.
ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરનારી ફરિયાદમાં કેટલાક ખેડૂત નેતાઓના નામ છે. ડૉ. દર્શનપાલ, જોગિંદરસિંહ ઉગ્રાહા, બૂટાસિંહ, બલબીરસિંહ રાજેવાલ, રાકેશ ટિકૈત અને રાજેન્દ્રસિંહ પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ નેતાઓ સાથે વાતચીત કરી રહેલી દિલ્હી પોલીસને એનઓસી આપવામાં આવી હતી. ટ્રેક્ટર માર્ચ દરમિયાન નિયમ તોડવાને લઇને ફરિયાદ દાખલ કરવામાં આવી છે.