દિલ્હી-હાવડા ટ્રેક પર દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં અચાનક બ્રેકમાં ખરાબી સર્જાઈ હતી. જે બાદ ટ્રેનના મુસાફરોને શતાબ્દી એક્સપ્રેસમાં મોકલવામાં આવ્યા હતા.
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં આવી ખરાબી
દિલ્હી-હાવડા ટ્રેક પર દોડતી ટ્રેનની બ્રેક જામ
મુસાફરોને શતાબ્દી એક્સપ્રેસમાં મોકલવામાં આવ્યા
દિલ્હી-હાવડા ટ્રેક પર દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં અચાનક બ્રેકમાં ખરાબી સર્જાઈ હતી. ખુર્જા રેલ્વે જંકશન પર ટ્રેક્શન મોટર સસ્પેન્શનને કારણે ટ્રેનની બ્રેક જામ થઈ ગઈ હતી. જે બાદ ટ્રેનના મુસાફરોને શતાબ્દી એક્સપ્રેસમાં મોકલવામાં આવ્યા હતા. ટ્રેનમાં ખામીના કારણે તે લગભગ ચાર કલાક મોડી પડી હતી.
ટ્રેનની બ્રેકમાં ખામી સર્જાઈ
વંદે ભારત રેક (ટ્રેન નં. 22436) ઉત્તર મધ્ય રેલવેના દાનકૌર અને વૈર સ્ટેશનો વચ્ચે C-8 કોચની ટ્રેક્શન મોટરમાં બેરિંગ ખામીને કારણે બંધ પડી ગઈ હતી. ADRM DLI તેમની ટીમ સાથે આ ટ્રેનમાં ઓન-બોર્ડ નિરીક્ષણ કરી રહ્યા હતા. NCR ટીમની મદદથી બેરિંગ જામને ઠીક કરવામાં આવ્યો હતો. જો કે, 80 મીમીના સપાટ ટાયરના વિકાસને કારણે, ટ્રેનને ખુર્જા સુધી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે લાવવામાં આવી હતી. 10:45 વાગ્યે નવી દિલ્હી રેલ્વે સ્ટેશનથી નીકળેલી ટ્રેન ખુર્જા રેલ્વે જંકશન પર પહોંચી અને મુસાફરોને ત્યાં શતાબ્દી એક્સપ્રેસ દ્વારા રવાના કરવામાં આવ્યા.
આ પહેલા ભેંસ સાથે અથડાઈ હતી
ADRM OP દિલ્હીની આગેવાની હેઠળ NR અને NCR ના 6 અધિકારીઓની સંયુક્ત ટીમ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા અને ટ્રાન્સશિપમેન્ટમાં મદદ કરવા માટે સ્થળ પર છે. રેકને મેન્ટેનન્સ ડેપોમાં પરત લઈ ગયા બાદ તેની તપાસ કરવામાં આવશે. અગાઉ ગુજરાતમાં વંદે ભારત ટ્રેન ઢોર સાથે અથડાઈ હતી, જેમાં 4 ભેંસોના મોત થયા હતા. જેમાં ટ્રેનના આગળના ભાગને નુકસાન થયું હતું. તે જ સમયે, આ ઘટના અંગે રેલ્વે વતી પશુઓના માલિકો સામે કેસ નોંધવામાં આવ્યો છે.
શુક્રવારે ગાય સાથે ટક્કર થઇ હતી
શુક્રવારે ગાંધીનગરથી મુંબઈ જતી ટ્રેન સાથે એક ગાય અથડાઈ હતી, જે બાદ લગભગ 10 મિનિટ સુધી ટ્રેન રોકી દેવામાં આવી હતી. જોકે આ ઘટનામાં કોઈ ખાસ નુકસાન થયું નથી. આગળના કોચના આગળના ભાગમાં એટલે કે ડ્રાઈવર કોચમાં માત્ર એક નાનો ડેંટ પડ્યો હતો.
સુવિધાથી સજ્જ હાલ ત્રણ ટ્રેનો દોડે છે
હાલમાં દેશમાં ત્રણ વંદે ભારત ટ્રેનો દોડી રહી છે. જેમાં પ્રથમ નવી દિલ્હી-વારાણસી, બીજી નવી દિલ્હી- માતા વૈષ્ણોદેવી કટરા અને હવે સપ્ટેમ્બરમાં ગાંધીનગરથી મુંબઈ વાયા અમદાવાદ સુધી નવી ટ્રેન શરૂ કરવામાં આવી હતી. આ ટ્રેનો અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. તેમાં GPS આધારિત માહિતી પ્રણાલી, CCTV કેમેરા, વેક્યૂમ આધારિત બાયો ટોયલેટ, ઓટોમેટિક સ્લાઈડિંગ દરવાજા અને દરેક કોચમાં ચાર ઈમરજન્સી પુશ બટનનો સમાવેશ થાય છે.
નવી વંદે ભારત દોડશે 200 kmph ઝડપે
તમને જણાવી દઈએ કે ભારતીય રેલ્વે આ દિવસોમાં આધુનિકતા પર ભાર આપી રહી છે. રેલવે સ્ટેશનોને અપગ્રેડ કરવામાં આવી રહ્યા છે. નવી હાઇ સ્પીડ ટ્રેનો શરૂ કરવામાં આવી રહી છે. સરકારે ભવિષ્યમાં સમગ્ર ભારતમાં 400 વંદે ભારત ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. ચેમ્બર ઓફ મરાઠવાડા ઈન્ડસ્ટ્રીઝ એન્ડ એગ્રીકલ્ચર (CMIA) દ્વારા આયોજિત 'ડેસ્ટિનેશન મરાઠવાડા' કાર્યક્રમને સંબોધિત કરતા રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના લગભગ 1600 કોચ મરાઠવાડા રેલ કોચ ફેક્ટરીમાં બનાવવામાં આવશે. આ દરેકની કિંમત 8 કરોડથી 9 કરોડ રૂપિયાની વચ્ચે હશે. સરકારના જણાવ્યા અનુસાર નવી વંદે ભારત ટ્રેનો મહત્તમ 200 kmph ની ઝડપ હાંસલ કરવામાં સક્ષમ હશે.