અયોધ્યા કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે દિલ્હી હાઈકોર્ટમાં યૂનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની માંગ કરતી અરજી પર સુનાવણી થશે. દિલ્હી હાઈકોર્ટે આ મામલે કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને કાયદા પંચને નોટીસ પણ આપી હતી.
અશ્વિની ઉપાધ્યાય અને અન્યની અરજી પર થશે સુનાવણી
કોર્ટે ગૃહમંત્રાલય અને કાયદા પંચને આપી નોટીસ
દિલ્હી હાઈકોર્ટમાં યૂનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની અરજી
ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા અને એડવોકેટ અશ્વિનીકુમાર ઉપાધ્યાય અને અન્ય લોકોએ યુનિફોર્મ સિવિલ કોડ અંગે PIL દાખલ કરી છે. ઉપાધ્યાયે પોતાની અરજીમાં સરકારને તમામ ધર્મો અને સંપ્રદાયોના પ્રથા, વિકસિત દેશોના નાગરિક કાયદાઓ અને આંતરરાષ્ટ્રીય સંમેલનોને ધ્યાનમાં રાખીને બંધારણની કલમ 44 હેઠળ ત્રણ મહિનાની અંદર એકસમાન નાગરિક સંહિતાનો મુસદ્દો લગાવવા વિનંતી કરી છે. જેમાં કમિશન અથવા ઉચ્ચ સ્તરીય નિષ્ણાત સમિતિની રચના કરવા માટેના નિર્દેશો આપવા અપીલ કરવામાં આવી છે.
આર્ટિકલ 44નો હેતુ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો છે
તેમણે વ્યાપક જાહેર ચર્ચા અને પ્રતિક્રિયાઓ લેવા માટે ઓછામાં ઓછા 60 દિવસ માટે તે મુસદ્દાને સત્તાવાર વેબસાઇટ પર પ્રકાશિત કરવાની સૂચના પણ આપી છે. PILમાં ઉપાધ્યાયે કહ્યું છે કે, 'આર્ટિકલ 44નો હેતુ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાનો છે, જે ભાઈચારો, એકતા અને રાષ્ટ્રીય એકતા માટે મહત્વપૂર્ણ છે'.
સર્વોચ્ચ ન્યાયાલયે કરી હતી ટિપ્પણી
સુપ્રીમ કોર્ટે યુનિફોર્મ સિવિલ કોડ અંગે ટિપ્પણી કરતાં શુક્રવારે એમ પણ કહ્યું હતું કે બંધારણ ઘડનારાઓને આશા છે કે ભારતમાં નાગરિકો માટે સમાન નાગરિક સંહિતા સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવશે, પરંતુ આ દિશામાં હજી સુધી કોઈ પગલું ભર્યું નથી. સુપ્રીમ કોર્ટે ગોવામાં લગ્ન નોંધાવનારા મુસ્લિમોની બહુપત્નીત્વ પરના પ્રતિબંધનો ઉલ્લેખ કરતા રાજ્યને એક ઉદાહરણ ગણાવ્યું હતું.