સર્વિસ ટેક્સ પ્રતિબંધ મૂકતી CCPAની ગાઈડલાઈન્સ પર સ્ટે મૂકી દેતા દિલ્હી હાઈકોર્ટે એક મોટી ટીપ્પણી કરી છે.
હોટલ અને રેસ્ટોરન્ટને મોટી રાહત
હવે વસૂલી શકશે ફૂડ બીલ પર સર્વિસ ચાર્જ
દિલ્હી હાઈકોર્ટે સર્વિસ ચાર્જ પ્રતિબંધ હટાવ્યો
25 નવેમ્બર 2022 સુધી સીસીપીએની ગાઈડલાઈન્સ પર સ્ટે
CCPAએ ગાઈડલાઈન્સ જારી કરીને સર્વિસ ચાર્જ વસૂલી પર પ્રતિબંધ મૂક્યો હતો
હોટલ અને રેસ્ટોરન્ટમાં સર્વિસ ચાર્જ ન વસૂલવાના સરકારના નિર્ણયને દિલ્હી હાઈકોર્ટે ઉથલાવી નાખ્યો છે. દિલ્હી હાઈકોર્ટે નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયાની અરજી પર સુનાવણી કરતા કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીના સર્વિસ ચાર્જના પ્રતિબંધ હટાવીને હોટલ અને રેસ્ટોરન્ટને મોટી રાહત આપી છે જોકે હાઈકોર્ટના નિર્ણયથી લોકોને તગડો ઝટકો લાગ્યો છે.
25 નવેમ્બર 2022 સુધી સીસીપીએની ગાઈડલાઈન્સ પર સ્ટે
હાઈકોર્ટની ખંડપીઠે કહ્યું કે હાઈકોર્ટે જણાવ્યું હતું કે સીસીપીએની ગાઈડલાઈન્સ 25 નવેમ્બર સુધી પ્રતિબંધ રહેશે જે પછી આ કેસની સુનાવણી થશે. હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે રેસ્ટોરન્ટ્સ અને હોટલો કોઈપણ ટેકઅવે ઓર્ડર પર સર્વિસ ચાર્જ વસૂલશે નહીં અથવા તેનો સમાવેશ કરશે નહીં. હાઈકોર્ટનો એવો પણ આદેશ છે કે રેસ્ટોરન્ટ અને હોટલોએ ફૂડ બિલ અને ટેક્સ ઉપરાંત સર્વિસ ચાર્જની વસૂલાત અને ગ્રાહકોને તે ભરવાની ફરજ મેનુ પર સ્પષ્ટપણે દર્શાવવી પડશે.
નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીના પ્રતિબંધના નિર્ણયને દિલ્હી હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આજે આ કેસની સુનાવણી ચાલી હતી જેમાં જસ્ટિસ યશવંત વર્માએ જણાવ્યું હતું કે તમારે સર્વિસ ટેક્સ ન આપવો હોય તો હોટલ અને રેસ્ટોરન્ટ્સમાં ખાવાનું બંધ કરો. આ તમારી પસંદગીની વાત છે. તેમણે એમ પણ કહ્યું હતું કે ટેકઅવે ફૂડ ઓર્ડર પર કોઈ સર્વિસ ચાર્જ લેવામાં આવશે નહીં.
4 જુલાઈએ સીસીપીએ દ્વારા જારી કરવામાં આવેલી ગાઈડલાઈન્સમાં એવું જણાવાયું હતું કે કોઈ પણ હોટલ અથવા રેસ્ટોરન્ટ બિલમાં આપમેળે અથવા ડિફોલ્ટ રૂપે સર્વિસ ચાર્જ ઉમેરશે નહીં અને સર્વિસ ચાર્જ ગ્રાહકો પાસેથી અન્ય કોઈ નામથી વસૂલવામાં આવશે નહીં. ગાઈડલાઈન્સમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ હોટલ અથવા રેસ્ટોરન્ટ ગ્રાહકને સર્વિસ ચાર્જ ચૂકવવાની ફરજ પાડશે નહીં, અને ગ્રાહકને સ્પષ્ટપણે જાણ કરશે કે સર્વિસ ચાર્જ સ્વૈચ્છિક, વૈકલ્પિક અને ગ્રાહકની મુનસફી પર છે.
ગ્રાહકોએ આપવો પડી શકે છે સર્વિસ ચાર્જ
હાઈકોર્ટે સર્વિસ ટેક્સ પ્રતિબંધની કેન્દ્રની ગાઈડલાઈન્સ પર પ્રતિબંધ મૂક્યો હોવાથી હવે રેસ્ટોરન્ટ્સ ગ્રાહકો પાસેથી સર્વિસ ચાર્જ વસૂલી શકે છે. કારણ કે હવે હાઈકોર્ટે પણ કહી દીધું છે કે જો લોકો સર્વિસ ટેક્સ ન આપી શકતા હોય તો રેસ્ટોરન્ટ્સમાં ખાવાનું બંધ કરે.
સર્વિસ ચાર્જનો શું છે નિયમ
રેસ્ટોરન્ટ્સ અને હોટલો સામાન્ય રીતે ફૂડ બિલ પર 10 ટકા સર્વિસ ચાર્જ વસૂલે છે. જો કોઈ ગ્રાહકને લાગે કે હોટલ અથવા રેસ્ટોરન્ટ સર્વિસ ચાર્જ વસૂલે છે, તો તે સંબંધિત એન્ટિટીને બિલની રકમમાંથી દૂર કરવા વિનંતી કરી શકે છે. જો જરૂર પડે તો ગ્રાહકો નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન (એનસીએચ) નંબર 1915 પર કોલ કરીને અથવા એનસીએચ મોબાઇલ એપ્લિકેશન દ્વારા પણ ફરિયાદ નોંધાવી શકે છે. પરંતુ હવે હાઈકોર્ટે સર્વિસ ચાર્જ પ્રતિબંધ હટાવી દીધો છે એટલે રેસ્ટોરન્ટ અને હોટલ ગ્રાહકો પાસેથી સર્વિસ ચાર્જ વસૂલી શકે છે.