દિલ્હી હાઇકોર્ટે એક જૂના કેસમાં પોલીસને ભાજપ નેતા તેમજ અટલ બિહારી વાજપેયી જ્યારે PM હતા ત્યારે જેઓ મંત્રી હતા એવા શાહનવાઝ હુસૈન વિરૂદ્ધ રેપ સહિત અન્ય કલમોમાં કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં કોર્ટે પોલીસને આ મામલે 3 મહિનામાં જ તપાસ પૂર્ણ કરવા માટે કહ્યું છે.
દિલ્હી હાઇકોર્ટમાં જસ્ટિસ આશા મેનની બેન્ચે પોલીસને થોડાંક વર્ષો પહેલા એક પીડિત મહિલા તરફથી કરવામાં આવેલી ફરિયાદમાં કેસ દાખલ કરવાનો આદેશ આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટમાં તમામ તથ્યોને જોતા એ સ્પષ્ટ થાય છે કે પોલીસ આ મામલે એફઆઈઆર નોંધવામાં સંપૂર્ણ અનિચ્છા ધરાવે છે. દિલ્હી હાઇકોર્ટે કહ્યું કે, પોલીસ તરફથી નીચલી કોર્ટમાં રજૂ કરવામાં આવેલ રિપોર્ટ અંતિમ રિપોર્ટ ન હોતો.
જાણો શું છે સમગ્ર મામલો?
સમગ્ર ઘટના એવી છે કે, દિલ્હીની રહેવાસી મહિલાએ જાન્યુઆરી 2018માં નીચલી કોર્ટમાં અરજી દાખલ કરી હુસૈન વિરૂદ્ધ રેપનો કેસ દાખલ કરવાની અપીલ કરી હતી. મહિલાનો એવો આરોપ હતો કે, શાહનવાઝ હુસૈને છતરપુર ફાર્મ હાઉસમાં તેઓની સાથે દુષ્કર્મ કર્યું હતું અને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી.
આ પહેલાં પોલીસે નીચલી કોર્ટમાં રિપોર્ટ રજૂ કરીને જણાવ્યું હતું કે, શાહનવાઝ હુસૈન વિરૂદ્ધ કેસ નથી બનતો. નીચલી કોર્ટે પોતાના નિર્ણયમાં પોલીસની દલીલને નકારી કાઢવામાં આવી હતી. કોર્ટે કહ્યું હતું કે, મહિલાની ફરિયાદમાં ગંભીર ગુનાનો મામલો છે.
કોર્ટે જુલાઇ 2018માં શાહનવાઝ વિરૂદ્ધ મામલો દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. આ નિર્ણયને ભાજપ નેતાએ હાઇકોર્ટમાં પડકાર ફેંક્યો હતો. જોકે, હવે હાઇકોર્ટમાંથી પણ શાહનવાઝને ઝટકો લાગ્યો છે. જોકે, આ પહેલાં દિલ્હી હાઇકોર્ટે કેસ દાખલ કરવા પર વચગાળાનો સ્ટે લગાવી દીધો હતો.
શાહનવાઝ હુસૈન અટલ સરકારમાં પણ મંત્રી રહી ચૂક્યા છે
શાહનવાઝ હુસૈન બિહાર MLC છે. તેઓ બિહારમાં JDU-BJP ગઠબંધન સરકારમાં પણ મંત્રી હતા. શાહનવાઝ હુસૈન ત્રણ વખત સાંસદ પણ રહી ચૂક્યા છે. તેઓ 1999માં કિશન ગંજથી સાંસદ બન્યા હતા. જોકે 2004માં આ સીટ પર તેઓએ હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યાર બાદ તેઓ 2006માં ભાગલપુરની પેટાચૂંટણી જીતીને લોકસભા પહોંચ્યા હતા. તેઓ 2009માં પણ અહીંથી જીત હાંસલ કરી હતી. જોકે, 2014ની લોકસભા ચૂંટણીમાં તેઓએ હારનો સામનો કરવો પડ્યો હતો. તેઓ અટલ સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.