મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હીવાસીઓ માટે ડોર-સ્ટેપ ડિલીવરી સેવા શરૂ કરવા જઈ રહ્યાં છે. મુખ્યમંત્રીની આ ઘોષણા બાદ હવે ગ્રાહકોને રાશનની દુકાનો પર લાઈન લગાવવાની જરૂર નહીં પડે.
રાશનકાર્ડ ધારકો માટે સારાં સમાચાર
ઘરે બેઠા જ થઈ જશે આ કામ
લાંબી લાઈનમાં લાગવું નહીં પડે
દિલ્હીના રાશનકાર્ડ ધારકોને માર્ચથી રાશન માટે ક્યાંય જવાની જરૂર નથી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દિલ્હીવાસીઓ માટે ડોર-સ્ટેપ ડિલીવરી સેવા શરૂ કરવા જઈ રહ્યાં છે. મુખ્યમંત્રીની આ ઘોષણા બાદ હવે ગ્રાહકોને રાશનની દુકાનો પર લાઈન લગાવવાની જરૂર નહીં પડે. ઘરે જ કાર્ડ ધારકોને સમયસર રાશન પહોંચાડવામાં આવશે.
પ્રજાસત્તાક દિન પર કેજરીવાલ સરકારે ત્રણ મોટી જાહેરાતો કરી છે. જેમાં દિલ્હીમાં માર્ચથી રાશનની ડોર સ્ટેપ ડિલીવરી શરૂ થશે. વર્ષના અંત સુધીમાં લોકોને આરોગ્ય કાર્ડ મળવાનું શરૂ થઈ જશે. ઝૂંપડપટ્ટીવાસીઓને ટૂંક સમયમાં ફ્લેટ મળવાનું શરૂ થઈ જશે. યમુના પણ સાફ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ કહ્યું કે અમારું સપનું હતું કે ગરીબ લોકોએ તેમના ઘરે રાશન મળવું જોઈએ. આ સપનું માર્ચમાં પૂર્ણ થવાનું છે.
ઘરે જ સાફ રાશન મળશે
મુખ્યમંત્રીએ કહ્યું, અત્યારે ઘણી વખત રાશનની દુકાન ખુલતી નથી, ઘણીવાર રાશનની દુકાનના માલિક ખરાબ વર્તન કરે છે, તો ક્યારેક લોકોને પૂરું રાશન મળતું નથી. આ સુવિધા હેઠળ કાર્ડધારકને 25 કિલો ઘઉં અને 10 કિલો ચોખા મળશે અને સાફ પેકિંગ સાથે ઘરે જ પહોંચાડવામાં આવશે. દર મહિને ક્વોટા અનાજ ક્યાંય પણ ગયા વિના ઘરે ઉપલબ્ધ થશે. આનાથી લોકોનો સમય પણ બચી જશે અને રાશનની દુકાનો પરની નિર્ભરતા પણ ઓછી થશે.
રાશનની દુકાને જઈને પણ અનાજ લઈ શકાશે
આ સુવિધા બાદ હવે ગ્રાહક પાસે રાશન લેવાના બે વિકલ્પ રહેશે. એટલે કે, ગ્રાહકો રાશનની દુકાન પર જઈને પહેલાંની જેમ રાશન લઈ શકે છે અથવા તેઓ રાશનની હોમ ડિલીવરીનો વિકલ્પ પસંદ કરી શકે છે. ગ્રાહકો આમ કરવા માટે સંપૂર્ણપણે સ્વતંત્ર છે. આ સિસ્ટમ અંતર્ગત એક રાજ્યના લોકો બીજા રાજ્યમાં જઈને રાશન મેળવી શકે છે. આ માટે તેમને નવું રાશનકાર્ડ લેવાની જરૂર નથી.
હેલ્થ કાર્ડ પણ આપવામાં આવશે
સીએમએ કહ્યું કે, દિલ્હીમાં રહેતા દરેક નાગરિક માટે અમે આરોગ્ય કાર્ડ જારી કરવા જઈ રહ્યા છીએ. આ હેલ્થ કાર્ડ એવું હશે કે તમે તે કાર્ડને કોઈપણ હોસ્પિટલમાં લઈ જઈ શકશો, તમારી પાસે હેલ્થ આઈડી હશે અને તમારા બધાં જૂના રેકોર્ડ્સ તે હેલ્થ કાર્ડની અંદર હશે.