ટૂંક સમયમાં શાળાઓ માટે અલગથી SOP જાહેર કરી શકે છે. DDMAની બેઠકમાં માસ્ક ન લગાવવા બદલ દંડ વસૂલવા પર ચર્ચા થઈ શકે છે.
દિલ્હીમાં કોરોનાની વાપસી
સ્કૂલોમાં નોંધાઇ રહ્યા છે કોરોનાના કેસ
સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે- કેજરીવાલ
દિલ્હીમાં કોરોનાને લઇને લાગેલા પ્રતિંબંધો અને માસ્ક ન પહેરવાનો નિયમ ફરી એકવાર બદલાઇ શકે છે. કારણ કે હવે દિલ્હીની શાળાઓમાં કોરોનાએ પગપેસારો કર્યો છે. એનીઆરની શાળાઓમાં કોરોનાના કેસ સામે આવ્યા બાદ દિલ્હીની સરકારે શાળાઓ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. ગાઈડલાઈન મુજબ, જો શાળામાં એક પણ કોરોના કેસ જોવા મળે તો શાળા બંધ કરી દેવી જોઈએ અથવા તો તે શાખાને બંધ કરવાની તૈયારી કરવી જોઈએ.
કોરોના સંક્રમણ દર વધીને 2.70 ટકા થયો
રાજધાનીમાં કોરોનાના કેસોમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA) 20 એપ્રિલે બેઠક બોલાવી છે. જેમાં કોરોનાનું સંક્રમણ ઘટાડવા બાબતે ચર્ચા કરવામાં આવશે.મહત્વનું છે કે દિલ્હીમાં એક સપ્તાહમાં કોરોના સંક્રમણ દર 0.5 ટકાથી વધીને 2.70 ટકા થઈ ગયો છે. જો કે, ડોકટરો કહે છે કે ગભરાવાની જરૂર નથી કારણ કે દરરોજ નવા કેસોની સંખ્યા ઘણી ઓછી છે.
સરકારની સ્થિતિ પર નજર- કેજરીવાલ
સીએમ કેજરીવાલે કહ્યું છે કે સરકાર સ્થિતિ પર નજર રાખી રહી છે. તેમણે કહ્યું કે જો જરૂર પડશે તો શાળાઓ માટે અલગથી એસઓપી જાહેર કરવામાં આવશે. ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે તેમને કેટલીક શાળાઓમાં બાળકોને ચેપ લાગ્યો હોવાના અહેવાલ મળ્યા છે. તેમણે કહ્યું કે શિક્ષણ નિર્દેશાલય શુક્રવારે વિગતવાર માર્ગદર્શિકા જારી કરશે.
માસ્ક ફરજિયાત પહેરવાની ઉઠી માંગ
અત્યારે દિલ્હીમાં કોરોનાને લગતા તમામ પ્રતિબંધો હટાવી દેવામાં આવ્યા છે અને ફેસ માસ્ક ન પહેરવા માટેનો દંડ નાબૂદ કરવામાં આવ્યો છે. જો કે, એવી માંગ છે કે કોવિડના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, ફેસ માસ્ક પહેરવાનું ફરજિયાત બનાવવામાં આવે. એક વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે DDMA બેઠકમાં કોવિડની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને નિષ્ણાતોનો અભિપ્રાય પણ લેવામાં આવશે. બેઠકમાં તમામ પાસાઓ પર ચર્ચા કરવામાં આવશે અને તે પછી જ નિર્ણય લેવામાં આવે તેવી અપેક્ષા છે.
દિલ્હીમાં વધી રહ્યો છે કોરોના
દિલ્હીમાં નોંધાતા કોરોનાના કેસની વાત કરીએ તો, સ્થિતિ એવી છે કે એક જ દિવસમાં બમણાથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ગઈકાલે રાજધાનીમાં કોરોનાના 299 કેસ નોંધાયા હતા. આ બધા સિવાય કેટલીક શાળાઓમાં ફરી કોરોનાએ દસ્તક આપી હતી. આ કારણોસર, હવે આજે દિલ્હી સરકાર દ્વારા શાળાઓ માટે આ માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. દિલ્હી-એનસીઆરમાં પણ કેસમાં વધારો થયો છે. જો કે ચિંતા કરવાની કોઇ જરુર નથી તેમ કહેવાયુ છે પરંતુ સરકારની આ સલાહ વચ્ચે કોરોનાના નવા સબવેરિયન્ટે બધાને પરેશાન કરી દીધા છે. ઓમિક્રોનનું સબવેરિઅન્ટ માનવામાં આવે છે, XE ઝડપથી ફેલાવવાની ક્ષમતા ધરાવે છે. અત્યાર સુધી આ પ્રકારના કેસ મુંબઈ અને ગુજરાતમાં નોંધાયા છે. સરકારના કહેવા પ્રમાણે, તેઓ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.