દિવાળી પછીથી સતત પ્રદૂષણ સામે લડી રહેલા દિલ્હી અને તેની આસપાસના NCR વિસ્તારમાં શ્વાસ લેવો દિવસેને દિવસે મુશ્કેલ બની રહ્યો છે. ત્યાંનું પ્રદૂષણનું સ્તર 'ગંભીર' શ્રેણીમાં પંહોચી ગયું છે અને આ પોલ્યુશનનો કિસ્સો હવે સુપ્રીમ કોર્ટ સુધી પંહોચી ગયો છે. દિલ્હી-NCR માં આ પ્રદૂષણ ઘટાડવાની માંગ વાળી એક અરજી દાખલ કરવામાં આવી છે અને આ અરજી પર 10 નવેમ્બર પર સુનાવણી થશે.
દિલ્હી-NCR માં વધતાં પ્રદૂષણ વિશે વાત કરતાં CM કેજરીવાલ બોલ્યા હતા કે, ' પંજાબમાં પરાલી સળગાવવામાં આવી રહી છે તો અમે અને અમારી સરકાર જવાબદાર છે. અમે પરાલી માટે ઘણા પ્રયાસ કર્યા છે અને આશા છે કે આગામી વર્ષ સુધીમાં આ ઘટનાઓમાં ઘટાડો આવશે.'
શુક્રવારે દિલ્હી-NCRમાં વાયુ પ્રદૂષણનું સ્તર અત્યંત ખતરનાક બની ગયું છે અને ધુમ્મસની ગાઢ ચાદરને કારણે એવું લાગી રહ્યું છે કે જાણે આખું દિલ્હી ગેસ ચેમ્બરમાં ફેરવાઈ ગયું છે. જણાવી દઈએ કે પ્રદૂષણનો સૌથી મોટો પુરાવો ગણાતા AQIનું સ્તર દિલ્હીના ઘણા વિસ્તારોમાં 750ને પણ પાર કરીને 800ની આસપાસ પહોંચી ગયું છે. આ સાથે જ પ્રદૂષણનો સામનો કરવા માટે ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન એટલે કે GRAP 4 લાગુ કરવામાં આવ્યો છે.
આ કિસ્સાને સાથે જોડાયેલ 6 મહત્વના મુદ્દા
-શુક્રવારે સવારે 10 વાગ્યે PM-10નું સ્તર જહાંગીરપુરીમાં 763 અને બવાનામાં 720 નોંધાયું
-નરેલામાં 665, વઝીરપુરમાં 650, રોહિણીમાં 625 નોંધવામાં આવેલ PM-10નું સ્તર પણ અત્યંત જોખમી
-ગ્રાફ-4 હેઠળ દિલ્હીમાં કોમર્શિયલ ટ્રકો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો અને આ સાથે જ ડીઝલથી ચાલતા મધ્યમ અને ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો
-આ સિવાય ઈંધણ પર ચાલતા તમામ ઉદ્યોગોને બંધ કરી દેવા અને બાંધકામ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
-આ સાથે જ જાહેર-ખાનગી કચેરીઓને માત્ર 50 ટકા સ્ટાફને જ બોલાવવાની સલાહ આપવામાં આવી છે અને રાજ્ય સરકારી શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો
-દિલ્હીના CM કેજરીવાલે કર્યો સ્વીકાર, પંજાબમાં પરાલી સળગાવવામાં આવી રહી છે તો અમે અને અમારી સરકાર જવાબદાર છે
કેટલું AQI સારું અને કેટલું ખરાબ?
શૂન્યથી 50 વચ્ચે AQI - સારું
51 અને 100 ની વચ્ચે AQI - સંતોષજનક
101 અને 200 ની વચ્ચે AQI- મધ્યમ
201 અને 300 ની વચ્ચે AQI- ખરાબ
301 અને 400 ની વચ્ચે AQI - ઘણું ખરાબ
401 અને 500 ની વચ્ચે AQI - ગંભીર
500 થી ઉપરનો ગંભીર AQI - ખતરનાક, શ્વાસ લેવામાં મુશ્કેલી
શાળાઓની મનમાની
જો કે આ નિર્ણય લીધા પછી પણ ઘણી શાળાઓ તેનું પાલન નથી કરી રહી . આવા ગૂંગળામણભર્યા પ્રદૂષણને કારણે નોઈડાના ડીએમએ બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને 8 નવેમ્બર સુધીમાં જિલ્લાની તમામ શાળાઓને ઓનલાઈન કરવાનો આદેશ જારી કર્યો હતો પણ જિલ્લાની ઘણી શાળાઓએ ડીએમના આદેશને અવગણીને ઓફલાઇન વર્ગો ચાલુ રાખ્યા છે. જણાવી દઈએ કે પ્રદૂષણને જોતા ડોકટરોએ બાળકો અને વૃદ્ધોનું ખાસ ધ્યાન રાખવાની સૂચના આપી હતી પણ નોઈડાની આ શાળાઓને બાળકોના સ્વાસ્થ્યની કોઈ ચિંતા નથી
નોઇડાના ડીએમએ આપ્યો આદેશ
શાળાઓ બંધ કરવાનો આદેશ આપતા એમને 9 થી 12 સુધીના વર્ગો પણ ઓનલાઈન કરવા કહ્યું હતું અને આ સાથે તમામ શાળાઓમાં આઉટડોર એક્ટિવિટીઝ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. આ પહેલા નોઇડા-ગ્રેનો ઓથોરિટીના સીઇઓ અને ઇન્ચાર્જ ડીએમ રિતુ મહેશ્વરીએ જિલ્લામાં પ્રદૂષણને રોકવા માટેની વ્યવસ્થાઓની સમીક્ષા કરવા માટે આ સંબંધિત સૂચનાઓ જારી કરી હતી અને સીઈઓએ એડીએમને શિક્ષણ વિભાગને આઉટડોર પ્રવૃત્તિઓ રોકવા માટે એડવાઈઝરી જારી કરવા જણાવ્યું હતું.