આખરે જેની ધારણા હતી અને જે વાત તમામ એક્ઝિટ પોલમાં વારંવાર કહેવાઈ એ જ સાચી સાબિત થઈ. દિલ્હીવાસીઓએ ફરી એક વખત આમ આદમી પાર્ટી (આપ) અને તેના વડા અરવિંદ કેજરીવાલ પર જ પસંદગીનો કળશ ઢોળ્યો અને ભાજપનાં સપનાં ચકનાચૂર કરી દીધાં. કોંગ્રેસ તો દિલ્હીના જંગમાં પહેલાંથી જ ક્યાંય ગણતરીમાં નહોતી એટલે તેને વધુ અફસોસ નહીં હોય, પરંતુ ભાજપે દિલ્હીની ગાદી કબજે કરવા માટે એડીચોટીનું જોર લગાવી દીધું હતું.
ભાજપના મોવડીમંડળ અને વરિષ્ઠ નેતાઓએ હવે ખરા અર્થમાં મનોમંથન કરવાનો સમય આવી ગયો છે. હકીકતમાં તો દિલ્હી વિધાનસભાની ચૂંટણીનાં પરિણામ ભાજપ માટે ખતરાની ઘંટડી સમાન છે. દિલ્હી જે સબક શીખવી ગયું છે તેમાંથી બોધપાઠ લઈ રણનીતિ બદલવામાં ન આવી તો ભવિષ્યની ચૂંટણીઓનાં પરિણામ પણ દિલ્હીથી બહુ અલગ નહીં જ હોય તે પણ નક્કી છે.
દિલ્હીની જનતાએ કેજરીવાલ સરકારનાં કાર્યો અને તેની સિદ્ધિઓને જ વધાવ્યાં છે. સરકારે છેલ્લાં પાંચ વર્ષમાં આમ આદમીને સીધા સ્પર્શે તેવા તમામ મુદ્દા પર ધ્યાન આપીને પોતાનો રોડમેપ બનાવ્યો છે. શિક્ષણ, આરોગ્ય, વીજળી-પાણી જેવા પહેલી દૃષ્ટિએ બહુ સામાન્ય લાગતા પણ પાયાના મુદ્દા જ ચૂંટણીમાં રાષ્ટ્રવાદ પર ભારે પડી ગયા અને ભાજપના તમામ દાવાની પોલ ખૂલી ગઈ.
આમ આદમી પાર્ટી માટે આ જીત ખૂબ મહત્ત્વપૂર્ણ છે, કેમ કે હજુ આઠ મહિના પહેલાં જ યોજાયેલી લોકસભા ચૂંટણીઓમાં તેણે દિલ્હીની તમામ સાત બેઠક પર હારનો સામનો કરવો પડ્યો હતો. એ વખતથી જ એક એવું આભાસી ચિત્ર ઊભું કરવામાં આવ્યું હતું કે આ વખતની વિધાનસભા ચૂંટણીમાં દિલ્હીવાસીઓ પરિવર્તન પર પસંદગી ઉતારીને દિલ્હીનું સિંહાસન ભાજપને સોંપવાના મૂડમાં છે.
ભાજપને હંમેશની જેમ તેમના સ્ટાર પ્રચારક અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર, અમિત શાહની અમોઘ વ્યૂહરચના પર અને રાષ્ટ્રીય સ્તરના મુદ્દાના પ્રચાર પર હદથી વધુ ભરોસો હતો અને આ વધુ પડતો આત્મવિશ્વાસ જ તેમને હાર ભણી દોરી ગયો. મોદી-શાહની જોડીની રણનીતિનો તોડ હવે વિપક્ષોએ શોધી કાઢ્યો છે અને તેની શરૂઆત દિલ્હીથી થઈ ગઈ છે. ભાજપને હજુ તો મહારાષ્ટ્ર અને ઝારખંડના ઊલટફેરની કળ પણ વળી નહોતી ત્યાં કેજરીવાલે પ્રચંડ જીતથી વધુ એક પ્રહાર કરી દીધો છે.
ભાજપ માટે દિલ્હીની હાર એક એવા યુદ્ધનો શંખનાદ છે, જે આગામી થોડાં વર્ષમાં લડાવાનું છે. દિલ્હી બાદ હવે બિહાર વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે. નીતીશકુમાર પહેલાંથી વિકાસની રાજનીતિ પર જીત મેળવતા આવ્યા છે. બિહારમાં ભાજપ માટે કદાચ થોડી સરળતા પણ રહેશે, પરંતુ ત્યારબાદ મમતા બેનરજીના ગઢ સમાન પશ્ચિમ બંગાળમાં ગાબડાં પાડવાનો પડકાર આવીને ઊભો રહેવાનો છે.
નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન (એનઆરસી)નો ઉગ્ર વિરોધ કરીને મમતાએ અગાઉથી જ વિધાનસભા ચૂંટણીના અસરકારક મુદ્દા પોતાના હાથમાં રાખ્યા છે. વર્ષોથી બંગાળમાં મૂળિયાં જમાવીને બેઠેલા ડાબેરીઓને એકઝાટકે ઉખેડી ફેંકનારાં મમતા બેનરજીને કે તેમની ચૂંટણી વ્યૂહરચનાને સહેજ પણ ઓછી આંકવાની ભૂલ ભાજપને બહુ ભારે પડી શકે તેમ છે.
બંગાળ બાદ એનઆરસીની શરૂઆત જ્યાંથી કરવામાં આવી હતી એ આસામનો વારો છે. આસામમાં પણ ભાજપ માટે કપરાં ચઢાણ જ છે. દરેક રાજ્યની ચૂંટણીમાં સ્થાનિક અને લોકોને સીધા સ્પર્શતા મુદ્દા પર ચૂંટણી લડવી જરૂરી બનશે. દરેક રાજ્યમાં સ્થાનિક સ્તરે જેનો પ્રભાવ હોય તેવા મજબૂત, સાફ છબી ધરાવતા નેતાઓને સુકાન સોંપવું પડશે, નહીં તો દિલ્હીમાં મનોજ તિવારીને કેપ્ટન બનાવીને જે નુકસાન વેઠવું પડ્યું તેનું પુનરાવર્તન થવાની પણ સંભાવના છે.
દિલ્હી પહેલાં ઝારખંડ અને હરિયાણાની ચૂંટણીએ પણ ભાજપને સ્પષ્ટ સંદેશ આપ્યો હતો. એક પક્ષ તરીકે ભાજપે સ્વીકારવું જ પડશે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી લોકસભાની ચૂંટણીઓમાં તો તેને જીત અપાવી શકે છે, પરંતુ રાજ્યના સ્થાનિક નેતાઓની પોતાની અંગત અપેક્ષાઓ અને મહત્ત્વાકાંક્ષાઓ હોય છે. આ અપેક્ષાઓને સમજવામાં માર ખાવાનો સીધો મતલબ હશે ચૂંટણીમાં હાર મેળવવી.
જો દરેક રાજ્યમાં પાર્ટીનું નેતૃત્વ વામણું, નજીવું હશે તો તેનું ભવિષ્ય પણ કોંગ્રેસ જેવું જ બની રહેવાનું છે. સ્થાનિક સ્તરે મજબૂત નેતૃત્વ સ્થાપિત કરવું ભાજપ માટે સૌથી વધુ મહત્ત્વનું છે. કેજરીવાલને નબળા પ્રતિસ્પર્ધી સમજી લેવાની જે ભૂલ ભાજપે દિલ્હીમાં કરી તે હવે બિહાર, પશ્ચિમ બંગાળ કે આસામમાં કરવી પાલવે તેમ નથી. કેન્દ્રમાં ભલે આજે નરેન્દ્ર મોદીને ટક્કર આપી શકે તેવા કોઈ દમદાર નેતા દેખાતા ન હોય પણ જે ઝડપથી ભાજપના હાથમાંથી એક પછી એક રાજ્ય સરકી રહ્યાં છે તે જોતાં વિપક્ષ આવનારા સમયમાં મુસીબત બની શકે છે.•