ભાજપ એવું આશ્વાસન લઇ શકે કે તેમના મતની ટકાવારી અને બેઠકો વધી છે, પરંતુ તેના માટે એક બોધપાઠ એ પણ છે કે માત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામે અને રાષ્ટ્રીય મુદ્દા પર ચૂંટણી જીતી શકાતી નથી.
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ)એ સતત બીજી વખત પ્રચંડ બહુમતી સાથે જીત મેળવી તે એક કરિશ્માથી કમ નથી. અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળ આમ આદમી પાર્ટીની આ સફળતા બતાવી રહી છે કે દિલ્હીની જનતા તેના કામથી માત્ર ખુશ જ નથી, પણ તેમને વિશ્વાસ પણ છે તે આગામી પાંચ વર્ષમાં પણ સારું કામ કરી બતાવશે.
ચૂંટણીના પરિણામો એ પણ દર્શાવે છે કે આપના એકમાત્ર હરીફ એવા ભાજપે રાષ્ટ્રીય મુદ્દાઓને આગળ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાનો લાભ લેવા પ્રયાસ કર્યો.શાહીનબાગના સીએએ વિરોધી ધરણાંને પણ મુદ્દો બનાવ્યો. જોકે દિલ્હીના લોકોએ સ્થાનિક મુદ્દાઓ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
હજુ થોડા મહિના પહેલાં જ લોકસભાની ચૂંટણીમાં ભાજપને સાતે સાત બેઠકો આપનાર દિલ્હીની જનતાએ એવો પણ મેસેજ આપ્યો છે કે કેન્દ્રમાં તેમની પસંદ મોદી છે તો દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ. દિલ્હીના મતદારોએ ફરીથી જે બહુમતીથી આપને વિજયી બનાવી છે. તેનાથી જોકે હવે અરવિંદ કેજરીવાલની જવાબદારી વધવાની છે. લોકોમાં અરવિંદ કેજરીવાલ પ્રત્યે અપેક્ષા પણ વધશે. જેને પૂરી કરવમાં કચાશ રાકવાનું તેમને પાલવશે નહીં.
ભાજપ કદાચ એવું આશ્વાસન લઇ શકે કે તેમના મતની ટકાવારી અને બેઠકો વધી છે.પરંતુ ભાજપ માટે એક બોધપાઠ એ પણ છે કે માત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામે અને રાષ્ટ્રીય મુદા પર ચૂંટણી જીતી શકાતી નથી. દિલ્હીવાસીઓને દેશના શાસન માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર તો ભરોસો છે. પરંતું દિલ્હીનું રાજય સોંપવા અત્યારના સ્થાનિક ભાજપના નેતાઓના હાથમાં સત્તાની ધૂરા સોંપવા તૈયાર નથી. સૌથી શરમજનક સ્થિતિ કોંગ્રેસની છે. એક સમયે સતત ૧પ વર્ષ સુધી દિલ્હીમાં રાજ કરનાર કોંગ્રેસને સતત બીજી ચૂંટણીમાં એક પણ બેઠક નથી મળી. એટલું જ નહીં તેના ૬૭ ઉમેદવારોએ તો ડિપોઝિટ ગુમાવી છે.
દિલ્હીમાં જોણે કોંગ્રેસ સાવ ભૂંસાઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે. જાણકારો કહે છે કે સીએએ અને શાહીનબાગનાં ધરણાંને કારણે ૯૦ ટકાથી વધુ મુસ્લિમ મતો આપની ઝોળીમાં પડયા છે. એક રીતે કહીએ તો મુસ્લિમ મતોનું ધ્રુવીકરણ થયું છે. બીજી બાજુ ભાજપ કેજરીવાલ સામે કોઇ મુખ્યપ્રધાન પદના દાવેદારનો ચહેરો રજૂ કરી શકી ન હતી.
આ ચૂંટણી રાજકીય પક્ષોને એવી પણ શીખ આપે છે કે હવે મતદારો કામ જોઇને મત આપતા થયા છે. રાજ્યોની સામાન્ય ચૂંટણીઓમાં રાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ અમુક હદ સુધી જ કામ કરે છે. આશ્ચર્યજનક વાત છે કે કોંગ્રેસના ઘણા ટોચના નેતાઓએ ચૂંટણીનાં પરિણામોથી એ વાતે ખુશ છે કે ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો.ભાજપની જેમ કોગ્રેસમાં પણ દિલ્હીના મતદારો સ્વીકારી શકે તેવા મજબૂત નેતાની તલાશ છે. એ હકીકત છે કે આ ચૂંટણીનાં પરિણામો અનેક રીતે ગણિતનો પણ ખેલ છે.
મતોમાં માત્ર બ-ચાર ટકાનો ફરક પાસું પલટાવી દે છે. દિલ્હીમાં સાવ નબળી બની ગયેલી કોંગ્રેસના કારણે પણ આપને ઘણો ફાયદો થયો છે. જો કોંગ્રેસે થોડા વધુ મત ખેંચ્યા હોત અને ભાજપ વિરોધી મતો વધુ વહેંચાયા હોત તો આપની આટલી પ્રચંડ જીત ન થઇ હોત. દિલ્હીના પરિણામથી રાજકીય પક્ષો પર થોડી અસર થશે, પરંતુ રાષ્ટ્રીય રાજકારણમાં હાલ તેની કોઇ અસર પડે તેવી સંભાવના નથી.જોકે ભાજપે હવે રાજયોમાં મજબૂત અને કામ કરે તેવું નેતૃત્વ ઊભું કરવું જ પડશે તે સંદેશ તો સ્પષ્ટ જ છે.