દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 6224 નવા કેસ આવ્યા છે અને 109 લોકોના મોત થયા છે. દિલ્હીમાં સતત 5મા દિવસે પણ કોરોનાનો મૃત્યુઆંક 100થી વધુ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી અનુસાર અહીં દર કલાકે 5 દર્દીના કોરોનાથી મોત થઈ રહ્યા છે. દિલ્હીમાં હાલમાં કોરોનાના 5,40,541 કેસ આવી ચૂક્યા છે જ્યારે છેલ્લા 24 કલાકમાં 4943 દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 4,93,419 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.
દિલ્હીમાં વકર્યો કોરોના
દર કલાકે 5 લોકોના મોત થઈ રહ્યા છે
સતત 5 મા દિવસે પણ મોતનો આંક 100થી વધુ
દિલ્હીમાં સતત વધી રહેલા કોરોના કેસમાં એમ્સના ડાયરેક્ટર રણદીપ ગુલેરિયાએ કહ્યું કે તહેવારની સિઝનમાં કોરોનાના નિયમોને અવગણવાને કારણે આ સ્થિતિ આવી છે. લગ્નમાં લોકો ફોટો પડાવવા માસ્ક લગાવવાનું ભૂલ્યા અને આ સ્થિતિ આવી. કોરોનાથી બચવા નક્કી ગાઈડલાઈનનું પાલન જરૂરી છે.
સતત વધી રહેલા કોરોનાના નવા કેસની સાથે જ મોતનો આંક પણ વધી રહ્યો છે. જેનાથી સરકારની ચિંતા વધી રહી છે. દિલ્હી સરકાર દ્વારા જાહેર કરાયેલા હેલ્થ બુલેટિનના અનુસાર ફક્ત નવેમ્બરમાં કોરોનાથી 2000થી વધુ મોત નોંધાયા છે. નવેમ્બર પહેલાં જૂનમાં મોતો આંક 2000થી વધુ થયો હતો. પરંતુ નવેમ્બરમાં ફરીથી તમામ રેકોર્ડ તૂટતાં સરકાર ચિંતામાં છે.
દિલ્હી સરકારે મોત માટે આપ્યું આ કારણ
દિલ્હી સરકારનું કહેવું છે કે પરાલી સળગાવવાના કારણે થનારા પ્રદૂષણથી વધારે મોત થઈ રહ્યા છે. દિલ્હીના સ્વાસ્થ્યમંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે પરાલી સળગાવવાથી જે પ્રદૂષણ થઈ રહ્યું છે તેનાથી કોરોના પીડિત કેસ વધારે મુશ્કેલ બની રહ્યા છે અને સાથે જ ડેથ રેટમાં પણ વધારો થઈ રહ્યો છે. છેલ્લા 3-4 દિવસથી પ્રદૂષણ ઘટ્યું છે અને સાથે તેનો પ્રભાવ પણ જોવા મળશે અને મોતનો આંક ઘટશે.