દિલ્હીના નિજામુદ્દીન સ્થિતિ તબલીગી જમાત સાથે જોડાયેલા લોકોને લઇને દિલ્હી સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. દિલ્હીના સ્વાસ્થ્ય અને ગૃહ મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે લગભગ 1000 કોરોના સંક્રમણનો ભોગ બનેલા જમાતી સ્વસ્થ્ય થઇ ચૂક્યા છે તેમને તેઓના ઘરે જવા દેવામાં આવે. જ્યારે જે લોકો પર કેસ નોંધાયા છે તેમના પર પોલીસ કાર્યવાહી કરવામાં આવે.
તબલીગી જમાત સાથે જોડાયેલા લોકોને લઇને દિલ્હી સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
લગભગ 4000થી વધારે એવા લોકો હતા જેમને માર્ચની અંતમાં નિઝામુદ્દીન સ્થિત મરકઝથી તથા અન્ય જગ્યાઓથી પકડવામાં આવ્યા હતા. તેમાંથી 1000થી વધારે કોરોના પોઝિટિવ આવ્યા હતા. બાકી લોકોને અલગ-અલગ ક્વૉરન્ટીન સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા. હવે જે લોકો સ્વસ્થ થયા છે તેમને ઘરે જવા દેવાનો સરકારે આદેશ આપ્યો છે.
દેશમાં કોરોના વાયરસના સંક્રમણને ફેલાવાને લઇને તબલીગી જમાત ગત બે મહીનાથી ચર્ચામાં છે. રાજ્યોની સરકાર કોરોનાના ઝડપથી ફેલાવા માટે જમાતને જવાબદાર માનતી રહી છે.
માર્ચ મહીનામાં કોરોના વાયરસના સંકટ વચ્ચે મરકઝમાં નિયમોનું ઉલ્લંઘન કરતા મોટી સંખ્યામાં જમાતી જમા થયા હતા. તેમાંથી મોટી સંખ્યામાં જમાતી કોરોના વાયરસથી પોઝિટિવ આવ્યા હતા. જે બાદ મરકઝના સંચાલક મૌલાના સાદની વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી હતી. મૌલાના સાદની હજુ સુધ ધરપકડ થઇ શકી નથી. જોકે તેઓએ દાવો કર્યો છે કે તેમણે ટેસ્ટ કરાવ્યો છે અને રિપોર્ટ નેગેટિવ આવી છે.
16,000થી વધારે પહોંચ્યા હતા મરકઝ
દિલ્હી પોલીસની રિપોર્ટ મુજબ, 13થી 24 માર્ચ વચ્ચે મરકઝમાં ઓછામાં ઓછા 16,500 લોકો પહોંચ્યા હતા. સેલ ફોન ડેટાના યૂઝના આધારે કોન્ટેક્ટ ટ્રેસિંગ કરી અને મરકઝમાં એક્ટિવ મોબાઇલ્સના આધારે તેમની સંખ્યાનું વિશ્લેષણ કરાયું. તેમા સામે આવ્યું કે મરકઝમાંથી જમાતના લોકો નીકળ્યા બાદ લગભગ 15,000 લોકોના સંપર્કમાં આવ્યા હતા.