ચીન બાદ ભારતમાં પણ કોરોના વાયરસને લઈને લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કેમ કે ભારતમાં પણ આ વાયરસ પગ પેસારો કરી રહ્યો હોય એવું લાગી રહ્યું છે. આજે ફરી એક દિલ્હીમાં કોરોના વાયરસનાં લક્ષણો 3 દર્દીઓમાં જોવા મળ્યાં છે. હજું આ કોરોનાના જ દર્દી છે કે કેમ તે કહી શકાયું નથી.
દિલ્હીમાં 3 કેસમાં શંકાનાં ઘેરામાં
કોરોનાએ ભારતમાં પ્રવેશ કર્યો હોવાની આશંકા
તમામ એરપોર્ટ પર એલર્ટ , બહારથી આવનારાનું થઈ રહ્યું છે સ્કેનિંગ
દિલ્હીમાં ત્રણેય દર્દીની સારવાર ચાલી રહી છે
મુંબઈ, બેંગ્લોર, હૈદરાબાદ, બિહાર અને રાજસ્થાન બાદ હવે દિલ્હીમાં પણ કોરોના વાયરસનાં લક્ષણો જોવા મળ્યાં છે. ડૉક્ટર રામ મનોહર લોહિયા હૉસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ. મીનાક્ષી ભારદ્વાજે કહ્યું છે કે અમારી સામે વાયરસનાં 3 કેસ સામે આવ્યાં છે. આ ત્રણેય દર્દીઓની સારવાર ચાલી રહી છે. તેમનાં સેમ્પલ લેવામાં આવ્યાં છે. જેને પરિક્ષણ માટે મોકલી અપાયા છે. દિલ્હી ઉપરાંત ચંદીગઢમાં પણ કોરોના વાયરસનો એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે.
આ અગાઉ અહી પણ જણાયા આ લક્ષણો
જયપુરમાં રવિવારે સવારે કોરોના વાયરસનો શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. ત્યાંની સરકારી હોસ્પિટલમાં એક યુવકમાં આ વાયરસનાં લક્ષણો જોવા મળી રહ્યાં હોવાથી તેના સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યાં છે. બીજો કિસ્સો બિહારમાં સામે આવ્યો છે. બિહારની રાજધાની પટનામાં ચીનથી પાછી ફરેલી યુવતીને પટનાની મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં દાખલ કરી છે. યુવતીનાં પીએમસીએચ રેફર કરવામાં આવ્યાં છે. હાલ તેની સારવાર ચાલું છે.