દિલ્હીમાં આજે રાહુલ ગાંધીના અધ્યક્ષસ્થાને કોંગ્રેસની મહત્વની બેઠક મળશે. આ બેઠકમાં વિધાનસભા અને લોકસભાની ચૂંટણી અંગે ચર્ચા વિચારણા થઈ શકે છે. આ બેઠકમાં તમામ રાજ્યના અધ્યક્ષો અને જનરલ સેક્રેટરીઓ હાજર રહેશે. રાજ્યના પ્રભારીઓ પણ બેઠકમાં હાજર રહેશે. મહત્વનું છે કે હવે કોંગ્રેસ દ્વારા આગામી લોકસભા અને રાજ્યસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આપને જણાવી દઇએ કે આગામી લોકસભાની ચૂંટણી રાહુલ ગાંધી અમેઠીથી જ લડશે તે નક્કી છે. પરંતુ સોનિયા ગાંધીની રાજકીય સક્રિયતા અંગે હજુ કોઇ નિર્ણય નથી લેવાયો. સૂત્રો કહી રહ્યા છે કે રાયબરેલીથી સોનિયા ગાંધી કે પ્રિયંકા ગાંધી ચૂંટણી લડશે તે નક્કી કરવામાં આવ્યું નથી.
સૂત્રો દ્વારા મળેલી માહિતી પ્રમાણે રાહુલ ગાંધીનું માનવું છે કે ભાજપને 230થી 240 બેઠકો મળે તો મોદી જ ફરીથી પ્રધાનમંત્રી બનશે. આ સાથે જ કોંગ્રેસને ઉત્તરપ્રદેશ બિહાર અને મહારાષ્ટ્રમાં મહાગઠબંધનને સારી બેઠકો મળવાની આશા છે. સૂત્રો દ્વારા મળેલી માહિતીમાં એ પણ સ્પષ્ટ થયું છે કે કોંગ્રેસ મહાગઠબંધનમાં શિવસેનાને સામેલ નહીં કરે.
2019ની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાહુલ ગાંધી દ્વારા એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવેલ છે. આ બેઠકમાં આગામી ચૂંટણીને લઇને ચર્ચા-વિચારણા કરવામાં આવશે તથા લોકસભાની ચૂંટણીમાં ક્યાં મુદ્દા પર વધારે પ્રમાણમાં ભાર આપવો તે અંગ પણ ચર્ચા કરવામાં આવશે.