દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા અમદાવાદના નિકોલથી વિજય ચોક સુધી રોડ શો(તિરંગા યાત્રા) કરી રહ્યા છે.
અરવિંદ કેજરીવાલ અને ભગવંત માનનો અમદાવાદમાં રોડ શો
25 વર્ષથી ભ્રષ્ટાચાર ખતમ નથી થયો, એક મોકો AAPને આપોઃ કેજરીવાલ
તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
વહેલી ચૂંટણી થવાની શક્યતાઓ વચ્ચે રાજકીય માહોલ જામ્યો છે. તેમજ કેન્દ્રીય નેતાઓના ગુજરાત પ્રવાસ પણ વધ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન આજથી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે. ત્યારે આમ આદમી પાર્ટી અમદાવાદમાં શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.
અમદાવાદના નિકોલ વિસ્તારમાં ખોડિયાર માતાના દર્શન કરી રોડ શૉની શરૂઆત કરી છે. અરવિંદ કેજરીવાલ અને ભગવંત માને રોડ શૉ યોજ્યો છે. જેમાં ગુજરાત આપના નેતા ઇસુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા પણ રોડ શોમાં જોડાયા છે. નિકોલ ખોડિયાર મંદિર 80 ફૂટ રોડથી શરૂ થયેલી તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે.
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) April 2, 2022
અમને રાજનીતિ કરતા નથી આવડતુ. અમને માત્ર દેશભક્તિ કરતા આવડે છેઃ કેજરીવાલ
અરવિંદ કેજરીવાલ રોડ શો બાદ કહ્યું કે, દરેક લોકો અમારી જોડે તિરંગા લઈ ચાલ્યા તેમનો આભાર, અમને રાજનીતિ કરતા નથી આવડતુ. અમને માત્ર દેશભક્તિ કરતા આવડે છે. 10 વર્ષ પહેલાં કેજરીવાલને કોઈ જાણતું ના હતું. પહેલા દિલ્હી અને હવે પંજાબમાં AAP સરકાર બની છે. પંજાબ માં 10 દિવસમાં ભ્રષ્ટાચાર બંધ થયો છે. પંજાબમાં કોઈ શાળા ફીમાં વધારો નહીં કરી શકે. દિલ્હીમાં અમે સ્કૂલ અને હોસ્પિટલમાં સારી કરી. વીજળી 24 કલાક કરી. 25000 નવી નોકરી. કોઈ પેપર નહીં ફૂટે. અમે દેશ અને ગુજરાતને જીતાડવા આવ્યા છીએ.
અમે ભાજપ કે કોંગ્રેસને હરાવવા નહીં પરંતુ ગુજરાત અને ગુજરાતીઓને જીતાડવા આવ્યા: કેજરીવાલ
દિલ્હીના CM કેજરીવાલે કહ્યું કે, પંજાબમાં AAPએ 10 દિવસમાં ભ્રષ્ટાચાર સમાપ્ત કરી દીધો છે. હું કોઈ પાર્ટીની બુરાઈ નથી કરતો. હું ભાજપ કે કોંગ્રેસને હરાવવા નહીં પરંતુ ગુજરાત અને ગુજરાતીઓને જીતાડવા માટે આવ્યો છું. ભાજપ અહિયાં 25 વર્ષમાં કશું ન કરી શકી. 25 વર્ષથી ભ્રષ્ટાચાર ખતમ નથી થયો, એક મોકો AAPને આપો, પસંદ ન આવે તો બદલી કાઢજો.
પેપર ફૂટવાની લીકેજ બંધ કરવી પડશે, ગુજરાતમાં દર 3 મહિને પેપર ફૂટે છેઃ ભગવંત માન
રાજ્યમાં પેપર ફૂટવાની સતત વધી રહેલી ઘટનાઓ પર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે. ભગવંત માને કહ્યું કે, આ સરકાર શિક્ષણ વેચવાનું કામ કરે છે. ગુજરાતમાં દર 3 મહિને પેપર ફૂટે છે. આ પેપર લીકેજ બંધ કરવી પડશે. અમે પંજાબમાં ફી ના વધારવા નિર્દેશ જાહેર કર્યો છે.
તમે લોકો ઝાડું ઉઠાવી લો, ભ્રષ્ટચારનો કીચડ સાથે મળીને સાફ કરીશુંઃ ભગવંત માન
આ ઉપરાંત તેમણે કહ્યું કે, તમે લોકો ઝાડું ઉઠાવી લો, ભ્રષ્ટચારનો કીચડ સાથે મળીને સાફ કરીશું. સાથે એ પણ કહ્યુ હતુ કે, 27 વર્ષના શાસન બાદ ભાજપમાં અહંકાર આવી ગયો છે. જનતાનો અવાજ સાંભળવાનો બંધ કરી દીધુ છે. ગુજરાતને એવી સરકાર જોઈએ છે, જે જનતાનો અવાજ સાંભળે.
દિલ્હી અને પંજાબ તો થઈ ગયું હવે અમારી ગુજરાતની તૈયારીઃ ભગવંત માન
રોડ શો દરમિયાન પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ હતુ કે, પંજાબમાં મોટી જીત બાદ હવે અમે ગુજરાતની તૈયારીઓ કરી રહ્યા છીએ. તમે તિરંગા લઇને આવ્યા, તમારી દેશભક્તિમાં કોઈ કમી નથી.
આવતીકાલે રાજકીય, સામાજિક આગેવાનો સાથે કરશે ચર્ચા
આવતીકાલે સવારે 10 વાગ્યે શાહીબાગ સ્વામિનારાયણ મંદિર જશે. ત્યાર બાદ તેઓ રાજકીય, સામાજિક આગેવાનો અને પાર્ટીના આગેવાનો સાથે ચૂંટણીને લઈને ચર્ચા કરશે. સાંજે 6 વાગ્યે તેઓ દિલ્હી જવા રવાના થશે.
— AAP Gujarat । Mission2022 (@AAPGujarat) April 2, 2022
હુમલાની શક્યતાને લઇ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
તાજેતરમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘર પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો. આ હુમલાને ધ્યાનમાં રાખીને ગુજરાતમાં તેમના પર હુમલો ન થાય એને ધ્યાનમાં રાખીને રોડ-શો તથા ગુજરાતની મુલાકાત દરમિયાન તેમની સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરાયો છે.