કેજરીવાલે જીતની હેટ્રિક લગાવી. આ જીતમાં કેજરીવાલનો એક અલગ જ અવતાર જોવા મળ્યો અને એવો અવતાર કે જેણે ભાજપ સહિતના વિપક્ષની લંકા સળગાવી દીધી. ભાજપની રણનીતિનો સામનો કરવા માટે કેજરીવાલ હનુમાનજીની શરણમાં ગયા હતા અને હનુમાનજીએ જ કેજરીવાલનો બેડો પાર કરી દીધો.
હનુમાન ભક્ત કેજરીવાલ !
હનુમાનજીએ કર્યો બેડો પાર !
ભાજપના વાર સામે પલટવાર
દિલ્હીમાં સતત ત્રીજી જીત સાથે જ આમ આદમી પાર્ટી અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બીજી અન્ય પાર્ટીઓને સંદેશ પણ આવી દીધો છે. આ પ્રચંડ જીતના આમ તો અનેક ફેક્ટર છે. પરંતુ એ વાતથી પણ ઈન્કાર ન કરી શકાય કે ભાજપ જેવી હેવી વેટ પાર્ટીનો સામનો કરવામાં હનુમાનજીએ કેજરીવાલની મોટી મદદ કરી. પ્રથમ નજરે તમને આ વાત થોડી અટપટી લાગતી હશે. પરંતુ સમગ્ર ચૂંટણી પ્રચારનું વિશ્લેષણ કરીશું તો તેમને સ્પષ્ટ રીતે સમજાશે.
ભાજપની આ રણનીતિનો સામનો કરવા કેજરીવાલ હનુમાનજીના શરણે
આમ આદમી પાર્ટીએ ચૂંટણી પ્રચારની શરૂઆત પાંચ વર્ષમાં કરેલા કામોથી કરી હતી. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આગેવાનીમાં ભાજપે રાષ્ટ્રવાદ, હિન્દુત્વ જેવા પારંપરિક મુદ્દાઓને કેન્દ્રમાં રાખી મેદાનમાં ઉતરી હતી. આ બન્ને એજન્ડાથી જનતાને જોડવા માટે ભાજપે શાહીનબાગ જેવા તાત્કાલિક મુદ્દાઓને સંપૂર્ણ રીતે ઉછાળ્યા. ભાજપે ચૂંટણી પ્રચારમાં એ બતાવવાનો પ્રયાસ કર્યો કે જો આપ ફરી સત્તામાં આવશે તો દિલ્હીમાં મુગલકાળ આવી જશે. માટે હિન્દુઓએ એકજૂટ થઈને ભાજપને મત આપવા જોઈએ. કારણ કે રામરાજ્ય સ્થાપિત થઈ શકે. તો ભાજપની આ રણનીતિનો સામનો કરવા માટે કેજરીવાલ હનુમાનજીની શરણમાં પહોંચી ગયા.
ભાજપના નેતાઓને ટક્કર આપવા હનુમાનજીનો સહારો
રામચરિત માનસ જેવા પવિત્ર ધર્મગ્રંથમાં કહેવામાં આવ્યું છે કે હનુમાનજી ભગવાન રામના સૌથી મોટા ભક્ત હતા. ભગવાન રામે ખુદ કહ્યું હતું કે તેઓ પોતાના પરમ ભક્ત હનુમાનજીની ભક્તિ કરનારાઓને સાથ આપશે. આ વાતોનો હિન્દુ ધર્મમાં ઉંડો પ્રભાવ છે. કદાચ આ જ કારણે મુખ્યમંત્રી કેજરીવાલ પોતાને રામ ભક્ત કહેનારા ભાજપના નેતાઓને ટક્કર આપવા માટે ચૂંટણી પ્રચારમાં હનુમાનજીના નામનો સહારો લીધો. તેઓ અનેક ન્યૂઝ ચેનલો પર હનુમાન ચાલીસા બોલતા જોવા મળ્યા હતા.
ભાજપ સતત ચૂંટણી પ્રચાર દરમિયાન આપને મુસ્લિમ હિતેષી ગણાવવાનો પ્રયાસ કરતું રહ્યું અને ભાજપને તેનો ફાયદો પણ થયો છે. વાત 2014 અને 2019ની લોકસભા ચૂંટણીની કરીએ તો ભાજપ એ સ્થાપિત કરવામાં સફળ રહ્યું હતું કે તે જ માત્ર હિન્દુઓની પાર્ટી છે. કોંગ્રેસ મુસ્લિમોનો પક્ષ લેનારી પાર્ટી છે. આ તો ખુદ કોંગ્રેસ નેતા એ.કે.એન્ટોની પોતાની સમીક્ષા રિપોર્ટમાં સ્વીકારી ચુક્યા છે.
કેજરીવાલનું સોફ્ટ હિન્દુત્વ કાર્ડ
એન્ટોનીના રિપોર્ટથી ભલે કોંગ્રેસ સબક ન લઈ શકી. પરંતુ કેજરીવાલને કામ આવી ગયો. પ્રધાનમંત્રી મોદી અને ગૃહમંત્રી અમિત શાહ જેવા મોટા નેતાઓના આરોપોનો સામનો કરવા માટે કેજરીવાલે જનસભાઓમાં હનુમાન ચાલીસા પાઢ કરતા જોવા મળ્યા. ભાજપ જ્યારે તેમના પર આક્રમક થતી રહી ત્યારે તેઓ કનોટ પ્લેસના પ્રસિદ્ધ હનુમાન મંદિરમાં જતા જોવા મળ્યા. હનુમાન મંદિરની આ યાત્રાથી કેજરીવાલનો સ્પષ્ટ સંકેત હતો કે તેઓ સોફ્ટ હિન્દુત્વના એજન્ડા પર કામ કરી રહ્યા છે. ભાજપ વારંવાર શાહીનબાગ અને બિરયાનીની વાત કરી રહી હતી. ત્યાં કેજરીવાલ તેના પર કોઈ નિવેદન આપતા બચતા રહ્યા.
કેજરીવાલે કર્યા હનુમાન મંદિરમાં દર્શન
મતદાન સંપન્ન થયું ત્યાં સુધીમાં કેજરીવાલ સમજી ચુક્યા હતા કે હનુમાનજીનું નામ લેવાથી તેમને ફાયદો થઈ રહ્યો છે. તેઓ ભાજપ દ્વારા બનાવવામાં આવતી છબિથી પણ બચી રહ્યા છે. તેથી જ તેઓ મતદાન પૂર્ણ થયા બાદ કનોટ પ્લેસના હનુમાન મંદિરમાં દર્શને પહોંચી ગયા હતા. જીત બાદ પણ તેમણે આ જ મંદિરની મુલાકાત લીધી હતી અને દાદાના દર્શન કર્યા હતા. પરંતુ આ બધાની વચ્ચે કેજરીવાલે હવે સોફ્ટ હિન્દુત્વ તરફ આગળ વધવાના સંકેત આપી દીધા છે. જેના કારણે ભાજપે હવે કંઈક વિચારવું પડશે.