દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ફરી એક વખત ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે.
અમદાવાદથી ગુજરાત યાત્રાનો થશે પ્રારંભ
સરકારની નિષ્ફળતા અને મોંઘવારી સહિતના મુદ્દા જનતા સમક્ષ મુકશે
ફરી ગુજરાતના પ્રવાસે આવશે અરવિંદ કેજરીવાલ
ગુજરાત વિધાનસભાની ચુંટણીના આગમન પહેલા ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓના ગુજરાત પ્રવાસમાં વધારો જોવા મળી રહ્યો છે. ગઇકાલે રાજકોટ ખાતે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે મુલાકાત લીધી હતી. જ્યાં સભા ગજવ્યા બાદ કેજરીવાલનો વધુ એક વખત ગુજરાત પ્રવાસ ગોઠવાયો છે. આગામી 15મીએ દિલ્હીના મુખ્યમંત્રી ફરી ગુજરાતના પ્રવાસે આવશે. અને AAPની ગુજરાત યાત્રનો પ્રારંભ કરાવી કેટલાક નગરોમાં જોડાશે.
15મીએ ગુજરાતના પ્રવાસે આવશે અરવિંદ કેજરીવાલ
ગુજરાતની ચુંટણીને લઈને રાજ્યમાં સક્રિય દરેક પાર્ટીઓ જંગ જીતવા કમરકસી છે. એક બાજુ ભાજપ આગામી ચૂંટણીમાં ઇતિહાસ રચવા અને 150 પલ્સના લક્ષ્યાંકને સિદ્ધ કરવા મેદાનમાં ઉતાર્યું છે. તો લાંબા સમય બાદ ગુજરાત પર સત્તાનો સ્વાદ ચાખવા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ બરોબરની મહેનત આરંભી દીધી છે. જેના ભાગરૂપે પાર્ટીના આગેવાનો ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસના રાહુલ ગાંધી અને આમ આદમી પાર્ટીના અરવિંદ કેજરીવાલે તાજેતરમાં જ ગુજરાતની મુલાકાત લીધી છે તેવામાં દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ ફરી ગુજરાતના પ્રવાસે આવશે. આગામી 15મી મે ના રોજ CM કેજરીવાલ ગુજરાત આવશે. ગુજરાતમાં મોંઘવારી અને નિષ્ફળતા મુદ્દે સરકારને ભીંસમાં લેવા AAP ગુજરાત યાત્રાનું આયોજન કરાયું છે. ગુજરાત યાત્રા દરમિયાન સરકારની નિષ્ફળતા, રોજગારી, શિક્ષણ સહિતની સમસ્યાઓથી ગુજરાતની જનતાને અવગત કરવામાં આવશે.
અમદાવાદથી ગુજરાત યાત્રાનો પ્રારંભ કરાવશે કેજરીવાલ
ગુજરાત યાત્રાનો આગામી ત્રણ દિવસ બાદ કેજરીવાલ અમદાવાદથી પ્રારંભ કરાવશે. મહત્વનું છે કે ગુજરાતના દરેક જિલ્લા મથકો સુધી ગુજરાત યાત્રા યોજાશે. જેમાં ગુજરાતના અમુક શહેરોમાં યાત્રા દરમીયાન CM અરવિંદ કેજરીવાલ પણ જોડાશે. ગઇકાલે ગુજરાતના રાજકોટની મુલાકાતે આવેલ મુખ્યમંત્રીએ દિલ્હી રવાના થતાં પહેલા AAPના હોદ્દેદારો સાથે બેઠક કરી હતી અને અગ્રણીઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપ્યું હતું.