દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાનના 24 કલાક બાદ ચૂંટણી પંચે મતની ટકાવારી જાહેર કરી છે. ચૂંટણી પંચ તરફથી રવિવાર સાંજે થયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવાયું છે કે આ વખતે દિલ્હીમાં 62.59 ટકા મતદાન થયું છે. ત્યારે ચૂંટણી પંચે મોડું મતદાનની ટકાવારી જાહેર કરવાનું કારણ પણ જણાવ્યું હતું.
દિલ્હી ચૂંટણીપંચની પત્રકાર પરિષદ
દિલ્હીમાં 62.59 ટકા મતદાન થયું
આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવ્યા
ચૂંટણી પંચે કહ્યું કે દરેક બૂથથી મતદાનની ડિટેઇલ એકત્ર કર્યા બાદ આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણી પંચે કહ્યું કે શનિવાર મોડી સાંજ સુધી મતદાન થતું રહ્યું, જેને લઇને દરેક બૂથથી આંકડા એકત્ર કરવામાં સમય લાગ્યો. તેમણે કહ્યું કે, બલ્લીમરાન વિધાનસભા ક્ષેત્રમાં સૌથી વધુ 71.60 ટકા મતદાન થયું. દિલ્હી કેન્ટ વિસ્તારમાં સૌથી ઓછું 45.4 ટકા મતદાન થયું. ઓખલા વિધાનસભા ક્ષેત્રમાં 58.84 અને સીલમપુરમાં 71.22 ટકા મતદાન થયું.
ચૂંટણી પંચે જણાવ્યું કે, લોકસભામાં 60.50 ટકા મતદાન થયું હતું. 2015 કરતા 2020માં 5 ટકા ઓછુ મતદાન થયું છે. ચાલુ દિવસે મતદાન હોવાથી લોકો સાંજે મતદાન માટે આવ્યા હોઇ શકે. EVM ચોરી મામલે તપાસ કરવામાં આવી છે.
આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચ પર ઉઠાવેલા આક્ષેપો ચૂંટણી પંચે ફગાવ્યા છે. કહ્યું કે, બંને બુથ પર રિઝર્વ EVM રાખવામાં આવ્યા હતા. બંને મશીનમાં મતદાન થયું નથી.
આમ આદમી પાર્ટીએ ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવ્યા
આ પહેલા આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સ કરી ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવ્યા હતા કે મતદાન પૂર્ણ થવાના આટલા સમય બાદ સુધી મત ટકાવારીનો આંકડો કેમ ન જાહેર કરાયો છે.
ત્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના મંત્રી મનીષ સિસોદિયાએ પણ ટ્વીટ કરી સવાલ ઉઠાવ્યા છે કે અંતે ચૂંટણી પંચે મતદાનના આટલા સમય બાદ પણ મતની ટકાવરી કેમ જાહેર ન કરી. ભાજપ નેતા કપિલ મિશ્રાનું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, આપ દિલ્હીની જનતાનું અપમાન કરી રહી છે.