રાજ્યમાં નવી સરકાર સતત કામગીરીમાં વ્યસત છે. મુખ્યમંત્રી પણ સતત રાજ્યના અલગ અલગ જિલ્લાઓની મુલાકાત લઈ નીતિ વિષયક નિર્ણય લઈ રહ્યા છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ બોટાદની મુલાકાતે હતા.
તાજમહેલ અને અક્ષરધામને લઈને સીઆર પાટીલેનું નિવેદન
તાજમહેલ કરતા અક્ષરધામને સવાયું ગણાવ્યું
જેમને તાજમહેલ ગમે છે તેમની નજરમાં ખામીઃ પાટીલ
ગઢડામાં BAPS સ્વામિનારાયણ મંદિરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે દર્શન કર્યા હતા. બાદમાં સંતો-મહંતોએ ફૂલહાર કરી મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું હતું. તો શ્રી ગોપીનાથ મહારાજના વાર્ષિક ઉત્સવ કાર્યક્રમમાં સંબોધન કરતા સી.આર.પાટીલે મુખ્યમંત્રીના વખાણ કર્યા હતા. બાદમાં તાજમહેલ અને દિલ્હી અક્ષરધામ મંદીરને લઇને નિવેદન આપ્યું હતું.
તાજમહેલ કરતા દિલ્હી અક્ષરધામના દર્શન કરોઃ પાટીલ
સી.આર. પાટીલે કહ્યું કે, તમે જે મંદિરોના નિર્માણ કરી રહ્યા છો, તો આવા મંદિરો ભવિષ્યમાં બનશે કે કેમ એ શંકા થાય છે. મેં તો દિલ્હીનું અક્ષરધામ મંદિર અને તાજમહેલ બન્ને જોયા છે. કોઇને જો તાજમહેલ વધુ પસંદ પડ્યો હોય તો તેમની નજરમાં ખામી હશે, મારા નંબર બરાબર છે. મને એમ લાગે છે કે, તાજમહેલ કરતા દિલ્હીનું અક્ષરધામ જોવાથી ધન્યતા અનુભવી અનુભવાય છે. એટલા જ માટે આવા વાસ્તુના નિર્માણ થઇ રહ્યા છે. તેનાથી ઇતિહાસ સચાવાનો છે, લોકોને પ્રેરણા મળશે, દુનિયામાં દેશની છબીમાં ખુબ વધારો પણ થશે.
બાદમાં મુખ્યમંત્રીને લઇને કરી રમુજી વાત
પાટીલે વધુમાં કહ્યું કે, મુખ્યમંત્રીને કાર્યક્રમમાં અડધો કલાક મોડું આવવા કહ્યું હતું, પરંતુ તેઓ એક કલાક મોડા આવ્યા છે. સાહેબ મુખ્યમંત્રી છે, મોડા આવે એટલે આપણાથી કાંઇ કહેવાય નહીં, રાહ જોવી જ પડે ને. તો હવે તેમને રોકવાનો તમારો અધિકાર છે, એમને રોકી લો પણ મને રજા આપી દો. આ વાત સાથે જ હાસ્યનો માહોલ સર્જાયો હતો.
CM ભૂપેન્દ્ર પટેલ ભોળા છેઃ પાટીલ
પોતાની બોટાદ મુલાકાત દરમિયાન મુખ્યમંત્રીની પ્રશંસા કરી હતી. તેઓ સ્વભાવે ભોળા છે તેમ તેમને જણાવ્યુ હતું. પાટીલે કહ્યું કે, મુખ્યમંત્રી રાજકારણમાં કઈ રીતે આવ્યા તે તપાસનો વિષય છે. મુખ્યમંત્રી ખૂબ જ ભોળા માણસ છે. મુખ્યમંત્રી ભલે ભોળા છે પણ તેમને કોઈ છેતરી નહીં શકે. ઘણીવાર એમને અમારે રોકવા પડે કે સાહેબ સાચવીને, જાળવજો. પણ સામેવાળો ગમે એટલો ચાલાક હશે પણ CMને છેતરી નહીં શકે.