સુપ્રીમ કોર્ટે સુનાવણી વખતે વૈજ્ઞાનિક તારણ ટાંકતાં કહ્યું હતું કે પરાળી સળગાવવાના કારણે ૩૦ ટકા વાયુપ્રદૂષણ ફેલાય છે, જ્યારે બાકીના ૭૦ ટકા ફાળો વાહનોનો ધુમાડો, બિલ્ડિંગોના નિર્માણનો છે.
રાજધાની દિલ્હીની ‘ઝેરી હવા’
સરકારની બેદરકારી સામે સુપ્રીમ કોર્ટ થઈ લાલઘૂમ
શાળા-કોલેજો કરાવાયા બંધ
તહેવારોની સાથે-સાથે રાજધાની દિલ્હી તેમજ તેની આસપાસના વિસ્તારમાં એક ભયંકર સમસ્યા માથું ઊંચકીને દર વર્ષે ઊભી થાય છે. આ સમસ્યા એટલે વાયુ પ્રદૂષણ. હાલ પરિસ્થિતિ એ હદે વણસી ગઇ છે કે પ્રદૂષણને નાથવા કોઇ નક્કર પગલાં નહીં લેવાય તો શુદ્ધ હવા માટે ટળવળવું પડશે. ફેફસાંમાં ખુલ્લી હવા લેવી એ એક સપનું બનીને રહી જશે એ સમય હવે દૂર નથી.
સુપ્રીમ કોર્ટ થઈ લાલઘૂમ
વાયુ પ્રદૂષણના મામલે સરકારનો વાહનોનો બેફામ ઉપયોગ-ફટાકડાઓ પર પ્રતિબંધ હોવા છતાં ખેડૂતો સતત પરાળી સળગાવી રહ્યા છે તેના પર બંને એકબીજા પર દોષારોપણ કરી રહ્યાં છે તો સામાન્ય જનતા આ વકરતી સમસ્યાને કેમ અટકાવવી તેની મથામણમાં છે. સુપ્રીમ કોર્ટ તો પ્રદૂષણને લઇ લાલઘૂમ છે. સુપ્રીમ કોર્ટ સરકાર તરફથી નિષ્ફળ પ્રયત્નો જોતાં ભારે નિરાશ થઇ ઝાટકણી કાઢી રહી છે. સરકારે આપેલાં કારણોને ગળે ન ઊતરે તેવાં ગણાવી ઘોડો છૂટ્યા પછી તબેલાને તાળાં કેમ જેવા સવાલો પૂછી રહી છે.
દિલ્હીમાં તો શ્વાસ લેવો મુશ્કેલ
રાજધાની દિલ્હીમાં સામાન્ય જનતાને શ્વાસ લેવામાં જે મુશ્કેલી પડી રહી છે તેનાથી સુપ્રીમ કોર્ટ ચિંતિત છે. સુપ્રીમ કોર્ટની ચિંતા યોગ્ય જ છે, કેમ કે જે સ્તરે સ્થિતિ વણસતી જઇ રહી છે તેને જોતાં સામાન્ય જીવન મુશ્કેલ બની રહ્યું છે. રાજધાની દિલ્હીમાં તો શ્વાસ લેવો મુશ્કેલ બની ગયો છે. માસ્ક વગર બહાર નીકળવું અશક્ય બની ગયું છે. શુદ્ધ હવાની ગુણવત્તાને લઇ સરકાર પર થઇ રહેલા આકરા પ્રહારો અને ફક્ત સરકારને આ તમામ મામલે જવાબદાર ગણાવવાથી પરિસ્થિતિ સુધરશે નહીં. આ મામલે નક્કર પગલાં લેવાં પડશે તો જ કોઇ હલ મળી આવશે.
શુદ્ધ હવા જીવન જીવવા માટે પાયાની જરૂરિયાત છે. આ એક એવી વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, જેના ભરોસે જીવન ચાલે છે. કોઇ ભૌતિક સુખ-સગવડ મેળવવા માટે આર્થિક ગતિવિધિઓ માટે તો ઉદ્યોગો હોવા જરૂરી છે. વિકાસ અટકી ન જાય એ પણ જોવું રહ્યું. વૈજ્ઞાનિક અને આધુનિક જીવન માટે વિરોધાભાસી ગતિવિધિઓ થાય તે સ્વાભાવિક છે. વાયુ પ્રદૂષણ એ પ્રમુખ સમસ્યા છે. સ્વચ્છ હવા-પાણી સામાન્ય માણસનો મૌલિક અધિકાર છે. એકબીજા પર દોષારોપણ કર્યા વગર આ સમસ્યાને કેમ હલ કરવી એ બહુ જરૂરી છે.
સુપ્રીમના નિર્દેશની કરાઈ અવગણના
દીપાવલીના અવસરે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યો હતો કે ફટાકડા ફોડશો નહીં, જોકે આ વાતને અવગણવામાં આવી, પરિણામે દિવાળીના આગલા દિવસથી જ વાયુ પ્રદૂષણનું સ્તર ભયંકર રીતે વધ્યું. આ તમામ પાછળ ખેડૂતો પર દોષારોપણ કરવામાં આવ્યું કે પરાળી સળગવાથી આ પરિસ્થિતિ આવી.
શું ખરેખર ખેડૂતો પરાળી સળગાવે છે એથી જ આ પ્રદૂષણ વધ્યું?
પહેલાં પણ ખેડૂતો આ રીતે પરાળી સળગાવતા હતો, જોકે તેનું પ્રમાણ ખૂબ ઓછું હતું, કેમ કે પહેલાં પરાળીનો ઉપયોગ પશુઓની સારસંભાળમાં થતો. હવે ખેડૂતો પરાળીને ખેતરમાં જ સળગાવી દે છે. સુપ્રીમ કોર્ટે વૈજ્ઞાનિક તારણ ટાંકતાં કહ્યું હતું કે પરાળી સળગાવવાના કારણે ૩૦ ટકા વાયુપ્રદૂષણ ફેલાય છે બાકીના ૭૦ ટકા ફાળો વાહનોનો ધુમાડો, બિલ્ડિંગોના નિર્માણનો છે.
શાળા-કોલેજો કરાવાયા બંધ
દિલ્હી સરકાર વાયુ પ્રદૂષણ મામલે ભેરવાતાં તાત્કાિલક પગલાના ભાગરૂપે શાળા-કોલેજો બંધ કરાવી દીધાં, સરકારી કર્મચારીઓને ઘરે જ કામ કરવાના નિર્દેશ આપ્યા. સુપ્રીમ કોર્ટે ઉપાય આપ્યો હતો કે દિલ્હીમાં લોકડાઉન લગાવી દો, જોકે સરકાર લોકડાઉન લગાવવાના પક્ષમાં નહોતી.
દિલ્હીનું ક્ષેત્રફળ અને તેની સામેની વસ્તી ગીચતાને જોતાં એવી કાયમી વ્યવસ્થાની જરૂર છે, જેનાથી આવનારી પેઢીનું જીવન સરળ બને. આ મામલે ઔદ્યોગિક નીતિમાં ફેરફાર જરૂરી છે, જેનાથી દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણને નાથી શકાય. હવામાં ઓછામાં આછો કાર્બન ડાયોક્સાઇડ ભળે તેમજ કોંક્રીટનાં જંગલો ન બને તે જોવાનું ફક્ત સરકાર, પછી ખેડૂતો કે ઉદ્યોગોનું જ કામ ન રહેતાં આપણા સૌની સહિયારી જવાબદારી છે. રાજનીતિમાં પડ્યા વગર કે કોઇ પર દોષારોપણ કર્યા વગર એવી યોજના ઘડવી રહી, જેનાથી આ સમસ્યા કાયમી ધોરણે અટકાવી શકાય