છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં 39 દર્દીઓનાં મોત નીપજ્યાં હતા, જે 15 ડિસેમ્બર પછી એક જ દિવસમાં મૃત્યુની સૌથી વધુ સંખ્યા છે. 15 ડિસેમ્બરે, 1 દિવસમાં 41 મૃત્યુ થયા હતા.
દિલ્હીમાં કોરોનાની 'બેરોકટોક' આગેકૂચ
છેલ્લા 24 કલાકમાં આવ્યા 8521 નવા કેસ
છેલ્લા 24 કલાકમાં 39 દર્દીઓનાં મોત નીપજ્યાં
દેશની રાજધાની દિલ્હીમાં કોરોના સંક્રમણ હવે પહેલા કરતા પણ વધુ જીવલેણ બની રહ્યો છે. દિલ્હીમાં કોરોના સંક્રમણના નવા કેસો ઝડપથી વધી રહ્યા છે. શુક્રવારે રાજધાની દિલ્હીમાં કોરોનાના 8521 નવા કેસ નોંધાયા હતા, જ્યારે કે સારવાર દરમિયાન 39 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આરોગ્ય વિભાગે જણાવ્યું કે આજે 5032 લોકો સ્વસ્થ થયા પછી ઘરે પરત ફર્યા છે.
એક્ટિવ કેસની સંખ્યા વધીને 26 હજારને પાર
હાલમાં દિલ્હીમાં દર્દીઓની કુલ સંખ્યા 7,06,526 સુધી પહોંચી ગઈ છે, જેમાંથી 6,68,699 જેટલા લોકો સ્વસ્થ બની ગયા છે. અત્યાર સુધીમાં કુલ 11,196 લોકોનાં મોત નીપજ્યાં છે અને એક્ટિવ કેસની સંખ્યા વધીને 26,631 થઈ ગઈ છે.
બાળકોમાં પણ ફેલાઈ રહ્યો છે કોરોના
ડબલ મ્યુટેશન અને નવા સ્ટ્રેઇનના કારણે, કોરોનાનો નવો વાયરસ હવે યુવાનો તેમજ નાના બાળકોને પણ સંક્રમિત કરી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં કોરોનાનું સંક્રમણ થયા પછી પાંચ બાળકોને દિલ્હી સરકારની લોક નાયક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેનાથી ડોકટરોની ચિંતા પણ વધી છે.
દિલ્હીની એક હોસ્પિટલના બાળરોગ નિષ્ણાત ડોકટરે જણાવ્યું હતું કે છેલ્લા 1 અઠવાડિયામાં જે બાળકોને દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી બે બાળકો ત્રણ મહિનાથી પણ નાના છે. તે જ સમયે, અન્ય ત્રણ બાળકો એક વર્ષથી ઓછી ઉંમરના છે. જો કે, બધા શિશુમાં સંક્રમણના ખૂબ જ હળવા સંકેતો છે. તેમણે કહ્યું કે બાળક વાયરસના નવા સ્ટ્રેઇનથી પીડિત હોઈ શકે છે, કારણ કે છેલ્લા એક વર્ષમાં આ વય જૂથના કોઈ પણ બાળકને ચેપ લાગ્યો ન હતો અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ન હતો.
નાની ઉંમરના લોકો પણ મોટી સંખ્યામાં સંક્રમિત થઈ રહ્યા છે
હોસ્પિટલના મેડિકલ ડિરેક્ટર ડો.સુરેશ કુમારે જણાવ્યું હતું કે ગયા વર્ષે, કોરોનાથી સંક્રમિત થનારામાં મોટભાગે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ આ વખતે ઘણું પરિવર્તન આવ્યું છે. હવે 30 થી 45 વર્ષની વયના દર્દીઓ પણ દાખલ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત નાના બાળકો અને સગર્ભા સ્ત્રીઓ પણ મોટી સંખ્યામાં સારવાર માટે આવી રહી છે. ડો.સુરેશે કહ્યું કે હાલમાં તેમની હોસ્પિટલમાં 170 દર્દીઓ દાખલ છે. હોસ્પિટલમાં પથારીની સંખ્યા 1000થી વધુની કરી નાખવામાં આવી છે.