રાજકોટના મહત્વના બે પ્રોજેક્ટ હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ અને AIIMSના કામમાં વિલંબ જોવા મળતા PMOમાંથી બંન્ને પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવાની સૂચના અપાઈ.
રાજકોટના મહત્વના બે પ્રોજેક્ટની કામગીરીમાં વિલંબ
હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ અને AIIMSના કામમાં વિલંબ
PMOમાંથી બંન્ને પ્રોજેક્ટ ઝડપી પૂર્ણ કરવા સૂચના
રાજકોટના હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ અને AIIMSના કામમાં વિલંબ જોવા મળ્યો છે. જેને લઇ PMOમાંથી બન્ને પ્રોજેક્ટ ઝડપી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી છે. મળતી માહિતી મુજબ, રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે પર હીરાસર નજીક 1025 હેક્ટર જમીનમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા વર્લ્ડ ક્લાસ સુવિધા સાથેનું ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવામાં આવી રહ્યું છે.
બન્ને પ્રોજેક્ટની કામગીરીમાં શિથિલતા
આ સાથે જ સમગ્ર રાજ્યને ફાયદો થાય તે માટે કેન્દ્ર દ્વારા રાજકોટને AIIMSની ફાળવણી કરાઈ છે. આ બંન્ને પ્રોજેક્ટ અત્યંત મહત્વના માનવામાં આવી રહ્યા છે. ત્યારે સ્થાનિક કક્ષાએ બન્ને પ્રોજેક્ટની કામગીરીમાં શિથિલતા જોવા મળી રહી છે. જેને કારણે હીરાસર એરપોર્ટનું લોકાર્પણ થવામાં વિલંબ થઇ શકે છે.
PMOમાંથી અપાઈ આ સૂચના
આ ઉપરાંત આ એરપોર્ટ સુધીનો રોડ ઝડપી બનાવવા ઉડ્ડયન સચિવે સૂચના પણ આપી દીધી છે, પરંતુ સ્થળાંતરણમાં કેટલાક પરિવારનો ન માનતા હોવાથી કામગીરીમાં વિલંબ થયો છે. રાજકોટના મહત્વના બે પ્રોજેક્ટની કામગીરીમાં વિલંબ થતાં PMOએ આ બંન્ને પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવા માટે સૂચના આપી છે.
કેવુ હશે રાજકોટનું ગ્રીનફિલ્ડ એરપોર્ટ?
આપને જણાવી દઈએ કે, વિધાનસભા ચૂંટણી વખતે ઓક્ટોબર- 2017માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિરાસર એરપોર્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. 10 ઓક્ટોબર 2017ના પ્રોજેક્ટને કેન્દ્રના વન અને પર્યાવરણ વિભાગની મંજૂરી મળી ગઈ હતી. આ એરપોર્ટ અંદાજે 1025 એકર જમીન પર આકાર લેશે. 1400 કરોડ રૂપિયા અંદાજિત ખર્ચ છે. આ એરપોર્ટ વિશે વાત કરીએ તો એરબસ- A320 પ્રકારના એરક્રાફટ ઉતરી શકે એવો એક રન- વે હશે. રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ, સોલાર પાવર સિસ્ટમ હશે. નોઇસ બેરીયર માટે એરપોર્ટ પેરીફેરીમાં ગ્રીન બેલ્ટ તૈયાર કરાશે. હાલના એરપોર્ટ પર વાર્ષિક 4.11 લાખ મુસાફરોની અવર જવર છે જેમાં નવા એરપોર્ટથી 6.5 લાખ પેસેન્જરની અવરજવર થશે.
કેવી હશે AIIMS હોસ્પિટલ?
AIIMS હોસ્પિટલની વાત કરીએ તો ગ્રાઉન્ડ ફ્લોર પર ડોક્ટર્સ રૂમ, લેબોરેટરી, કન્સલ્ટન્ટ રૂમ હશે. પ્રથમ માળે ICU સહિતના વોર્ડ HDU, ઓપરેશન થિયેટર હશે. બીજા માળ પર લેક્ચર રૂમ, વોડ્સ, સ્ટાફ લોન્જ હશે. જ્યારે ત્રીજા, ચોથા અને પાંચમાં માળમાં વિવિધ વોર્ડસ, ડોક્ટર્સ રૂમની સુવિધાઓ હશે. એઇમ્સ શરૂ થતા જ ન માત્ર રાજકોટ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રને ઉચ્ચ કક્ષાની તબીબી સારવાર રાજકોટમાં મળી શકશે. મહત્વનું છે કે શહેરના પરાપીપડીયા અને ખંઢેરી ગામ પાછળ 120 એકર જમીન એમ્સ માટે સરકારે ફાળવી હતી.
એઇમ્સને કારણે મોટી સંખ્યામાં આરોગ્ય કાર્યકરો અને તબીબો સૌરાષ્ટ્રને મળવા લાગશે. નવી મેડિકલ કોલેજને કારણે નવા તબીબોની સંખ્યા વધશે. 20 સુપર સ્પેશિયાલિટી વિભાગો હોવાથી દરેક પ્રકારના દર્દની સારવાર અને ઓપરેશન થઇ શકશે.