ભારતને હવે ત્રણ મહિનામાં નવા આર્મી ચીફ મળશે, ભારતના વર્તમાન આર્મી ચીફ જનરલ બિપીન રાવત ૩૧ ડિસેમ્બરે નિવૃત્ત થઇ રહ્યા છે. જનરલ રાવતના અનુગામી એટલે કે નવા આર્મી ચીફની નિમણૂક પ્રક્રિયા શરૂ કરી દેવાઇ છે. અધિકારીઓએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે નવા આર્મી ચીફની રેસમાં લેફટ. જનરલ એમ.એમ.નરાવને, લેફટ. જનરલ રણબીરસિંહ અને લેફટ. જનરલ એસ.કે. સૈની સૌથી મોખરે છે.
વર્તમાન આર્મી ચીફ બિપીન રાવત ૩૧ ડિસેમ્બરે નિવૃત્ત થઇ રહ્યા છે
નવા આર્મી ચીફની નિમણૂક માટેની પ્રક્રિયા શરૂ
કેબિનેટ નિમણૂક સમિતિ લેશે આખરી નિર્ણય
અત્રે ઉલ્લેખનીય છે કે, વર્તમાન આર્મી ચીફ જનરલ જ્યારે નિવૃત્ત થવાના હોઇ ત્યારે તેમની નિવૃત્તિના ચાર પાંચ મહિના અગાઉથી નવા આર્મી ચીફની નિમણૂક માટેની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવે છે.
કેબિનેટ નિમણૂક સમિતિ લે છે આખરી નિર્ણય
નવા આર્મી ચીફની નિમણૂકમાં સંરક્ષણ મંત્રાલયની દરમ્યાનગીરી ઘણી ઓછી હોય છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં વડપણ હેઠળની કેબિનેટની નિમણૂક સમિતિ દ્વારા નવા આર્મી ચીફની નિમણૂક અંગે આખરી નિર્ણય લેવાય છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ એક માત્ર એવા પ્રધાન છે જેમનો આ નિમણૂક કમિટીમાં સમાવેશ કરાયો છે.
આર્મી ચીફની નિમણૂક પ્રક્રિયામાં કરાયો ફેરફાર
અગાઉ નવા આર્મી ચીફની પસંદગીની જાહેરાત વર્તમાન આર્મી ચીફના નિવૃત્ત થવાના એક મહિના અગાઉ અથવા ૪પ દિવસ પહેલાં થતી હતી. જોકે હવે આ સિસ્ટમ બદલાઇ ગઇ છે. નવા આર્મી ચીફની નિમણૂકને લઇને પ્રક્રિયા વહેલી શરૂ કરી દેવાઇ છે.
રાજનાથસિંહે પાકિસ્તાનને આપી ચેતવણી
દરમ્યાન કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે પાકિસ્તાનને એવી ચેતવણી આપી છે કે, તે આવેશમાં આવી જઇ ૧૯૭૧ની ભૂલ ફરી ન કરે. તેમણે જણાવ્યું છે કે હું પાકિસ્તાનને વારંવાર કહી ચૂક્યો છું કે તે ૧૯૬પ અને ૧૯૭૧ની ભૂલ દોહરાવે નહીં.