સોમનાથ વિધાનસભા બેઠક પર ભાજપનો આભાર દર્શન કાર્યક્રમ આક્રોશ પ્રદર્શનમાં ફેરવાયો હતો. માનસિંહ પરમાર અને પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમારે બળાપો કાઢતા કહ્યું હતું કે, પક્ષના જ અમૂક ગદ્દારોને કારણે પરાજય થયો છે.
ભાજપના પરાજીત ઉમેદવારે કાઢ્યો બળાપો
માનસિંહ પરમાર અને ગોવિંદ પરમારનો બળાપો
'પક્ષના જ અમૂક ગદ્દારોને કારણે પરાજય થયો'
તાજેતરમાં યોજાયેલી ગીર સોમનાથ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના વિમલ ચુડાસમાનો વિજય થયો છે. ચૂંટણી પરિણામ બાદ સોમનાથ વિધાનસભા બેઠક પર ભાજપનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો હતો. આ આભાર દર્શન કાર્યક્રમ આક્રોશ પ્રદર્શનમાં ફેરવાયો હતો. આભાર દર્શનમાં પરાજીત ઉમેદવાર માનસિંહ પરમાર અને પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમારે બળાપો કાઢ્યો હતો.
સમયાંતરે આ તમામનો હિસાબ થશેઃ માનસિંહ પરમાર
માનસિંહ પરમારે જણાવ્યું હતું કે, 'આજીવન હું આવા લોકોને માફ કરવાનો નથી. સમયાંતરે આ તમામનો હિસાબ થશે અને ખબર પણ પડશે કે તેમણે શું પાપ કર્યો છે. મારા એક સાથે નહીં પરંતુ 2 લાખ 62 હજાર મતદારો સાથે પાપ કર્યો છે. તેમને ક્યારેય માફ નહીં કરીએ. ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ પણ આ વખતે માફ કરવાના મૂડમાં નથી.'
માગ્યા એટલા રૂપિયા આપ્યા છતાં ગદ્દારી કરીઃ ગોવિંદ પરમાર
આ સાથે પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પરમારે જાહેર મંચ પરથી બળાપો કાઢતા કહ્યું હતું કે, મિત્રો હાર-જીત તો આવ્યા કરે. પણ આમણે પાછળથી ઘા માર્યા છે. મરદના દીકરા હોય તો સામી છાતીએ આવે તો અમને પણ ખબર પડે. રૂપિયા લઈ ગયા છે, માગ્યા એટલા રૂપિયા આપ્યા છે. છતાં ગદ્દારી કરી છે. આ પરિવારે ક્યારેય ગદ્દારી કરી નથી.
આવા ગદ્દારોને ક્યારેય માફ ન કરતાઃ ગોવિંદ પરમાર
તેઓએ જણાવ્યું હતું કે, 2019માં લોકસભાની ચૂંટણી વખતે મારા સમાજના દરેક આગેવાનો રાજેશભાઈની સામે હતા. મેં મીટિંગ કરીને રાજેશભાઈને કારડિયા રાજપૂત સમાજના 80 ટકા મત અપાવ્યા હતા. આ પરિવારના સંસ્કાર માનસિંગ ભાઈમાં છે. એટલે મારી વિનંતી છે કે આવા ગદ્દાર લોકોને ક્યારેય માફ ન કરતા. 900 મત એટલે મામૂલી મત કહેવાય સામાન્ય મતે હારની ખબર હોત તો ધાડ પાડીને પણ મત કાઢી આવત. પક્ષના જ અમુક ગદ્દારોને કારણે પરાજયનો થયો છે.
ખૂબ પાતળી સરસાઈથી થઈ છે જીત
ઉલ્લેખનીય છે કે, ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે માનસિંહ પરમારને સોમનાથ બેઠક પરથી ટિકિટ આપી હતી. જ્યારે કોંગ્રેસે વિમલ ચૂડાસમાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. ચૂંટણી પહેલાં સાંસદ રાજેશ ચુડાસમાએ પોતાના ગામનાને જીતાડવા અપીલ કરી હતી. રાજેશ ચુડાસમા અને વિમલ ચુડાસમા ચોરવાડ ગામના રહેવાસી છે. ચૂંટણીમાં વિમલ ચુડાસમાને કુલ 73 હજાર મત મળ્યા હતા જ્યારે ભાજપના માનસિંહ પરમારને 72 હજાર મત મળ્યા હતા. ખુબ પાતળી સરસાઈ સાથે વિમલ ચુડાસમા ફરી અહીંના ધારાસભ્ય બન્યા હતા.