પંજાબી એક્ટર દીપ સિદ્ધુના મોત મામલે તેની મંગેતરે મોટું નિવેદન આપ્યું છે. અકસ્માત વખતે તે પણ તેની સાથે કારમાં જ હતી અને સુઈ રહી હતી. તેણે એવું કહ્યું કે તેને ખ્યાલ જ નથી કે અકસ્માત કેવી રીતે થયો છે.
દિપ સિદ્ધુના મોત બાદ ઉઠ્યા ઘણા સવાલો
હોસ્પિટલમાં મોટી સંખ્યામાં તેના સમર્થકો પહોચ્યા
દિપ સિદ્ધુની મંગેતરે આપ્યું મોટું નિવેદન
હરિયાણાના સોનીપતમાં ગત મંગળવારે પંજાબના પ્રખ્યાત એક્ટર દીપ સિદ્ધુનું અકસ્માતમાં મોત થયું છે. હાલ તેમનો મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હોસ્પિટલમાં તેમના સમર્થકો પહોચવાના શરૂ થતાજ પોલીસે પણ હોસ્પિટલમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો. જેથી પરિસ્થિતી બગડે નહી.
અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર
આ અકસ્માત કુંડલી-પલવર-માનેસર એક્સપ્રેસ-વે પર પિપલી ટોલ પ્લાઝા પાસે થયો હોવાનું સામે આવ્યું છે. જોકે અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર છે. જેથી એક્ટરના ભાઈ મંદીપે આ મામલે એક એફઆઈઆર દાખલ કરી છે.
અકસ્માત બાદ મંગેતરને હોસ્પિટલ ખસેડવામાં આવી
અમેરિકાની રહેવાસી રીના રાયે પોલીસને કહ્યું કે તે એક વર્ષથી મુંબઈમાં રહેતી હતી. તેઓ 13 ફેબ્રુઆરીએ મુંબઈથી દિલ્હી આવ્યા હતા. ત્યાથી તેઓ મંગળવારે રાતે પંજાબ જઈ રહ્યા હતા તે સમયે તે ગાડીમાં સુઈ રહી હતી. જેથી તેને નથી ખબર કે અકસ્માત કેવી રીતે થયો. અકસ્માત થયા બાદ તેને કોઈ વાતનો ખ્યાલ જ ન રહ્યો જેથી તેને પણ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
અકસ્માતમાં દિપ સિદ્ધુનું મોત
પોલીસના કહેવા પ્રમાણે આ ગમખ્વાર અકસ્માતમાં દિપ સિદ્ધુનું મોત થયું છે. જોકે તેમની સાથીનું હાલત હવે સારી છે. તેઓ સ્કોર્પિઓમાં દિલ્હીથી પંજાબના ભઠિંડામાં જઈ રહ્યા હતા. પરિવારજનોને જાણ કર્યા બાદ પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી હતી. જોકે અકસ્માત બાદ ટ્રક ચાલક હજું ફરાર છે.
ખેડૂત આંદોલન વખતે ચર્ચામાં હતો દીપ સિદ્ધુ
ઉલ્લેખનીય છે કે દીપ સિદ્ધુ કૃષિ કાયદાઓના વિરોધમાં ખેડૂત આંદોલન વખતે ચર્ચામાં આવ્યો હતો. જેમા લાલ કિલ્લા પર ધાર્મિક ઝંડો લહેરાને લઈ અને હિંસા ભડકાવાને લઈને તેને આરોપી જાહેર કરવામાં આવ્યો હતો. આ મામલે તેની ધરપકડ પણ કરવામાં આવી હતી. જોકે બાદમાં તેને જામીન મળી ગયા હતા.