અમદાવાદમાં વરસાદ આવતાની સાથે હર્ષોલ્લાસનો માહોલ જોવા મળી ગયો છે. કાળઝાળ ગરમીથી હવે શહેરીજનોને રાહત મળી છે. વરસાદ આવતાની સાથે શહેરીજનો ઘરની બહાર, અગાસીમાં પહોચીને વરસાદની મજા માણી હતી. તો બીજી તરફ શહેરમાં પ્રથમ વરસાદથી જ તંત્રની પોલ ખુલી ગઇ છે.
અમદાવાદ શહેરમાં પ્રથમ વરસાદમાં જ તંત્રની પોલ ખુલી ગઈ છે. જેમાં જીવરાજપાર્ક અને જશોદાનગરમાં બે ભુવા પડ્યા હતા. જીવરાજથી શ્યામલ જતા રસ્તા પર ભૂવો પડ્યો હતો. ભૂવો પડતા ખાનગી હોટલના કંમ્પાઉન્ડની દિવાલ પણ ધસી પડી હતી. તો રસ્તા વચ્ચે ભૂવો પડતા વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. તો બીજી બાજુ જશોદાનગર ચાર રસ્તા પાસે પણ ભૂવો પડ્યો હતો. આમ, ભૂવો પડતા તંત્રની પ્રિ-મોન્સૂનની કામગીરીની પોલ ખુલી છે.
VTVના અહેવાલ બાદ તંત્રએ યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી
અમદાવાદના જશોદાનગર ચાર રસ્તા પાસે ભૂવો પડ્યો હતો. જેનો અહેવાલ VTVએ પ્રસારિત કર્યો હતો. ત્યારે VTVના અહેવાલ બાદ તંત્રએ યુદ્ધના ધોરણે ભૂવો પૂરવાની કામગીરી હાથ ધરી હતી. જોકે તંત્ર દ્વારા પ્રિમોનસુનની કામગીરીમાં યોગ્ય પુરાણ ન થવાથી ભૂવો પડ્યો હોવાનું સામે આવ્યુ છે. ત્યારે ભૂવાને લઈને તંત્રની પ્રિમોનસુન કામગીરી માત્ર કાગળ પર હોવાનું સાબિત થઈ રહ્યુ છે. તેમજ તંત્ર સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
મહત્વનુ છે કે, પ્રથમ વરસાદમાં જ રોડ રસ્તા ધોવાઈ જવા અને ભુવા પડવાની ઘટના બની છે. ત્યારે ફરી એક વખત સવાલ એ થાય છે કે આગામી સમયમાં જયારે વિધીવત ચોમાસું શરૂ થશે.
હવામાન વિભાગની આગાહી મુજબ ભારેથી અતિભારે વરસાદ પડશે તો અમદાવાદ શહેરની શું દશા હશે ? એક જ સ્થળ પર એક નહિ પરંતુ બેથી ત્રણ વખત ભુવા પડી રહ્યા છે. ત્યારે તંત્રની ભ્રષ્ટ નીતિ પણ ખુલ્લી પડી રહી છે.
શહેરના આરટીઓ સર્કલ પાસે પાણી ભરાયા
શહેરના આરટીઓ સર્કલ પાસે પાણી ભરાયા છે. સામાન્ય વરસાદથી પાણી ભરાયા હોવાના દ્રશ્યો ઠેર-ઠેર જોવા મળ્યા છે. આરટીઓ સર્કલ પાસે એક તરફ ટ્રાફિક જામ તો બીજી બાજુ પાણી ભરાયા હોવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે.