ધોરણ 10 પ્રિલિમરીની પરીક્ષાનું પેપર લીક થવા મામલે RM એકેડમીના દીપ મકવાણાએ સ્પષ્ટતા કરી છે, બોર્ડ તેમજ અમદાવાદ DEO દ્વારા પણ પેપરલીક બાબતે નિવેદન જાહેર કરાયું છે.
ધોરણ-10 પ્રિલિમરી પરીક્ષાનું પેપર લીકનો મામલો
RM એકેડમીના દીપ મકવાણાની સ્પષ્ટતા
મેં રાહુ સોલ્યુશન નામની ચેનલથે પેપર લીધુ હતુ
ધોરણ 10 પ્રિલિમરીની પરીક્ષાનું પેપર લીક થતાં RM એકેડમીની યુટ્યુબ ચેનલ પર અનેક સવાલો ઊભા થયા હતા જે બાદ RM એકેડમીના દીપ મકવાણાએ સ્પષ્ટતા કરતાં કહ્યું કે મેં રાહુ સોલ્યુશન નામની યુટ્યૂબ પરથી આ પેપર લીધુ હતુ. મેં ડમી પેપર સમજી સોલ્યુશન કરી યુટ્યૂબ પર મુક્યુ હતું. મારી જાણ બહાર હતું કે આ પેપર ધોરણ 10 પ્રિલિમરીની પરીક્ષાનું છે જે હવે લેવાઈ છે. પ્રેક્ટીસ પેપર સમજીને સોલ્વ કરીને પેપર મુક્યુ હતુ. જે પેપર ફૂટ્યું એ રાહુ સોલ્યુશને યુટ્યૂબ પર સૌપ્રથમ મુક્યુ હતુ. ત્યારે મહત્વનું છે કે પેપર લીક થવા બાબતે તપાસનો ધમધમાટ થઈ રહ્યો છે. રાહુ સોલ્યુશન અને RM એકેડમીના સંચાલકોની વધુ પૂછપરછ થઈ શકે છે.
બોર્ડ પેપર નથી પરંતુ સ્કૂલે જાતે કઢાવેલ પેપર છે: GSEB
ધોરણ 10 પ્રિલિમરી પરીક્ષાના સામાજીક વિજ્ઞાનના પેપર લીક થયા બાદ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યિક બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, પ્રિમિલરી પરીક્ષાના પેપર બોર્ડ દ્વારા કાઢવામાં નથી આવતા, આ પેપર બોર્ડનું નથી પરંતુ સ્કૂલે જાતે કઢાવેલ પેપર છે અને તે કોઈક ઈસમ દ્વારા લીક કરાયુ છે. પરંતુ તે પણ ગંભીર ગુનો છે માટે બોર્ડે અમદાવાદ ડીઈઓને તપાસ કરવા માટે સુચન કર્યું હતુ.
જરુર જણાશે તો પોલીસ ફરિયાદ પણ કરીશું:અમદાવાદ DEO
આ મામલે અમદાવાદ ડીઈઓએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે કોઈક વ્યકિતએ તેની યુટુબ ચેનલ મારફતે પેપર વાયરલ કર્યું છે.. તે વ્યક્તિ કયાંની છે અને પેપેર કઈ શાળા દ્વારા લીક કરવામાં આવ્યું છે તેની અમે તપાસ કરીશું અને જરુર જણાશે તો પોલીસ ફરિયાદ પણ કરીશું. આપને જણાવી દઈયે કે, યુટ્યુબ પર RM એકેડમી નામની ચેનલ પર ધોરણ 10નુ સામાજિક વિજ્ઞાનનુ પેપર લીક થયુ હતુ.
કોંગ્રેસે સરકાર પર કર્યા આકરા પ્રહાર
સુરતમાં ધો. 10 અને 12ની પરીક્ષાના ફૂટેલા પેપર અંગે કોંગ્રેસના પ્રવકતા ડો. મનીષ દોશીએ પ્રતિક્રિયા આપતા ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા દોશીએ જણાવ્યું હતું કે, સરકારી ભરતીમાં પરીક્ષાના પેપર ફૂટી છે તેમ હવે શાળાઓની પરીક્ષાના પેપર ફૂટવા લાગ્યા છે. શાળાના પેપર ફૂટવાની આ પહેલી ઘટના નથી. અગાઉ મહેસાણા અને રાજકોટમાં પણ આ પ્રમાણે પેપર ફૂટ્યા હતા.જેમાં સરકારે કોઈ પગલાં ભર્યા ન હોવાના કારણે આ પેપર ફૂટયું છે.હજારો વિદ્યાર્થીઓની મહેનત ઉપર પાણી ફરતું હોવા છતાં સરકાર કડક કાર્યવાહી કરતી નથી.છાસવારે ટીવી સામે આવતા રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણી હાલ મૌન કેમ છે.?