શ્રીલંકામાં રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે ( Gotabaya Rajapaksa) એ ઇમરજન્સીનું એલાન કર્યું છે. આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
શ્રીલંકામાં અનેક સ્થળોએ હિંસક પ્રદર્શન
કાગળની અછત, ડીઝલ ખતમ અને વીજળી પણ ગાયબ
શ્રીલંકામાં 1 એપ્રિલથી ઇમરજન્સી લાગુ કરાયું
શ્રીલંકા હાલમાં આઝાદી પછીના સૌથી ખરાબ આર્થિક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. શ્રીલંકામાં સ્થિતિ વધારે ને વધારે ખરાબ થતી જઇ રહી છે. આ દરમિયાન શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે (Gotabaya Rajapaksa) એ દેશમાં ઈમરજન્સી લાદવાનો નિર્ણય લીધો છે. જારી કરાયેલા આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે, દેશની સુરક્ષા અને આવશ્યક સેવાઓના પુરવઠાની જાળવણી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઈમરજન્સી 1 એપ્રિલથી લાગુ કરવામાં આવી છે.
શ્રીલંકામાં ઇમરજન્સી લાગુ કરાયું
હવે રાષ્ટ્રપતિ રાજપક્ષે દ્વારા આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે દેશમાં તેમની અને તેમની સરકાર વિરુદ્ધ પ્રદર્શન ઉગ્ર બની ગયું છે. જ્યારથી શ્રીલંકામાં આર્થિક કટોકટી ફાટી નીકળી છે, જ્યારથી દેશ નાદારીની આરે પહોંચ્યો છે, ત્યારથી રાષ્ટ્રપતિ સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. ગુરુવારે તેમના નિવાસસ્થાનની બહાર હિંસક પ્રદર્શનો પણ જોવા મળ્યા હતા. સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે પોલીસે પ્રદર્શનકારીઓ પર વોટર કેનનનો ઉપયોગ કર્યો, લાઠીઓ પણ વરસાવી.
વિવિધ જગ્યાએ પ્રદર્શનો શરૂ, સ્થિતિ બેકાબુ
હવે આ પ્રદર્શન માત્ર રાષ્ટ્રપતિ નિવાસની બહાર જ નહીં પણ શ્રીલંકાના વિવિધ વિસ્તારોમાંથી અનેક તસવીરો પણ સામે આવી રહી છે. પોલીસ સાથે સંઘર્ષ સર્જાતા પોલીસ દ્વારા ટીયર ગેસના શેલ છોડવામાં આવી રહ્યાં છે. આથી શ્રીલંકામાં વાતાવરણ ભારે તંગ થઇ ગયું છે. જો કે, તમને જણાવી દઇએ કે, આ બધું એટલાં માટે થઈ રહ્યું છે કારણ કે શ્રીલંકા એક સાથે અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે. દેશમાં વીજળીનું મોટું સંકટ ઊભું થયું છે, દેશ કલાકો સુધી અંધારામાં રહેવા મજબૂર થયું છે. બસો અને કોમર્શિયલ વાહનો માટે ફિલિંગ સ્ટેશનો પર હવે ડીઝલ પણ બચ્યું નથી. અધિકારીઓ અને મીડિયા અહેવાલો અનુસાર, શ્રીલંકામાં જાહેર પરિવહન સેવાઓને ભારે અસર થઈ છે.
આર્થિક સંકટની અસર શ્રીલંકાના વિદ્યાર્થીઓના શિક્ષણ પર
એ સિવાય શ્રીલંકામાં આર્થિક સંકટની અસર શ્રીલંકાના વિદ્યાર્થીઓના શિક્ષણ પર પણ જોવા મળી છે. દેશમાં પહેલી વાર પેપરની એટલી અછત સર્જાઈ છે કે પરીક્ષાઓ પણ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવામાં આવી છે. આ બધા પડકારોથી પરેશાન થઈને હવે ઘણાં લોકો રસ્તા પર આવી ગયા છે. તેઓ પોતાના અધિકારો માટે વિરોધ કરી રહ્યાં છે. હવે જો કેટલીક જગ્યાએ આ પ્રદર્શન શાંતિપૂર્ણ દેખાઈ રહ્યાં છે તો ઘણી જગ્યાએ તેઓ હિંસક પણ થઈ ગયા છે. આ કારણોસર કોલંબો નોર્થ, કોલંબો સાઉથ, કોલંબો સેન્ટ્રલ અને નુગેગોડા પોલીસ વિભાગોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.