Team VTV08:39 PM, 14 May 21
| Updated: 08:40 PM, 14 May 21
ધોરણ-12 બોર્ડની પરીક્ષા અંગે સરકાર આવતીકાલે નિર્ણય લેશે, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળનારી બેઠકમાં શિક્ષણ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહેશે
ધોરણ 12ની બોર્ડની પરીક્ષા મુદ્દે કાલે નિર્ણય
5.50 લાખ વિદ્યાર્થીઓના ભાવિ અંગે નિર્ણય
જુન મહિનાના બીજા અઠવાડિયામાં યોજાઈ શકે છે પરીક્ષા
કોરોના વાયરસના કહેરના કારણે રાજ્યમાં ધોરણ-10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું છે. જે બાદ ધોરણ-12 બોર્ડની પરીક્ષા અંગે સરકાર આવતીકાલે નિર્ણય લેશે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળનારી બેઠકમાં શિક્ષણ અને આરોગ્ય વિભાગના અધિકારીઓ હાજર રહેશે. ધોરણ-12ના સાડા 5 લાખ વિદ્યાર્થીઓના ભાવિ અંગે નિર્ણય લેવાશે. જૂન મહિનાના બીજા અઠવાડિયામાં પરીક્ષા યોજાય તેવી શકયતા છે.
ધોરણ-10ના વિદ્યાર્થીઓને આપ્યું માસ પ્રમોશન
મહત્વનું છે કે, CM રૂપાણીએ વિશ્વવ્યાપી મહામારી કોરોનાના પ્રવર્તમાન સંક્રમણમાં રાજ્યમાં વિદ્યાર્થીઓને સુરક્ષિત રાખવાના હેતુથી રાજ્યના ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-10 SSCના નિયમિત વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે.
પરીક્ષા રદ્દ કરવાનો સરકારે લીધો નિર્ણય
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે, વિદ્યાર્થીઓના આ વર્ગના રસીકરણની કામગીરી પણ હાલ હાથ ધરવામાં આવી ન હોય. વિદ્યાર્થીઓના વિશાળ આરોગ્ય હિતમાં રાજ્ય સરકારે પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણૅય કર્યો છે.
રાજ્યની તમામ શાળાઓમાં અભ્યાસ કરતા ધો.10ના વિદ્યાર્થીઓને અપાશે માસ પ્રમોશન
શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોર કિમિટીની બેઠકમાં લીધેલા આ નિર્ણયની વિગતો આપતા કહ્યું કે, રાજ્યની ૧૨૭૬ સરકારી, ૫૩૨૫ ગ્રાન્ટ ઇન એઇડ, ૪૩૩૧ સેલ્ફ ફાઇનાન્સ અને અન્ય ૪૫ શાળાઓ મળી કુલ ૧૦,૯૭૭ શાળાઓમાં ધોરણ-૧૦ ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ માસ પ્રમોશન આપવામાં આવશે.
જાણો શું આપ્યું નિવેદન
રાજ્ય સરકારે ગુજરાતમાં ધોરણ-૧૦ અને ધોરણ-૧રની બોર્ડની પરીક્ષાઓ જે તા. ૧૦મી મે થી રપ મી મે સુધી યોજાવાની હતી તે પ્રવર્તમાન કોરોના સંક્રમણની પરિસ્થિતીમાં મોકૂફ રાખવાનો નિર્ણય ગત તા.૧૫મી એપ્રિલે કરેલો છે રાજ્ય સરકારે પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય ૧પમી એપ્રિલે કર્યો ત્યારે એવું જાહેર કરેલું કે તા.૧પમી મે એ કોરોના સંક્રમણ સ્થિતિનું આકલન કરીને પૂન: સમીક્ષા બાદ પરીક્ષાની નવી તારીખો વિદ્યાર્થીઓને તૈયારી માટે ઓછામાં ઓછા ૧પ દિવસનો સમય આપીને જાહેર કરવામાં આવશે એટલું જ નહિ, ધોરણ ૧ થી ૯ અને ધોરણ-૧૧માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ વર્ષે કોરોનાની સ્થિતીને અનુલક્ષીને માસ પ્રમોશન આપવાની જાહેરાત પણ અગાઉ રાજ્ય સરકારે કરેલી છે તેમ તેમણે ઉમેર્યુ હતું.
શિક્ષણમંત્રીએ ઉમેર્યુ કે, રાજ્યમાં છેલ્લા બે અઠવાડિયાથી કોરોના કેસોમાં ઉત્તરોત્તર ઘટાડો અને હોસ્પિટલમાંથી કોરોનામુકત-સાજા થઇ ઘરે પરત ફરવાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. આમ છતાં, દેશવ્યાપી સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં લેતાં રાજ્યના વિદ્યાર્થીઓના ભાવિને કોરોનાથી સુરક્ષિત રાખવા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકાર કૃતસંકલ્પ છે.
આ વર્ષ પૂરતું માસ પ્રમોશન અપાશે
હવે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોર કમિટિની બેઠકમાં રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા અને વિચાર-વિમર્શ બાદ ધોરણ-૧૦ એસ.એસ.સી.ના નિયમિત (રેગ્યુલર) વિદ્યાર્થીઓને આ વર્ષ પૂરતું માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે તેમ શ્રી ચુડાસમાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું. રાજ્ય સરકારના આ વિદ્યાર્થી હિતલક્ષી નિર્ણયના પરિણામે ધોરણ-૧૦ (એસ.એસ.સી.)ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનો લાભ મળવાપાત્ર થશે.
કોર કમિટિની બેઠકમાં લેવાયો નિર્ણય
શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે, કોર કમિટિમાં મુખ્યમંત્રીએ એવો પણ નિર્ણય કર્યો છે કે ધોરણ-૧૦ (એસ.એસ.સી)ની પરીક્ષામાં બેસનારા રિપિટર વિદ્યાર્થીઓની પરીક્ષા કોરોનાના કેસોમાં ઘટાડો થયા બાદ જરૂરી સમીક્ષા કરીને યોજવામાં આવશે. અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, આવા રિપિટર વિદ્યાર્થીઓને અગાઉના વર્ષોમાં રેગ્યુલર (નિયમિત) વિદ્યાર્થી તરીકે ધોરણ-૧૦માં પરીક્ષાની તક આપવામાં આવેલી છે પરંતુ તેઓ પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી શક્યા નથી.
કોર કમિટિની આ બેઠકમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલ, ગૃહ-રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવઓ સર્વ પંકજકુમાર, ડૉ. રાજીવકુમાર ગુપ્તા, શ્રી એમ.કે.દાસ તેમજ આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવી અને વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.